બીડ જિલ્લાના માજલગાંવની બે માતાઓ અને તેમની દીકરીઓ ગૌતમ બુદ્ધની ભક્તિમાં ગીતો ગાય છે. તેમનાં ગીતોમાં દેખાઈ આવે છે કે બુદ્ધ લોકોનાં દૈનિક જીવનમાં કેવી રીતે જીવંત છે અને પોતાના ઉપદેશો દ્વારા તેઓ અનુયાયીઓને કેવી રીતે માર્ગદર્શન આપે છે
આજે 26 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા છે, પરંતુ આ વર્ષે ગૌતમ બુદ્ધના જન્મ નિમિત્તે કોઈ સાર્વજનિક ઉત્સવનું આયોજન થયું નથી. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના સાવરગાંવ ગામના 75 વર્ષીય રાધા બોરહાડે કહે છે, “હવે બધે કોરોના ફેલાયો હોવાથી, અમે કોઈ પણ પ્રસંગ માટે મોટા પાયે ઉજવણી કરી શકતા નથી.”
“અમે ઘરે જ પૂજા કરીશું અને બાળકો માટે ખાસ પ્રસાદ તરીકે ખીર બનાવીશું.” રાધાબાઈએ ફોન પર મારી સાથે વાત કરતાં તેમના અવાજમાં થોડી નિરાશા સાથે મને જણાવ્યું કે, “કોવિડ-19 મહામારી અને લોકડાઉનને કારણે 2020માં બુદ્ધ પૂર્ણિમાની જાહેર ઉજવણી થઈ શકી નહોતી, અને આ વર્ષે પણ એવું જ થયું.”
એપ્રિલ 2017માં, જ્યારે પારીની ટીમ બીડના માજલગાંવ તાલુકાના ‘ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ’ (GSP)ના ગાયકોને મળવા ગઈ, ત્યારે અમને સાવરગાંવમાં રાધાબાઈ પાસે મોકલવામાં આવ્યા હતા. આ ગામ એ જ તાલુકાના માજલગાંવ ગામથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલું છે. પાછળથી, પારીએ તેમનાં કેટલાંક ગીતો પ્રકાશિત કર્યાં, જે મૂળ જી.એસ.પી. ટીમ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. તેમનાં ઓવી (Ovi) ગીતો, જે ‘અમારા ભીમરાવ માટે એક લાખ ગીતો પણ ઓછા પડે’ શીર્ષક હેઠળ રજૂ કરાયાં છે, તે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમણે શિક્ષણ, એકતા અને આત્મસન્માનને આપેલા મહત્ત્વની ઉજવણી કરે છે.
‘માજલગાંવનાં ગીતો, મ્હોઉની યાદો’માં, રાધાબાઈ અને અન્ય લોકો, જેઓ નવ બૌદ્ધ સમુદાય (પહેલાં દલિત)ના છે, તેઓ ડૉ. આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કારણ કે તેમના નવયાન બૌદ્ધ ધર્મે તેમને જાતિ આધારિત અત્યાચારનો સામનો કરવા માટે એક નવી ઓળખ આપી. ‘કૃતજ્ઞતાનાં ગીતો, ઉજવણીના જાપ’માં, રાધાબાઈ બુદ્ધના ઉપદેશો અને દલિતોના કલ્યાણ માટે તથા અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે બૌદ્ધ ધર્મ કેવી રીતે ઊભરી આવ્યો તે વિશે ગાય છે.
જ્યારે અમે માજલગાંવની મુલાકાત લીધી, ત્યારે અમારો હેતુ ઓવી ગાયિકાઓ કમલ સાલ્વે (રાધાબાઈનાં દીકરી) અને રંગુ પોટભરેને મળવાનો હતો. પરંતુ તેઓ સંબંધીઓને મળવા ગયાં હોવાથી અમે તેમને મળી શક્યા નહીં. અમે રંગુબાઈનાં માતા, પાર્વતી ભાદરગેને મળી શક્યા નહીં, કારણ કે તેઓ થોડાં વર્ષો પહેલાં જ અવસાન પામ્યાં હતાં.






