ટી.એમ.ક્રિષ્ના તેમના પુસ્તક સેબેસ્ટિયન એન્ડ સન્સમાં કહે છે, “આસારી મૂળભૂત રીતે વિશ્વકર્મા સમુદાયના સભ્યો છે. તેઓ ધાતુ, પથ્થર અને લાકડા સાથે કામ કરતા ભૌતિક કલાના લોકો છે. જો કે હવે આ સમુદાયના ઘણા લોકો તેમના તેમના સર્જનાત્મક વ્યવસાયોથી દૂર થઈ ગયા છે અને પરંપરાગત જાતિ-આધારિત વ્યવસાયો સંબંધિત શારીરિક શ્રમ માગી લેતી પ્રવૃત્તિઓમાં લાગી ગયા છે. યુવા પેઢીના લોકો 'વ્હાઈટ કોલર જોબ' તરફ પણ વળ્યા છે."
ક્રિષ્ના નોંધે છે, "જ્યારે આપણે વંશપરંપરાગત, જાતિ-બંધિત વ્યવસાયોની વાત કરીએ ત્યારે આપણે આંતર-પેઢીના સાતત્ય દ્વારા જ્ઞાન ઉત્પત્તિનું રૂપાળું નામ આપીને એવા વ્યવસાયોને હકીકતમાં એ છે એનાથી વધુ રસપ્રદ અને આકર્ષક ન બતાવીએ એની સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણા સામાજિક માળખામાં બધા લોકો અને બધા વ્યવસાયો સમાન નથી. વિશેષાધિકૃત જાતિના પરિવારોમાં પેઢી-દર-પેઢી પસાર થતા કામને જ્ઞાન અને આવી જાતિ-મર્યાદિત ભાગીદારી ચાલુ રાખવાને જાળવણી ગણવામાં આવે છે. અને તેને અપનાવનારને અત્યાચારનો સામનો કરવાનો વારો નથી આવતો. પરંતુ એથી ઉલટું, દલિત અથવા છેવાડાના સમુદાયોમાં પેઢી દર પેઢી ચાલુ રહેલ વ્યવસાયો અને કામના સ્વરૂપોને જ્ઞાન ગણવામાં આવતા નથી. કે ન તો એ લોકોને જ્ઞાન સર્જક. તેઓને નીચા ગણવામાં આવે છે, તેમની કદર થતી નથી અને તેમના કામને શારીરિક શ્રમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અને સૌથી અગત્યનું તો એ કે જેઓ એ વ્યવસાયો કરે છે તેમને જાતિ આધારિત જુલમ અને હિંસાનો સામનો કરવો પડે છે. ઘણા કિસ્સાઓમાં સામાજિક સંજોગોને કારણે તેમની પાસે કુટુંબ-જ્ઞાતિ દ્વારા સોંપાયેલ કામ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી.”
ક્રિષ્ના કહે છે, "આ દેશના તમામ વાજિંત્ર ઉત્પાદકોની વાત કરવામાં આવે - જો કરવામાં આવે તો - ટેક્નિકલ દ્રષ્ટિએ કરવામાં આવે છે, તેઓને બાંધકામના સ્થળે કામ કરતા એક મેસ્ત્રી [સુથાર] થી વિશેષ ગણવામાં આવતા નથી. મુખ્ય કર્તા-હર્તા, આર્કિટેક્ટ ગણાય છે [વાદ્ય] વગાડનાર. આ કારીગરોને શ્રેય આપવાનો ઈનકાર કરવામાં આવે છે - અથવા જો અપાય તો એ કરકસરપૂર્વક અને અનિચ્છાએ આપવામાં આવે છે - અને તેનું કારણ છે જાતિનું પૂર્વગ્રહયુક્ત રાજકારણ."
કુપ્પુસામી કહે છે કે મૃદંગમ બનાવવામાં મુખ્યત્વે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. “થોડી ઘણી મહિલાઓ છે જે મુખ્યત્વે ચામડાનું કામ કરે છે. પરંતુ લાકડાનું બધું જ કામ ફક્ત પુરુષો જ કરે છે. એ માટે જે લાકડું મેળવવામાં આવે છે તે સામાન્ય રીતે ફણસના એવા ઝાડનું હોય છે જેણે ફળ આપવાનું બંધ કરી દીધું છે. તેઓ જૂના અને બિનઉત્પાદક વૃક્ષોને "બંધ" કરી દેશે. અને કાપવામાં આવેલ દરેક દસ ઝાડ દીઠ તેઓ 30 નવા ઝાડ વાવે છે."
"કુપ્પુસામી ચોક્કસ વિશિષ્ટતા ધરાવતા લાકડા જ પસંદ કરે છે. તેઓ લગભગ 9 કે 10 ફૂટ ઊંચા, પહોળા (મોટા ઘેરાવાવાળા) અને મજબૂત અને વાડની નજીક અથવા રસ્તાની બાજુમાં વાવેલા વૃક્ષો પસંદ કરે છે. આદર્શ સ્થિતિમાં તેઓ લાકડાનો નીચેનો, રંગમાં વધુ ઘાટો ભાગ પસંદ કરે છે, જે વધુ સારો અનુનાદ સુનિશ્ચિત કરે છે.
એક જ દિવસમાં તેઓ લગભગ છ મૃદંગમ માટે લાકડું કાપીને તેને આકાર આપી શકે છે. પરંતુ આખરી ઓપ આપવામાં હજી બે દિવસ વધારે લાગશે. તેમનો નફો સાવ નજીવો છે - તેઓ કહે છે કે મૃદંગમ દીઠ 1000 રુપિયાની કમાણી થઈ શકે તો પણ તેઓ ખુશ છે. અને તે આ કામ માટે શ્રમિકોને 1000 રુપિયા ચૂકવ્યા પછી. આ મહેનત માગી લેતું કામ છે, અને તમને ખબર નથી પણ પૂરતી મજૂરી ન આપીએ તો કોઈ આવે નહીં આ કામ કરવા."
આ લાકડું આખું વર્ષ નથી મળતું. તેઓ ભારપૂર્વક જણાવે છે કે જ્યારે વૃક્ષો હજી ફળ આપતા હોય ત્યારે કોઈ તેમને કાપી નહીં નાખે. તેઓ કહે છે કે તેથી "મારે લાકડું સ્ટોકમાં રાખવું પડે છે." તેઓ 20 થડિયા ખરીદવા માટે, એક થડિયા દીઠ 25000 રુપિયા લેખે, કુલ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે છે. અને અહીં તેમને સરકારની દરમ્યાનગીરીની જરૂર જણાય છે. "જો સરકાર અમને લાકડું ખરીદવા સબસિડી અથવા લોન આપે તો...અમારે માટે એ ઘણું સારું રહેશે!"
કુપ્પુસામી કહે છે કે સ્થાનિક બજારો અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં મૃદંગમની સારી માંગ છે. "એક મહિનામાં હું 50 મૃદંગમ અને 25 તવિલ વેચું છું." ખરી મુશ્કેલી યોગ્ય લાકડું મેળવવાની અને લગભગ ચાર મહિના સુધી તેને પકવવાની છે. અને કુપ્પુસામી કહે છે કે પનરુટીના ફણસના ઝાડનું લાકડું "શ્રેષ્ઠ" હોવાથી" તેની ભારે માંગ છે." અને આ લાકડામાંથી બનેલા મૃદંગમમાંથી નીકળતા સારા અવાજનું શ્રેય તેઓ આ પ્રદેશની લાલ માટીને આપે છે.