એજાઝ હસન કહે છે, “બાબર ભારત બે વસ્તુઓ લાવ્યો — બારૂદ અને બાકરખાની.” એજાઝ હસન ત્રીજી પેઢીના નાનબાઈ એટલે કે મીઠી રોટલી બનાવનાર કારીગર છે. તેઓ પટના શહેરની સૌથી જૂની વસાહતોમાંની એક, લોદી કટરામાં આવેલા પોતાના ઘરની બાજુમાં જ એક તંદૂર પાસે બેઠા છે. તેઓએ હમણાં જ ઘંટ આકારની એ ભૂગર્ભ ભઠ્ઠીઓને સાફ કરી છે, અને તેને ઠંડી પાડવા માટે તેના પર માટી અને પાણીનું મિશ્રણ લગાવ્યું છે.
મુઘલાઈ રસોડાની આ પડવાળી, કુરકુરી, સ્તરવાળી અને મીઠી રોટલી, બાકરખાનીના મૂળ વિશેની ઘણી દંતકથાઓમાંથી, એજાઝ હસનને એ વાર્તા સૌથી વધુ પ્રિય છે જે તેઓએ એક સમયે તેમના દાદા, હાફિઝ અમીર હસન પાસેથી સાંભળી હતી. તેમના દાદા એક ઉસ્તાદ નાનબાઈ, એટલે કે નાનબાઈઓના સરતાજ હતા. એજાઝ તેમના સહાયક ઇમ્તિયાઝ સવારની ચા ફરી ગરમ કરે તેની ધીરજપૂર્વક રાહ જોતાં કહે છે, “બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં તમને બાકરખાનીના જુદા જુદા પ્રકારો જોવા મળશે, પરંતુ પટનામાં જે મળે છે તે સૌથી અનોખી છે, અને તેથી જ તેને શાહી અથવા મુઘલાઈ બાકરખાની કહેવામાં આવે છે.”
છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી, બજારમાં નાની-નાની રોટલીઓનું ચલણ વધી ગયું છે, જેને અસલી બાકરખાની જેવો ચળકતો દેખાવ આપવા માટે ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. તેની કિંમત પણ અસલી બાકરખાની કરતાં ઘણી ઓછી હોય છે. આ ધંધાકીય યુક્તિ એજાઝને પરેશાન કરે છે. તેઓ કહે છે, “અબ તો હર દૂસરી રોટી બાકરખાની હૈ, ઔર હર દૂસરા આદમી નાનબાઈ. પટના મેં આપકો 25-30 રૂપયે કી ભી બાકરખાની મિલ જાયેગી, મગર ના આપ કા દિલ ભરેગા ના સાલોં સાલ કામ સીખને વાલોં કા પેટ [હવે તો દરેક બીજી રોટલી બાકરખાની છે, અને બીજો દરેક માણસ નાનબાઈ છે. પટનામાં તમને 25-30 રૂપિયામાં પણ બાકરખાની મળી જશે, પણ તેનાથી ન તો તમારું દિલ ભરાશે, ન તો વર્ષો સુધી આ કળા શીખનારાઓનું પેટ ભરાશે].”
એજાઝ આગળ કહે છે કે આ સસ્તી નકલો ખરા અર્થમાં નાનબાઈઓના પેટ પર પાટું મારે છે. તેઓ ઉમેરે છે કે ચાર માણસો સવારથી સાંજ સુધી કામ કરે તો પણ એક તંદૂરમાં દિવસમાં 50થી વધુ બાકરખાની બનાવી શકાતી નથી.




























