વિંધ્ય પર્વતો પર સૂર્ય આથમી ગયો છે, અને પક્ષીઓ જંગલમાં પાછા ફર્યા છે. દમા સસ્તિયા માટે પોતાની સફર શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ ખેડૂત સુગત ગામમાં આવેલા પોતાના ઘરથી ખડકાળ રસ્તે એક કિલોમીટર ચાલીને ઝરણા સુધી જાય છે. તેઓ આખી રાત અહીં પાણીના ઘડા ભરવામાં વિતાવશે અને સવારે પાછા ફરશે. 50 વર્ષના દમા સમજાવે છે, "રાત્રે ઝરણું વધુ પાણી છોડે છે."
એક કે બે ઝરણા 534 લોકોની વસ્તી (વસ્તી ગણતરી 2011) ધરાવતા આખા ગામની પાણીની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. વહેલી સવારથી સુગતના રહેવાસીઓ તેમના પાણીના ડબ્બા અને ગધેડાઓ લઈને નહાવા અને પાણી ભરવા માટે ટેકરી પરથી ઊતરીને નીચે નર્મદા નદી સુધી આવે છે. સાંજે આ આખી પ્રક્રિયા ફરીથી થાય છે અને રહેવાસીઓ રોજના સરેરાશ ત્રણ કલાક નહાવા, વાસણો ધોવા અને પાણી ભરવા સહિતના પાણી સંબંધિત કામોમાં વિતાવે છે. ભારતીય બંધારણે પાણીના અધિકારને જીવનના અધિકારનો એક ભાગ બનાવ્યો છે, અને તેથી આ પરિસ્થિતિ માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.
નદીથી સૌથી દૂરનું ઘર લગભગ દોઢ કિલોમીટરના અંતરે છે. રહેવાસીઓને પાણી ભરવા માટે ટેકરી પરથી નીચે ઉતારવામાં અને ઉપર ચઢવામાં એક કલાકથી થોડો વધુ સમય લાગે છે. એક અઠવાડિયામાં તે લગભગ 15 કલાક ચાલવા જેવું છે, કારણ કે ભરેલા ડબ્બા સાથે ચઢાણ ચઢવામાં નીચે ઉતરવા માટે લાગતા સમય કરતા બમણો સમય લાગે છે.
વહેલી સવારે દમાનો દીકરો પરિસ્થિતિનો હવાલો સંભાળી લે છે. આ યુવાન તેમના આઠ જણના પરિવાર માટે મહામૂલા પાણીના ડબ્બા લઈ આવવા માટે પરિવારના બે ગધેડાઓને લઈને આવે છે. હવે આ કામથી ગધેડા એટલા ટેવાઈ ગયા છે કે તેઓ જાતે જ ઘર તરફ રવાના થશે એટલો તેમના પર વિશ્વાસ કરી શકાય છે.
નર્મદા અને નર્મદાની ઉપનદી હથનીના કિનારે રહેતા સુગત અને પડોશી ઝંદાના ગામના રહેવાસીઓ - આ અને બીજા ભીલાલા આદિવાસીઓ માટે પંદર વર્ષ પહેલાં પાણીની કોઈ સમસ્યા નહોતી. પાણી પુષ્કળ હતું અને તેની પહોંચ સરળ હતી.
નર્મદા પર બાંધવામાં આવેલા સરદાર સરોવર બંધને કારણે ગામડાઓ નદીના પાણીમાં ડૂબી ગયા ત્યારે બધું બદલાઈ ગયું. 2014 ની આસપાસ (બંધના) દરવાજા બંધ થઈ ગયા, પરિણામે મધ્યપ્રદેશના સુગત અને ઝંદાના સહિત લગભગ 200 ગામો નદીના પાણીમાં ડૂબી ગયા. આ નદીએ રહેવાસીઓની ખેતીની જમીન છીનવી લીધી. દમા અને તેમના પરિવાર જેવા જે લોકો બીજે સ્થળાંતરિત ન થયા કે બીજે રહેવા ન ગયા તેમને વિંધ્ય પર્વતો પર ઉપર જવાની ફરજ પડી હતી જ્યાં નથી પાણી, નથી વીજળી કે નથી યોગ્ય રસ્તો.




























