અમારા આઠ રખડુઓની ટોળકી આશ્ચર્યથી આ પુસ્તકો જોઈ રહી હતી. તેમાંનું દરેક દરેક પુસ્તક સાહિત્યની એક ઉત્તમ કૃતિ હતી, એક ક્લાસિક, રાજકીય પુસ્તકો પણ. રોમાંચક કથાઓ, બેસ્ટસેલર કે હળવા વાંચનની વાર્તાઓ અહીં ઉપલબ્ધ નથી. ત્યાં તમિલ મહાકાવ્ય ‘સિલપ્પતિકરમ’નો મલયાલમ અનુવાદ હતો. વૈકોમ મુહંમદ બશીર, એમ.ટી. વાસુદેવન નાયર, કમલા દાસ જેવાં લેખકોનાં પુસ્તકો હતાં. સાથે સાથે એમ. મુકુંદન, લલિતાંબિકા અંતર્જનમ અને બીજાં ઘણાં લેખકોની કૃતિઓ પણ હતી. મહાત્મા ગાંધીના લખાણોની સાથે સાથે તોપ્પિલ ભાસીની ‘યુ મેડ મી અ કોમ્યુનિસ્ટ’ (તમે મને સામ્યવાદી બનાવ્યો) જેવી ક્રાંતિકારી વિચારધારાવાળી પ્રખ્યાત કૃતિઓ પણ હતી.
હવે બહાર બેઠા પછી અમે પૂછ્યું, “પણ ચિન્નતંબી, શું અહીંના લોકો ખરેખર આવું ગહન સાહિત્ય વાંચે છે?” મોટાભાગના આદિવાસી સમુદાયોની જેમ, મુતુવન લોકો પણ બીજા ભારતીયો કરતાં વધુ વંચિતતા અને શિક્ષણમાં અધવચ્ચેથી ઊઠી જવાના ઊંચા દરનો સામનો કરે છે. જવાબમાં, તેઓ પોતાની લાઇબ્રેરીનું રજિસ્ટર કાઢી લાવ્યા. આ પુસ્તકો લેવા અને પરત કરવાના વ્યવહારનો એકદમ ચોકસાઈપૂર્વક રાખેલો હિસાબ હતો. ભલે આ નેસમાં ફક્ત 25 પરિવારો રહેતા હશે, પણ 2013માં 37 પુસ્તકો વાંચવા માટે લેવાયાં હતાં. આ આંકડો કુલ 160 પુસ્તકોના ચોથા ભાગની નજીક છે – જે એક સારો લેવડ-દેવડનો ગુણોત્તર ગણાય. લાઇબ્રેરીની સભ્ય ફી એક વખતના 25 રૂપિયા અને માસિક લવાજમ 2 રૂપિયા છે. પુસ્તક લેવા માટે અલગથી કોઈ પૈસા આપવાના નથી હોતા. ચા મફત છે. ખાંડ વગરની કાળી ચા. “લોકો પહાડોમાંથી થાકીને આવે છે.” ફક્ત બિસ્કિટ, ચવાણું અને બીજી વસ્તુઓના જ પૈસા આપવાના હોય છે. ક્યારેક, કોઈ મહેમાનને સાદું છતાં મફત ભોજન પણ મળી જાય છે.
ઉધાર આપ્યાની અને પાછા આવ્યાની તારીખો, વાચકોનાં નામ, બધું જ તેમના રજિસ્ટરમાં વ્યવસ્થિત રીતે નોંધેલું હતું. ઇલંગોનું ‘સિલપ્પતિકારમ’ તો એકથી વધુ વખત લેવાયું હતું. આ વર્ષે પણ અત્યાર સુધીમાં કેટલાંય પુસ્તકો લેવાઈ ચૂક્યાં હતાં. અહીં જંગલોની વચ્ચે ઉત્તમ સાહિત્ય ખીલી રહ્યું હતું, જેને એક હાંસિયામાં ધકેલાઈ ગયેલો આદિવાસી સમુદાય હોંશે હોંશે વાંચી રહ્યો હતો. આ જોઈને અમે વિચારમાં પડી ગયા. મને લાગે છે કે, અમારામાંથી કેટલાક તો અમારા પોતાના શહેરી વાતાવરણમાં વાંચનની કથળતી જતી આદતો છે તેના પર મનોમંથન કરી રહ્યા હતા.
અમારા જૂથમાં ઘણા એવા સભ્યો હતા જેઓ લખીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, અને અમારા અહંકારને હજી એક ઝટકો લાગવાનો બાકી હતો. અમારી સાથે મુસાફરી કરી રહેલા કેરળ પ્રેસ એકેડેમીના ત્રણ પત્રકારત્વના વિદ્યાર્થીઓમાંથી એક, યુવાન વિષ્ણુ એસ.ને એ પુસ્તકોના ઢગલામાંથી એક અલગ જ પ્રકારનું ‘પુસ્તક’ મળી આવ્યું. એક લીટીવાળી નોટબુક, જેનાં ઘણાં પાનાં હાથથી લખેલાં હતાં. તેનું હજી કોઈ શીર્ષક નહોતું, પણ એ ચિન્નતંબીની આત્મકથા હતી. તેઓ સંકોચ સાથે કહે છે કે તેઓ તેમાં બહુ આગળ નથી લખી શક્યા. પણ તેઓ તેના પર કામ કરી રહ્યા છે. “અરે ચાલોને, ચિન્નતંબી! અમને તેમાંથી કંઈક સંભળાવો તો ખરા.” એ લખાણ લાંબું નહોતું અને અધૂરું હતું, પણ વાત ખૂબ જ સરસ રીતે કહેવાઈ હતી. તેમાં તેમની સામાજિક અને રાજકીય ચેતનાનાં પ્રથમ અંકુર ફૂટવાની વાત હતી. આખરે, તેની શરૂઆત મહાત્મા ગાંધીની હત્યાના પ્રસંગથી થાય છે, જ્યારે લેખક લગભગ સાત વર્ષના હતા – અને એ ઘટનાની તેમના પર કેવી ઊંડી અસર થઈ હતી.