તેમના ઘરની બહાર કેરીના ઝાડ નીચે બેસેલાં સરુના ચહેરા પર ઉદાસી છે. તેમના ખોળામાં, તેમનો નાનો બેચેન દીકરો બડબડ કરી રહ્યો છે. તેઓ કહે છે, “મને હવે કોઈ પણ દિવસે માસિક સ્રાવ આવશે. તે વખતે મારે કુરમા ઘરમાં જવું પડશે.” કુરમા ઘરનો શાબ્દિક અર્થ ‘પીરિયડ્સ હટ’ થાય છે, જ્યાં તેમણે માસિક સ્રાવ સમયે 4-5 દિવસ માટે રહેવું પડશે.
તેનાથી જે અગવડ પેદા થાય છે તેનાથી સરુ (નામ બદલેલ) ને બહું તકલીફ થાય છે. તેઓ તેમના નવ મહિનાના દીકરાને શાંત કરવાનો પ્રયાસ કરતાં કહે છે, “કુરમા ઘરમાં શ્વાસ રૂંધાય છે અને મને મારાં બાળકોથી દૂર રહેવાનું થાય ત્યારે જરાય ઊંઘ નથી આવતી.” તેમને કોમલ (નામ બદલેલ) નામની એક પુત્રી પણ છે, જે સાડા ત્રણ વર્ષની છે અને નર્સરી શાળામાં ભણે છે. તેમની દીકરીએ તેમની મડિયા આદિજાતિની પરંપરાગત પ્રથામાંથી પસાર થવું પડશે તે ચિંતામાં 30 વર્ષીય સરુ કહે છે, “તેનું પાલી [માસિક ચક્ર] કોઈને કોઈ દિવસે તો શરૂ થશે જ; તેનાથી મને બીક લાગે છે.”
સરુના ગામમાં ચાર કુરમા ઝૂંપડીઓ છે, જે તેમના ઘરથી 100 મીટરથી પણ ઓછા અંતરે આવેલી છે. તેમના ગામમાં માસિક સ્રાવ આવે તે વયની 27 કિશોર છોકરીઓ અને સ્ત્રીઓ દ્વારા તેને ઉપયોગમાં લેવાય છે. સરુ કહે છે, “હું મારી માતા અને નાનીને કુરમા ઘરે જતાં જોઈને મોટી થઈ છું. હવે એ પ્રથામાંથી હું પસાર થઈ રહી છું. હું નથી ઇચ્છતી કે કોમલે આ પ્રથાનો ભોગ બનવું પડે.”
મડિયા એક આદિવાસી જનજાતિ છે, જે માસિક સ્રાવવાળી સ્ત્રીઓને અશુદ્ધ અને અસ્પૃશ્ય માને છે, અને જ્યારે તેમને માસિક સ્રાવ થાય ત્યારે તેમને દૂર મોકલી દે છે. સરુ કહે છે, “હું 13 વર્ષની હતી ત્યારથી કુરમા ઘરે જઈ રહી છું.” તે સમયે તેઓ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પૂર્વ ભાગમાં તેમના હાલના ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા તેમના પિયરમાં રહેતાં હતાં.
છેલ્લા 18 વર્ષોમાં, સરુએ તેમની જીંદગીના લગભગ 1,000 દિવસે − દર મહિને લગભગ પાંચ દિવસ − એક ઝૂંપડીમાં વિતાવ્યા છે, જેમાં ન તો બાથરૂમ છે, ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો વીજળી છે કે ન તો પથારી કે પંખો છે. તેઓ કહે છે, “ત્યાં અંધારું હોય છે, અને રાત ડરામણી હોય છે. ત્યાં હોઉં ત્યારે મને એવું લાગે છે જાણે અંધારું મને કોરી ખાઈ જશે. એ વખતે હું ઈચ્છું છું કે હું ઝડપથી મારા ઘરે દોડી જાઉં અને મારા બાળકોને મારી છાતી સરસા ચાંપી દઉં. પણ હું તેવું કરી શકતી નથી.”


















