ન તો રાત્રીનો અંધકાર એટલો ડરામણો હોય છે કે ન તો થોડી-થોડી વારે બાજુમાંથી દોડી જતી ટ્રેન એટલી ડરામણી હોય છે જેટલો કોઈ પુરુષ તાકી રહ્યો હોવાનો ખ્યાલ.
૧૭ વર્ષીય નીતુ કુમારી કહે છે, “રાતના સમયે ફક્ત રેલના પાટા જ શૌચક્રિયા માટે ઉપલબ્ધ હોય છે.”
નીતુ, દક્ષીણ-મધ્ય પટનાના યારપુર વિસ્તારના વોર્ડ નંબર ૯ ની ઝુંપડીઓમાં રહે છે. આ વસાહતમાં બનેલા ઘણા ઘરોની વચ્ચે સિમેન્ટની એક દીવાલ પણ છે, જ્યાં ઘણાં નળ લાગેલાં છે. ત્યાં બે પુરુષો એમના અંદરના કપડા પહેરીને પોતાના શરીર પર જોરથી સાબુ ઘસી રહ્યા છે. લગભગ ૧૨ એક છોકરાઓ પાણીમાં રમી રહ્યા છે, લપસણી લાદી પર લપસી રહ્યા છે અને એકબીજાને નીચે પાડીને હસી રહ્યા છે.
લગભગ ૫૦ મીટર દૂર એક શૌચાલયોનો બ્લોક છે, જે આ કોલોનીનો એકમાત્ર બ્લોક છે, જેના ૧૦ એ ૧૦ શૌચાલયો પર તાળા મારેલા છે, જેથી કોઈ એનો ઉપયોગ નથી કરતું. મહામારીના લીધે આ લોક સુવિધા કેન્દ્ર લોકોના હવાલે કરવામાં મોડું થયું છે. બ્લોકની નજીક થોડીક બકરીઓ બેઠી છે. પાછળની બાજુ રેલ્વેના પાટા તરફ કચરાના ઢગ છે. અહીંથી સૌથી નજીકનું શૌચાલય ૧૦ મિનીટ દૂર છે, પણ કેટલાક લોકો રેલના પાટા પાર કરીને યારપુરની પેલે પાર બનેલા શૌચાલયનો ઉપયોગ કરે છે - જે પણ ૧૦ મિનીટ દૂર છે.
નીતુ કહે છે, “છોકરાઓ ક્યારેય પણ અને ક્યાંય પણ શૌચ કરી દે છે. પરંતુ, છોકરીઓ માત્ર રાતના સમયે જ પાટાનો ઉપયોગ કરી શકે છે.” નીતુ બીએ પ્રથમ વર્ષની વિદ્યાર્થી છે. (આ લેખમાં બધા નામ બદલી દેવામાં આવ્યા છે.) તેઓ કહે છે કે એમનું નસીબ આ વસાહતની અન્ય છોકરીઓની સરખામણીમાં સારું છે, કેમ કે દિવસના સમયે તેઓ અહીંથી ૨૦૦ મીટર દૂર આવેલા એમની કાકીના ઘરનું શૌચાલય વાપરી શકે છે.
નીતુ કહે છે, “આ સિવાય અમારા ઘરમાં બે રૂમ છે. એકમાં મારો નાનો ભાઈ સૂએ છે અને બીજામાં હું, મમ્મી અને પપ્પા રહીએ છીએ. આથી, મને સેનીટરી પેડ બદલવા માટે ગોપનીયતા મળી જાય છે. ઘણી છોકરીઓ અને સ્ત્રીઓને આ માટે આખો દિવસ વાટ જોવી પડે છે, જેથી તેઓ રાતના અંધારામાં રેલના પાટા પર જઈને સેનીટરી પેડ બદલી શકે.”










