ચદરિયા ઝીની રે ઝીની, ચાદરિયા ઝીની રે ઝીની
રામ નામ રસ ભીની ચદરિયા ઝીની રે ઝીની
અષ્ટ કમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ કી પૂની
નૌ દસ માસ બીનન કો લગે, મૂરખ મૈલી કિન્હી
ચદરિયા ઝીની રે ઝીની
[ચાદર ઝીણી રે ઝીણી, ચાદર ઝીણી રે ઝીણી
રામ નામ રસ ભીની રે ચાદર ઝીણી રે ઝીણી
અષ્ટ કમળનો ચરખો બનાવ્યો, પાંચ તત્વની પૂણી,
નવ-દસ માસ એ વણતા રે લાગ્યા, મૂરખ મેલી કીધી
રે ચાદર ઝીણી રે ઝીણી]
કબીરના દોહા ગાતા ગાતા હાર્મોનિયમની ચાવીઓ પર ફરતી, સંગીતના સૂરો અને લાગણીઓની એક ભાત ગૂંથતી નેહરુ દાસજીની આંગળીઓમાં એક કુનેહ, એક સરળ, સહજ સમન્વય છે. એક સમયે આ જ આંગળીઓ સાળ (લૂમ) પર કેટલી સહજતાથી ચાલતી હશે એની કલ્પના કરવાનું સરળ છે. જોકે આજકાલ તેમને માટે વણાટકામ કરવા કરતાં ગાવાનું વધુ સ્વાભાવિક છે. તેમણે (વણાટકામનો) એ વારસો તેમના બે દીકરાઓને સોંપ્યો છે. પરંતુ એક કબીર પંથી (15 મી સદીના રહસ્યવાદી કવિ કબીરના અનુયાયી), નેહરુ દાસજી અમને આ ગીત અને તેમના કામ વચ્ચેનો સંબંધ સમજાવવા માટે ઉત્સુક છે.
"જે રીતે ભગવાન આ શરીરને ગૂંથવામાં સમય લે છે, માતાના ગર્ભમાં રહેલું બાળક જન્મ લે એ પહેલા નવ મહિના લાગે છે. હમાર કબીર સાહબ ઈ બાત કો ઔર કપડે બિનન વાલી બાત કો એક દૂસરે સે જોડ સંસાર કો સમઝા રહે હૈ [અમારા કબીર સાહેબ આ વાતને વણવાના કામ સાથે જોડીને આ દુનિયા વિશેનું સત્ય સમજાવે છે]." 78 વર્ષના નેહરુ દાસ પોતાને બૈગાચકના સૌથી વૃદ્ધ વણકર તરીકે ઓળખાવે છે.






















