પંજાબના સંગરૂર જિલ્લાનાં રહેવાસી 60 વર્ષીય ચરણજીત કૌર કહે છે, “અમારે દિલ્હીથી પાછા ફર્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સરકારે કહ્યું હતું કે તેઓ અમારી બધી માંગણીઓ પૂરી કરશે, પરંતુ તે માંગણીઓ પર ચર્ચા કરવા માટે કોઈએ અમને ખેડૂતોને બોલાવ્યા જ નથી.” તેઓ અને તેમનો પરિવાર તેમની બે એકર જમીન પર ઘરગથ્થુ વપરાશ માટે ઘઉં, ડાંગર અને થોડા શાકભાજીનું વાવેતર કરે છે. તેઓ ઉમેરે છે, “અમે બધા ખેડૂતોના અધિકારો માટે લડી રહ્યાં છીએ.”
ચરણજીત તેમનાં પાડોશી અને સહેલી ગુરમિત કૌર સાથે પટિયાલા જિલ્લાના શંભુ સરહદ પર મહિલાઓના જૂથમાં બેઠેલાં છે. આ ટોળા પર બપોરનો સૂર્યનો તડકો પડી રહ્યો છે. ગુરમિત કહે છે, “તેમણે (સરકારે) અમને દિલ્હી જવા પણ નથી દીધાં.” ગુરમિત કોંક્રિટની દિવાલો, લોખંડના ખીલા અને કાંટાળા તારોના બહુસ્તરીય બેરિકેડ્સનો ઉલ્લેખ કરી રહ્યાં છે, જે હરિયાણા-પંજાબની સરહદો પરના રસ્તાઓ પર અને પછી દિલ્હી-હરિયાણાની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી પહોંચતા અટકાવવા માટે અવરોધ તરીકે લગાવવામાં આવ્યા છે. વાંચો: શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે
અહીં એકત્ર થયેલા ખેડૂતો કહે છે કે કેન્દ્ર સરકાર તેમને ઘણી બાબતોમાં નિષ્ફળ રહી છે, અને તે છે: સ્વામીનાથન પંચની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી.) ની બાંયધરી, ખેડૂતો અને ખેત મજૂરોની સંપૂર્ણ દેવા માફી, લખીમપુર-ખેરી હત્યાકાંડમાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય, ગુનેગારોની ધરપકડ, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના અને 2020-2021ના વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર.
થોડા અઠવાડિયા પહેલાં 13 ફેબ્રુઆરીના રોજ, જ્યારે આ ખેડૂતોએ તેમની માંગણીઓ માટે દબાણ ઊભું કરવા માટે દેશની રાજધાની તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી, ત્યારે તેમને આગળ વધતા રોકવા માટે હરિયાણા પોલીસ દ્વારા તેમના પર આંસુ ગેસ, પાણીના ગોળા, અને પેલેટ ગનથી રબરની ગોળીઓ વરસાવવામાં આવી હતી.










