MH34AB6880 નંબર પ્લેટવાળી સુધારા કરેલી મહિન્દ્રાની એક ભારવાહક ગાડી ગામના વ્યસ્ત ચોક પર આવીને અટકે છે, જે ગામ 2920 મેગાવોટના સુપર થર્મલ પાવર સ્ટેશન, કોલસાની વૉશરીઝ (ધોવાણ કેન્દ્રો), રાખના ઢગલા અને ચંદ્રપુરની બહારના ગાઢ ઝાડના જંગલની વચ્ચે આવેલું છે.

વાહનની બંને બાજુએ નારાઓ અને છબીઓ સાથેના રંગીન અને આકર્ષક પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. તે ઓક્ટોબર 2023ની શરૂઆતમાં એક રવિવારની સવારે આખા ગામનું ધ્યાન ખેંચે છે; બાળકો, પુરુષો અને સ્ત્રીઓ કોણ આવ્યું છે તે જોવા માટે ત્યાં દોડી આવે છે.

વિઠ્ઠલ બદખલ વાહનમાંથી બહાર નીકળે છે − તેમની બાજુમાં એક ડ્રાઈવર અને એક સહાયક છે. 70 વર્ષીય વિઠ્ઠલ તેમના જમણા હાથમાં માઇક્રોફોન અને તેમની ડાબા હાથમાં ભૂરી ડાયરી પકડીને ઉભેલા છે. સફેદ ધોતી, સફેદ કુર્તો અને સફેદ નહેરુ ટોપીમાં સજ્જ તેઓ માઈકમાં વાત કરવાનું શરૂ કરે છે, જે વાહનના આગળના દરવાજા પર લગાવેલા લાઉડસ્પીકર સાથે જોડાયેલું છે.

તેઓ સૌપ્રથમ તો તેમના અહીં આવવાનું કારણ સમજાવે છે. તેમનો અવાજ આ 5,000 લોકોની વસ્તી ધરાવતા ગામના ખૂણા-ખૂણાઓમાં ગુંજી રહ્યો છે, જ્યાં મોટાભાગના લોકો ખેડૂત છે અને અન્ય લોકો નજીકના કોલસાના એકમો અથવા નાના ઉદ્યોગોમાં દૈનિક વેતનનું કામ કરે છે. ભાષણ પાંચ મિનિટ સુધી ચાલે છે અને જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે બે અનુભવી ગ્રામવાસીઓ સ્મિત સાથે તેમનું સ્વાગત  કરે છે.

ગામના મુખ્ય ચોકમાં નાની કરિયાણાની દુકાન ચલાવતા 65 વર્ષીય ખેડૂત હેમરાજ મહાદેવ દિવસ કહે છે, “અરે મામા, નમસ્કાર, યા બાસા (નમસ્તે કાકા, શુભેચ્છાઓ! મહેરબાની કરીને આવો, બેસો).”

બદખલ મામા હાથ જોડીને જવાબ આપે છે, “નમસ્કાર જી.”

Vitthal Badkhal on a campaign trail in Chandrapur in October 2023. He is fondly known as ‘Dukkarwale mama ’ – ran-dukkar in Marathi means wild-boar. He has started a relentless crusade against the widespread menace on farms of wild animals, particularly wild boars. His mission is to make the government acknowledge the problem, compensate and resolve it.
PHOTO • Sudarshan Sakharkar
Hemraj Mahadev Diwase is a farmer who also runs a grocery shop in Tadali village. He says the menace of the wild animals on farms in the area is causing losses
PHOTO • Sudarshan Sakharkar

ડાબેઃ ઓક્ટોબર 2023માં ચંદ્રપુરમાં પ્રચાર અભિયાન દરમિયાન વિઠ્ઠલ બદખલ. તેઓ પ્રેમથી ડુક્કરવાળા  મામા' તરીકે ઓળખાય છે − મરાઠીમાં રન−ડુક્કરનો અર્થ થાય છે જંગલી ભૂંડ. તેમણે જંગલી પ્રાણીઓ, ખાસ કરીને જંગલી ડુક્કરના ખેતરો પરના વ્યાપક ખતરા સામે અવિરત યુદ્ધ શરૂ કર્યું છે. તેમનું મિશન સરકારને સમસ્યાનો સ્વીકાર કરાવવાનું, વળતર અપાવવાનું અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું છે. જમણેઃ હેમરાજ મહાદેવ દિવસ એક ખેડૂત છે જેઓ તડાળી ગામમાં કરિયાણાની દુકાન પણ ચલાવે છે. તેઓ કહે છે કે આ વિસ્તારના ખેતરોમાં જંગલી પ્રાણીઓના ખતરાને કારણે નુકસાન થઈ રહ્યું છે

ગામલોકોથી ઘેરાયેલા, તેઓ શાંતિથી કરિયાણાની દુકાન તરફ ચાલે છે અને પીઠ દુકાન ભણી રાખીને ગામના ચોકની સામે મૂકેલી પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી જાય છે, જ્યાં યજમાન, દિવસે તેમની વાટ જોઈ રહ્યા હોય છે.

નરમ સફેદ સુતરાઉ ટુવાલથી તેના ચહેરા પરનો પરસેવો લૂછીને અહીં ‘મામા’ના હુલામણા નામથી પ્રખ્યાત વિઠ્ઠલ, લોકોને બેસવા અથવા આસપાસ ઊભા રહેવા અને તેમની અપીલ સાંભળવા માટે વિનંતી કરે છે − અથવા 20 મિનિટના વર્કશોપમાં ખરેખર શું હશે તેની જાણ કરે છે.

તે પછી તેઓ જંગલી પ્રાણીઓના હુમલાઓ, સાપ કરડવાના વધતા કિસ્સાઓ અને વાઘના હુમલામાં માનવ મૃત્યુને કારણે ખેડૂતો તેમના ખેતરોમાં પાકના નુકસાન સામે વળતરનો દાવો કેવી રીતે કરી શકે તે અંગેની ઉંડાણપૂર્વક માર્ગદર્શિકા રજૂ કરે છે. તેઓ કંટાળાજનક અને બોજારૂપ પ્રક્રિયાને સરળ બનાવીને રજૂ કરે છે અને મુશ્કેલીમાં ફસાયેલા ગ્રામજનોને સમજાવે છે; તેઓ ચોમાસા દરમિયાન ખેતરોમાં કામ કરતી વખતે વીજળી પડવાથી બચવા માટે નિવારક પગલાં લેવા અંગે પણ વાત કરે છે.

બદખલ શુદ્ધ મરાઠીમાં આગળ બોલે છે, “અમે જંગલી પ્રાણીઓ, વાઘ, સાપ, વીજળીથી પરેશાન છીએ − સરકાર આપણને સાંભળે એવું આપણે કેવી રીતે કરી શકીએ?” તેમનો જોમભેર સ્વર તેમના પ્રેક્ષકોને વળગેલા રાખે છે. “જ્યાં સુધી આપણે તેમના દરવાજા ખખડાવીશું નહીં, ત્યાં સુધી સરકાર કેવી રીતે જાગશે?”

તેમના પોતાના પ્રશ્નનો જવાબ આપવા માટે, તેઓ ચંદ્રપુરની આસપાસના ગામડાઓમાં પ્રવાસ કરે છે અને જાગૃતિ ફેલાવે છે અને ખેડૂતોને જંગલી પ્રાણીઓના ધાડ પાડવાના કારણે પાકને થયેલા નુકસાન સામે વળતર કેવી રીતે મેળવવું તે સમજાવે છે.

તેઓ તેમને કહે છે કે ટૂંક સમયમાં જ ભદ્રાવતી શહેરમાં ખેડૂતોની એક રેલી યોજવામાં આવશે. આગામી ગામમાં જવા માટે તેમની ગાડીમાં બેસતા પહેલાં તેઓ ગ્રામજનોને હાકલ કરે છે, “તમારે બધાંએ પણ ત્યાં આવવું જ જોઈએ.”

*****

યુવાન વિદ્યાર્થીઓ તેમને 'ગુરુજી' કહે છે, જેનો અર્થ થાય છે શિક્ષક. તેમના સમર્થકો તેમને 'મામા' કહે છે. તેમની પોતાની ખેડૂત જનજાતિમાં, વિઠ્ઠલ બદખલને ડુક્કરવાળા  મામા' તરીકે ઓળખવામાં આવે છે − મરાઠીમાં રન-ડુક્કરનો અર્થ જંગલી ભૂંડ થાય છે. તેમને આ બિરુદ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેમણે જંગલી પ્રાણીઓ, ખાસ કરીને જંગલી ડુક્કરના ખેતરો પરના વ્યાપક ખતરા સામે અવિરત યુદ્ધ શરૂ કર્યું છે. તેમનું મિશન સરકારને સમસ્યાનો સ્વીકાર કરાવવાનું, વળતર આપવાનું અને તેનો ઉકેલ લાવવાનું છે.

Women farmers from Tadali village speak about their fear while working on farms which are frequented by wild animals including tigers.
PHOTO • Sudarshan Sakharkar
Vitthal Badkhal listens intently to farmers
PHOTO • Sudarshan Sakharkar

ડાબેઃ તડાળી ગામની મહિલા ખેડૂતો ખેતરમાં કામ કરતી વખતે તેમના ડર વિશે વાત કરે છે જ્યાં વાઘ સહિત જંગલી પ્રાણીઓ વારંવાર ધાડ પામે છે. જમણેઃ વિઠ્ઠલ બદખલ ખેડૂતોને ધ્યાનથી સાંભળે છે

બદખલનું કામ એક વ્યક્તિનું સ્વૈચ્છિક મિશન રહ્યું છે, જેઓ ખેડૂતોને પાકના નુકસાન માટે વળતર મેળવવા માટે એકત્ર કરે છે, તેમને સ્થળ નિરીક્ષણથી લઈને રજૂઆત કરવા સુધીની કંટાળાજનક પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને દાવાઓ કેવી રીતે દાખલ કરવા તે અંગે શિક્ષિત કરે છે.

તેમનું મેદાન છે: તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ (ટી.એ.ટી.આર.)ની આસપાસનો આખો ચંદ્રપુર જિલ્લો.

આ મુદ્દા તરફ સરકારનું ધ્યાન દોરવા માટેનો જસ લેવા માટે ઘણા દાવેદારો છે. પરંતુ લગભગ તો આ વ્યક્તિના આંદોલનને કારણે જ મહારાષ્ટ્ર સરકારે સૌપ્રથમ આ સમસ્યાનો સ્વીકાર કર્યો હતો; તેમણે 2003માં એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં જંગલી પ્રાણીઓના હુમલાઓને કારણે ખેડૂતોને પાકના નુકસાન માટે રોકડ વળતરને મંજૂરી આપવામાં આવી હતી જેને લોકો “એક નવા પ્રકારના દુષ્કાળ” સાથે સરખાવે છે. બદખલ કહે છે કે તેમણે ખેડૂતોને શિક્ષિત કરવા અને એકત્ર કરવા અને વારંવાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યાના પાંચ-છ વર્ષ પછી આ પગલાં લેવાયાં હતાં.

1996માં, જ્યારે ભદ્રાવતીની આસપાસ કોલસા અને લોખંડની કાચી ધાતુની ખાણોનો ફેલાવો થયો, ત્યારે તેમણે તેમની સંપૂર્ણ ખેતીની જમીન જાહેર ક્ષેત્રની પેટાકંપની કોલ ઇન્ડિયા લિમિટેડની પેટાકંપની વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ડબલ્યુ.સી.એલ.) દ્વારા ખોલવામાં આવેલી ખુલ્લી કાસ્ટ ખાણમાં ગુમાવી દીધી હતી. બદખલ જે તેલવાસા-ઢોરવાસાના જે જોડિયા ગામોમાંથી આવે છે, તે ગામોના ઘણા લોકોએ ખાણોના કારણે પોતાની જમીન ગુમાવવી પડી હતી.

ત્યાં સુધીમાં તો, ખેતરો પર જંગલી પ્રાણીઓના હુમલાઓ ભયજનક બની ગયા હતા. તેઓ કહે છે કે બે કે ત્રણ દાયકામાં જંગલોની ગુણવત્તામાં સતત પરિવર્તન, સમગ્ર જિલ્લામાં નવા ખાણકામ પ્રોજેક્ટોના વિસ્ફોટ અને થર્મલ પાવર પ્લાન્ટ્સના વિસ્તરણને કારણે જંગલી પ્રાણીઓ અને માનવો વચ્ચેના સંઘર્ષમાં ધરખમ વધારો થયો છે.

તેમનાં પત્ની મંડતાઈ સાથે, બદખલ વર્ષ 2002ની આસપાસ ભદ્રાવતીમાં સ્થળાંતરિત થયા હતા અને સંપૂર્ણ સમયના સામાજિક કાર્યકર તરીકે મેદાને ઊતર્યા હતા. તેઓ વ્યસન વિરોધી અને ભ્રષ્ટાચાર વિરોધી લડત પણ લડે છે. તેમના બે પુત્રો અને એક પુત્રી બધાં પરિણીત છે અને તેમના પિતાથી વિપરીત લો-પ્રોફાઇલ જીવન જીવે છે.

પોતાના જીવનનિર્વાહ માટે, મામાનું એક નાનું ફાર્મ પ્રોસેસિંગ સાહસ છે − તેઓ મરચાં અને હળદરનો પાવડર, ઓર્ગેનિક ગોળ અને મસાલા વેચે છે.

Badkhal with farmers in the TATR. He says, gradual changes over two or three decades in the quality of forests, an explosion of new mining projects all over the district and expansion of thermal power plants have cumulatively led to the aggravation of the wild-animal and human conflict
PHOTO • Sudarshan Sakharkar

ટી.એ.ટી.આર.માં ખેડૂતો સાથે બદખલ. તેઓ કહે છે કે, બે કે ત્રણ દાયકામાં જંગલોની ગુણવત્તામાં સતત પરિવર્તન, સમગ્ર જિલ્લામાં નવા ખાણકામ પ્રોજેક્ટોના વિસ્ફોટ અને થર્મલ પાવર પ્લાન્ટ્સના વિસ્તરણને કારણે જંગલી પ્રાણીઓ અને માનવો વચ્ચેના સંઘર્ષમાં વધારો થયો છે

વર્ષો જતાં, એક અટલ મામાએ ચંદ્રપુર અને તેના પડોશી જિલ્લાઓમાંથી ખેડૂતોને શાકાહારી પ્રાણીઓ અને જંગલી પશુઓ દ્વારા પાકને થતા વ્યાપક નુકસાન તેમજ માંસભક્ષી પ્રાણીઓના હુમલામાં માનવ મૃત્યુ સામે વળતર માટે સરકારને અંદાજપત્રમાં વધારો કરવા માટે એકત્ર કર્યા છે.

જ્યારે 2003માં પ્રથમ સરકારી ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે વળતર માત્ર થોડાક સો રૂપિયા જ હતું − જ્યારે હવે તે એક ઘર માટે વર્ષમાં મહત્તમ 2 હેક્ટર જમીન માટે હેક્ટર દીઠ 25,000 રૂપિયા છે. બદખલ મામા કહે છે કે, તે પૂરતું તો નથી, પરંતુ રાજ્ય સરકારે વળતરની રકમમાં વધારો કર્યો છે તે પોતે જ સમસ્યાની સ્વીકૃતિ છે. તેઓ કહે છે, “અસલ સમસ્યા એ છે કે રાજ્યભરના ઘણા ખેડૂતો દાવાઓ માટે અરજી નથી કરતા.” આજે તેમની માંગ છે કે તે વળતર વધારીને દર વર્ષે હેક્ટર દીઠ 70,000 રૂપિયા કરવામાં આવે, કારણ કે “તે પૂરતું વળતર હશે.”

તત્કાલીન પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ) સુનીલ લિમયેએ માર્ચ 2022માં એક સામાન્ય વાતચીત દરમિયાન પારીને જણાવ્યું હતું કે, મોટા માંસભક્ષી પ્રાણીઓના હુમલામાં પશુઓની હત્યા, પાકને નુકસાન અને માનવ મૃત્યુના વળતર પેટે મહારાષ્ટ્રમાં વન વિભાગ વાર્ષિક 80-100 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.

મામા કહે છે, “આ તો બહુ ઓછી રકમ છે. ભદ્રાવતી [તેમનો વતન તાલુકો] તાલુકામાં વધુ ખેડૂતો તેના માટે અરજી કરે છે, કારણ કે તેઓ અન્ય ખેડૂતપ કરતાં વધુ જાગૃત અને વધુ સારી રીતે પ્રશિક્ષિત હોય છે, તેના પરિણામે તેમને વાર્ષિક 2 કરોડ રૂપિયાનું વળતર મળે છે. “અન્યત્ર, આ મુદ્દો એટલો ચર્ચાનું કારણ નથી હોતો.”

રમૂજ અને સૂરની ગામઠી ભાવના ધરાવતા આ માણસ ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી શહેરમાં તેમના ઘરે કહે છે, “હું છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહ્યો છું. હું મારું બાકીનું જીવન પણ આમાં જ વિતાવીશ.”

આજે, આખા મહારાષ્ટ્રમાં બદખલ મામાની બોલબાલા છે.

Badkhal mama is in demand all over Maharashtra. 'I’ve been doing it for 25 years... I will do it for the rest of my life,' says the crusader from Bhadravati town in Chandrapur district
PHOTO • Jaideep Hardikar

બદખલ મામાની માંગ સમગ્ર મહારાષ્ટ્રમાં છે. ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી શહેરના વિઠ્ઠલ કહે છે, 'હું છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહ્યો છું. હું મારું બાકીનું જીવન પણ આમાં જ વિતાવીશ'

મહારાષ્ટ્ર સરકારે વળતરની રકમમાં વધારો કર્યો છે. બદખલ કહે છે કે આ સમસ્યાની સ્વીકૃતિ છે. પરંતુ, રાજ્યભરના ઘણા ખેડૂતો દાવા માટે અરજી દાખલ કરતા નથી. તેઓ વળતરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે

*****

ફેબ્રુઆરી 2023માં એક ઠંડા અને પવનના સુસવાટા ભર્યા દિવસે, પારી ટી.એ.ટી.આર.ની પશ્ચિમમાં આવેલા ભદ્રાવતી તાલુકામાં નજીકના ગામડાઓની તેમની સામાન્ય મુલાકાત સમયે તેમની સાથે જોડાય છે. એ સમયે મોટાભાગના ખેડૂતો રવી પાકની લણણી કરી રહ્યા છે.

ચાર કે પાંચ ગામડાઓની મુલાકાત દરમિયાન તમામ જાતિઓ અને વિવિધ પ્રકારની જમીનોની માલિકી ધરાવતા ખેડૂતોની પરેશાની હતાશા છતી થાય છે, જેઓ બધા જંગલી પ્રાણીઓની ધાડની એક જ માથાકૂટથી કંટાળેલા છે.

“આ જુઓ,” તેમના લીલા ચણાના વાવેતરની વચ્ચે ઊભેલા એક ખેડૂત કહે છે. “મારા માટે આમાંથી શું બચ્યું છે?” આ ખેતરને આગલી રાત્રે જંગલી ડુક્કરોએ રગદોળી નાખ્યું હતું. તે ખેડૂત નિરાશ થઈને કહે છે કે, ગઈ રાત્રે તેમણે આ ભાગનો પાક આરોગી લીધો છે. આજે રાત્રે, તેઓ ફરીથી રાત્રે આવશે, અને આ ખેતરમાં જે બાકી છે તે બધું પૂરું કરી દેશે. તેઓ ચિંતાતુર સૂરે પૂછે છે, “હું શું કરું, મામા?”

બદખલ ખેતરમાં થયેલા નુકસાનનો અંદાજ કાઢે છે, ત્યારે તેઓ અવિશ્વાસથી માથું ધૂણાવે છે અને જવાબ આપે છેઃ “હું એક વ્યક્તિને કેમેરા સાથે મોકલીશ; તેને ફોટોગ્રાફ્સ અને વીડિયો લેવા દેજો, અને તે તમને અરજીપત્રક ભરીને તેના પર સહી કરાવશે; આપણે સ્થાનિક રેન્જના વન અધિકારી પાસે દાવો રજૂ કરવો પડશે.”

Manjula helps farmers with the paperwork necessary to file claims. Through the year, and mostly during winters, she travels on her Scooty (gearless bike) from her village Gaurala covering about 150 villages to help farmers with documentation to apply for and claim compensation.
PHOTO • Jaideep Hardikar
Vitthal Badkhal visiting a farm
PHOTO • Jaideep Hardikar

ડાબેઃ મંજુલા ખેડૂતોને દાવા માટે અરજી દાખલ કરવા માટે જરૂરી કાગળની કામગીરીમાં મદદ કરે છે. આખું વર્ષ, અને મોટાભાગે શિયાળા દરમિયાન, તેઓ તેમના ગામ ગૌરાળાથી તેમની સ્કૂટી (ગિયરલેસ બાઇક) પર મુસાફરી કરે છે. તેઓ ખેડૂતોને વળતર માટે અરજી કરવા અને દાવો કરવા માટે દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવા માટે લગભગ 150 ગામોને આવરી લે છે. જમણેઃ વિઠ્ઠલ બદખલ ખેતરની મુલાકાતે

આ કામ કરવા જે વ્યક્તિ આવે છે તે 35 વર્ષીય મંજુલા બદખલ છે, જેઓ ગૌરાળા ગામનાં જમીનવિહોણાં મહિલા છે. તેઓ માઇક્રો ક્લોથ એન્ટરપ્રાઇઝ ચલાવે છે અને ખેડૂતોને આ વ્યાવસાયિક સેવા પણ પૂરી પાડે છે.

આખું વર્ષ, અને મોટે ભાગે શિયાળા દરમિયાન, તેઓ ખેડૂતોને વળતર માટે અરજી કરવા અને દાવો કરવા માટે દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવા માટે લગભગ 150 ગામોમાં તેમની સ્કૂટી (ગિયરલેસ બાઇક) પર મુસાફરી કરે છે.

મંજુલા પારીને કહે છે, “હું ફોટા લઉં છું, તેમનાં ફોર્મ ભરું છું, જો જરૂરી હોય તો સોગંદનામા તૈયાર કરું છું અને ખેતરમાં હિસ્સો ધરાવતા પરિવારના સભ્યોની સંમતિ લઉં છું.”

એક વર્ષમાં કેટલા ખેડૂતો હોય છે?

તેઓ કહે છે, “જો તમે ગામમાં 10 ખેડૂતોનું કામ કરો, તો પણ, તે મળીને લગભગ 1,500 થાય છે.” તેઓ આ કામ કરવા માટે ખેડૂત દીઠ 300 રૂપિયા લે છે, જેમાંથી 200 રૂપિયા તો તેમના મુસાફરી ખર્ચ, ફોટોકોપીના ખર્ચ અને અન્ય પરચુરણ ખર્ચમાં જ જાય છે. તેઓ ઉમેરે છે કે, તેમની મહેનત માટે તેઓ 100 રૂપિયા લે છે અને બધા ખેડૂતો તેમને આ રકમ ખુશી ખુશી આપી દે છે.

The 72-year-old activist resting at Gopal Bonde’s home in Chiprala, talking to him (left) and his family about filing claims
PHOTO • Jaideep Hardikar

આ 72 વર્ષીય કાર્યકર્તા ગોપાલ બોન્ડેના ચિપરાલામાં આવેલા ઘરે આરામ કરી રહ્યાં છે, અને તેમના (ડાબે) અને તેમના પરિવાર સાથે દાવા માટે અરજી દાખલ કરવા વિશે વાત કરી રહ્યાં છે

આ દરમિયાન, મામા ખેડૂતને તેમની સલાહ આપવાનું ચાલુ રાખે છેઃ તેઓ તેમને કહે છે કે અધિકારીઓની એક ટીમ આવે ત્યાં સુધી રાહ જુઓ અને ખેડૂતના દાવાની ચકાસણી કરવા માટે તેમને પંચનામું અથવા સ્થળ નિરીક્ષણ કરવા દો. તેઓ કહે છે કે તલાટી, વન રક્ષક અને કૃષિ સહાયક આવીને ખેતરનું નિરીક્ષણ કરશે. તેઓ સમજાવતાં કહે છે, “તલાટી જમીનનું કદ માપશે; કૃષિ સહાયક જે જાનવરોએ જે પાક બગાડ્યો છે તેની નોંધ કરશે; અને વન રક્ષક કયા જંગલી પ્રાણીએ તેમના પાકને નુકસાન પહોંચાડ્યું છે તેની ભાળ કાઢશે.” તેઓ ઉમેરે છે કે આ નિયમ છે.

બદખલ તેમને અગ્નિમય સૂરમાં ખાતરી આપતાં કહે છે, “તમને તમારી બાકીની રકમ મળીને રહેશે; જો તમને નહીં મળે, તો અમે તેના માટે લડીશું.” આનાથી માત્ર ખેડૂતના મૂડને જ નહીં પરંતુ તેમને ખૂબ જરૂરી સાંત્વના અને નૈતિક સમર્થન પણ મળે છે.

તે ખેડૂત ચિંતામય સૂરે પૂછે છે, “જો અધિકારીઓ સ્થળની તપાસ કરવા નહીં આવે તો શું થશે?”

બદખલ ધીરજથી સમજાવે છેઃ ઘટના ઘટ્યાના 48 કલાકની અંદર દાવા માટે અરજી દાખલ કરવી જરૂરી હોય છે, જેના પછી ફરિયાદ દાખલ કરવી આવશ્યક હોય છે, અને ટીમે સાત દિવસની અંદર તમારા ખેતરની મુલાકાત લેવી જરૂરી છે, અને તેમના નિરીક્ષણના 10 દિવસની અંદર અહેવાલ રજૂ કરવો પણ ફરજિયાત છે. તેઓ કહે છે કે ખેડૂતોને 30 દિવસની અંદર વળતર મળી જવું જોઈએ.

બદખલ તેમને સમજાવતાં કહે છે, “જો તેઓ તમારી અરજીના 30 દિવસની અંદર ન આવે તો નિયમ મુજબ આપણે આપેલો સ્થળ નિરીક્ષણ અહેવાલ અને ફોટોગ્રાફ્સ વિભાગે પુરાવા તરીકે સ્વીકારવા પડશે.”

તે ખેડૂત હાથ જોડીને વિનંતી કરતાં કહે છે, “મામા, માઈ ભિસ્ત તુમચ્યાવર હે [જુઓ મામા, મારું ભાગ્ય તમારા હાથમાં છે].” મામા તેને ખભા પર થપથપાવે છે અને તેને સાંત્વના આપતાં કહે છે: “ચિંતા ન કરો.”

તેઓ કહે છે કે તેમની ટીમ આવું એક વાર કરી આપશે; પછીથી તેમણે (ખેડૂતે) તેને જાતે કરવાનું શીખી લેવું પડશે.

Vitthal Badkhal inspecting the farm of one of his close volunteers, Gopal Bonde in Chiprala village of Bhadravati tehsil , close to the buffer area of the TATR. The farm is set for rabi or winter crop, and already wild animals have announced their arrival on his farm
PHOTO • Jaideep Hardikar

વિઠ્ઠલ બદખલ ટી.એ.ટી.આર.ના બફર વિસ્તારની નજીક ભદ્રાવતી તાલુકાના ચિપરાલા ગામમાં તેમના નજીકના સ્વયંસેવકોમાંથી એક ગોપાલ બોન્ડેના ખેતરનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ખેતર રવી અથવા શિયાળાના પાક માટે તૈયાર કરવામાં આવ્યું છે, અને પહેલેથી જ જંગલી પ્રાણીઓ તેમના ખેતરમાં આવવા લાગ્યાં છે

આવી વ્યક્તિગત સ્થળ મુલાકાતોથી વિપરીત, મામા ઝુંબેશ દરમિયાન અચાનક વર્કશોપનું પણ આયોજન કરે છે; તેઓ ગ્રામવાસીઓને વળતર દાવા માટેના ફોર્મના નમૂનાઓનું વિતરણ કરે છે.

તેઓ ઓક્ટોબર 2023માં તેમના અભિયાન દરમિયાન તડાળીમાં એકત્ર થયેલા ગામવાસીઓને કહે છે, “મારી પત્રિકા કાળજીપૂર્વક વાંચો.”

“જો કોઈ મૂંઝવણ હોય, તો હાલ મને પૂછી લો, હું સ્પષ્ટતા કરીશ.” તેમના ફોર્મ મરાઠીમાં વાંચવાં સરળ હોય છે. તેમાં વ્યક્તિગત વિગતો, જમીનનું કદ, પાકની રીત વગેરે જેવી માહિતી ભરવા માટે સ્તંભો આપેલા છે.

બદખલ કહે છે, “આ ફોર્મની સાથે, તમારે તમારા 7/12 ઉતારા [સાત-બાર જમીનના રેકોર્ડ], આધાર કાર્ડ, બેંકની વિગતો અને જંગલી પ્રાણીઓ દ્વારા ખાવામાં આવતા પાકને સ્પષ્ટપણે દર્શાવતા ખેતરના ફોટા જોડવાના હોય છે. તમારે ભૂલ્યા વિના ફરિયાદ-કમ-દાવો રજૂ કરવો જ જોઈએ − અને જો તમારે તેને એક મોસમમાં એકથી વધુ વાર કરવું પડે તો પણ તેનાથી ખચકાવ નહીં.” તેઓ કટાક્ષ કરીને કહે છે, “પીડા વિના કોઈ લાભ નથી.”

જ્યારે કાયદો કહે છે કે તેને 30 દિવસની અંદર જમા કરી દેવું પડશે, ત્યારે સરકાર નાણાંનું વિતરણ કરવામાં એક વર્ષ જેટલો સમય લે છે. તેઓ કહે છે, “અગાઉ વન અધિકારીઓ આ કામ કરવા માટે લાંચ માંગતા હતા. હવે અમે સીધા બેંક ટ્રાન્સફરનો આગ્રહ રાખીએ છીએ.”

Badkhal at his home in Bhadravati tehsil of Chandrapur district
PHOTO • Jaideep Hardikar

ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં તેમના ઘરે બદખલ

ખેતરો પર જંગલી પ્રાણીઓની ધાડમાં કોઈ પણ મોટા પાયે નિવારક પગલાં ન તો બુદ્ધિગમ્ય છે કે ન તો શક્ય છે, તેથી નુકસાન ઘટાડવા માટેનું એકમાત્ર ઉપલબ્ધ પગલું છે એ ખેડૂતને વળતર આપવું. કૃષિ નુકસાનની ગણતરી કરવાની અને નિર્ધારિત વૈધાનિક પ્રક્રિયાગત માર્ગદર્શિકાના બદલામાં વળતરના દાવા દાખલ કરવાની પ્રક્રિયા એક બોજારૂપ પ્રક્રિયા છે, જે એટલા માટે આવી રીતે બનાવવામાં આવી છે કે જેથી મોટાભાગના લોકો તેનો લાભ લેવાથી બચે.

પરંતુ બદખલ કહે છે, “જો અમારે તે કરવું પડે; તો અમે તેને કરીને રહીશું.” અને તેઓ માને છે કે તેમના માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે લોકોમાં રહેલી અજ્ઞાનતા દૂર કરવી અને લોકોને જ્ઞાન અને નિયમોથી સજ્જ કરવા.

મામાનો ફોન વાગવાનું ક્યારેય બંધ નથી થતો. સમગ્ર વિદર્ભમાંથી લોકો તેમને મદદ માટે બોલાવે છે. તેઓ કહે છે કે કેટલીકવાર તેમને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ ફોન આવે છે.

વાસ્તવિક નુકસાનનો અંદાજ કાઢવામાં ઘણી સમસ્યાઓ નડે છે, કારણ કે કેટલીકવાર નિરીક્ષણથી સાચું ચિત્ર નથી મળતું. દાખલા તરીકે, “જો જંગલી પ્રાણીઓ કપાસ અથવા સોયાબીન ખાય છે પરંતુ છોડ સારી સ્થિતિમાં છોડી દે છે તો તમે નુકસાનને કેવી રીતે માપી શકશો?” વન અધિકારીઓ નિરીક્ષણ માટે આવે છે, ઊભા રહેલા લીલા છોડ જુએ છે અને તેમની કચેરીઓમાં પાછા ફરીને કહી દે છે કે કોઈ નુકસાન નથી થયું, જ્યારે હકીકતમાં ખેડૂતને ભારે નુકસાન થયું હોય છે.

બદખલ માંગ કરે છે, “વળતરના નિયમોમાં ખેડૂતોની તરફેણમાં સુધારો કરવાની જરૂર છે.”

*****

ફેબ્રુઆરી 2022થી, આ પત્રકાર ટી.એ.ટી.આર. જંગલોની આસપાસના ધૂળભર્યા કેન્દ્રમાં આવેલા ગામડાઓની તેમની ઘણી મુલાકાતો વખતે બદખલ સાથે જોડાયા હતા.

ઉદાર દાતાઓ, ખેડૂતો અને તેમના શુભેચ્છકો દ્વારા પૂરા પડાયેલા ભંડોળની મદદથી કરવામાં આવતા તેમના અભિયાન દરમિયાન તેમનો સામાન્ય દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 7 વાગ્યે સમાપ્ત થાય છે અને તેઓ એક દિવસમાં 5 થી 10 ગામોને આવરી લે છે.

Alongwith Badkhal on the campaign trail is a Mahindra vehicle in which he travels to the villages
PHOTO • Sudarshan Sakharkar

ઝુંબેશના માર્ગ પર બદખલની સાથે એક મહિન્દ્રા ગાડી છે જેમાં બેસીને તેઓ ગામડે ગામડે પ્રચાર કરે છે

દાનમાં એકત્ર કરેલા નાણાંમાંથી દર વર્ષે, બદખલ મરાઠીમાં 5,000 વિશેષ કૅલેન્ડર્સ છાપે છે જેની પાછળની બાજુએ સરકારી ઠરાવો, યોજનાઓ, પાક વળતર પ્રક્રિયાઓ અને ખેડૂતો સરળતાથી સમજી શકે તેવી માહિતી વાળાં પૃષ્ઠો હોય છે. તેમની ખેડૂત-સ્વયંસેવકોની ટીમ માહિતીના પ્રસાર અને વિચારોના આદાનપ્રદાન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

લગભગ એક દાયકા પહેલાં, તેમણે ચંદ્રપુર જિલ્લામાં અને તેની આસપાસ આંદોલનને આગળ વધારવા માટે 'શેતકારી સંરક્ષણ સમિતિ' (ખેડૂતોના સંરક્ષણ માટેની સમિતિ)ની સ્થાપના કરી હતી; હવે તેમાં લગભગ 100 જેટલા ખેડૂત સ્વયંસેવકો છે, જેઓ તેમની મદદ કરે છે.

તમને કૃષિ કેન્દ્રો અથવા સમગ્ર જિલ્લામાં કૃષિ-ઇનપુટ દુકાનોમાં અન્ય વૈધાનિક દસ્તાવેજોના નમૂનાઓ સાથે પ્રમાણિત નમૂનામાં વળતર દાવા ફોર્મ પણ જોવા મળશે. દરેક ખેડૂત કૃષિ કેન્દ્રમાં આવે છે અને કૃષિ કેન્દ્રોનો ગુજારો ખેડૂતો પર જ નિર્ભર હોય છે, તેથી તેઓ સ્વેચ્છાએ આંદોલનનો પ્રચાર કરે છે.

બદખલને આખો દિવસ ચિંતિત ખેડૂતો તરફથી સમસ્યા થઈ હોવા બાબતે ફોન આવતા રહે છે. કેટલીકવાર, તેઓ મદદ માટે કહેતા હોય છે. કેટલીકવાર, તેઓ ગુસ્સે થયેલા પણ હોય છે. ઘણીવાર લોકો તેમની સલાહ લેવા માટે તેમને ફોન કરતા હોય છે.

બદખલ કહે છે, “ત્યાં ખેડૂતો છે ને ત્યાં વન્યજીવન છે. ત્યાં ખેડૂતોના નેતાઓ છે. ત્યાં વન્યજીવનના શોખીનો છે. અને પછી ત્યાં સરકાર છે − જંગલ, કૃષિ અને મહેસૂલ અધિકારીઓ, અગ્નિને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આ સમસ્યાને કાયમ માટે મુલતવી રાખે છે. કોઈની પાસે કોઈ ઉકેલ નથી.”

Pamphlets and handbills that Badkhal prints for distribution among farmers.
PHOTO • Jaideep Hardikar
He is showing calendars that he prints to raise awareness and educate farmers about the procedure to claim compensation
PHOTO • Jaideep Hardikar

ડાબેઃ પત્રિકાઓ અને હસ્તપત્રકો કે જે બદખલે ખેડૂતોને વહેંચવા માટે છાપ્યા છે. તેઓ (જમણે) કૅલેન્ડર્સ બતાવી રહ્યા છે જેને તેઓ જાગૃતિ લાવવા અને ખેડૂતોને વળતરનો દાવો કરવાની પ્રક્રિયા વિશે શિક્ષિત કરવા માટે છાપે છે

તેઓ કહે છે કે, વળતર મેળવવું શ્રેષ્ઠ છે, કારણ કે તે જ એકમાત્ર ઉપલબ્ધ રાહત છે.

અને તેથી, મામા તેમની ગાડીમાં, બસમાં, અથવા બાઇક પર કોઈની સાથે મુસાફરી કરે છે, ગામડાઓની મુલાકાત લે છે, ખેડૂતોને મળે છે, અને તેમને સંઘર્ષ માટે એકત્ર થવા માટે મનાવવાનો પ્રયાસ કરે છે.

તેઓ કહે છે, “જેમ જેમ સંસાધનો ઉપલબ્ધ થાય છે તેમ તેમ હું મારી ગામની મુલાકાતોનું આયોજન કરું છું.”

આ અભિયાન જુલાઈથી ઓક્ટોબર 2023 સુધી ચાલ્યું હતું અને તેમાં એકલા ચંદ્રપુર જિલ્લાના લગભગ 1,000 ગામોને આવરી લેવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, “જો દરેક ગામમાંથી માત્ર પાંચ ખેડૂતો જ વન વિભાગને વળતર માટે દાવો કરે, તો પણ આ અભિયાન તેનો ઉદ્દેશ પૂરો કરી શકશે.”

બદખલ કહે છે કે ખેડૂતોને તેમના પોતાના હિતો માટે એકઠા કરવા પણ મુશ્કેલ છે. વલણ માત્ર રડવાનું છે, વળતો પ્રહાર કરવા લડવાનું નહીં. તેઓ કહે છે, સરકારને દોષ આપીને રડવું સહેલું છે. પરંતુ અધિકારો માટે લડવું, ન્યાયની માંગ કરવી અને સામાન્ય હેતુ માટે આપણા પોતાના મતભેદોને દફનાવીને આગળ વધવું મુશ્કેલ છે.

'Even if five farmers in every village submit a compensation claim to the forest department, this campaign would have accomplished its objective,' he says
PHOTO • Jaideep Hardikar
'Even if five farmers in every village submit a compensation claim to the forest department, this campaign would have accomplished its objective,' he says
PHOTO • Jaideep Hardikar

તેઓ કહે છે, 'જો દરેક ગામમાંથી માત્ર પાંચ ખેડૂતો જ વન વિભાગને વળતર માટે દાવો કરે, તો પણ આ અભિયાન તેનો ઉદ્દેશ પૂરો કરી શકશે'

બદખલ વિલાપ કરતાં કહે છે કે, સંરક્ષણવાદીઓ, પ્રાણી ઉત્સાહીઓ, નિષ્ણાંતો અને વાઘ પ્રેમીઓનું એક જૂથ ટી.એ.ટી.આર.માં અને તેની આસપાસ વન્યજીવનના હિતોને મક્કમતાપૂર્વક અનુસરી રહ્યું છે, પરંતુ તેમનો અભિગમ સમુદાયોની બહુ-પરિમાણીય ચિંતાઓ અને સમસ્યાઓ કે જે વધુ તીવ્ર બની રહી છે તેને ધ્યાનમાં નથી લેતો.

તેમનું આંદોલન વળતી લડત માટે એક મુદ્દો પૂરો પાડે છે − અને તેમણે બે દાયકામાં તેમણે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે એક જગ્યા પૂરી પાડી છે.

બદખલ ભારપૂર્વક કહે છે, “અમારા મંતવ્યો વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતા લોકોને નહીં ગમે. પરંતુ તે સમજવું મહત્ત્વનું છે કે સ્થાનિક સમુદાયો જીવન અને મોતના મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે.”

અને તેમના ખેતરોમાં, તેઓ દરરોજ, દર વર્ષે તેવું કરે છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jaideep Hardikar

جے دیپ ہرڈیکر ناگپور میں مقیم صحافی اور قلم کار، اور پاری کے کور ٹیم ممبر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز جے دیپ ہرڈیکر
Photographs : Sudarshan Sakharkar

سدرشن سکھرکر ناگپور میں مقیم ایک آزاد فوٹو جرنلسٹ ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sudarshan Sakharkar
Photographs : Jaideep Hardikar

جے دیپ ہرڈیکر ناگپور میں مقیم صحافی اور قلم کار، اور پاری کے کور ٹیم ممبر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز جے دیپ ہرڈیکر
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad