અશોક જાટવ એક હાલતો ચાલતો ને છતાં મરેલો માણસ છે.

45 વર્ષીય અશોક અન્ય કોઈ પણ સામાન્ય માણસની જેમ દરરોજ સવારે ઊઠે છે. તેઓ બીજા મજૂરોની જેમ કામ પર જાય છે અને બીજાના ખેતરોમાં મહેનત કરે છે. તેઓ બીજા કામદારોની જેમ રોજ દહદિયું કરીને સાંજે ઘેર પાછા ફરે છે. પણ તેમના અને બીજા લોકો વચ્ચે ફક્ત એક જ તફાવત છેઃ સત્તાવાર રીતે, અશોક મૃત્યુ પામેલા છે.

જુલાઈ 2023માં, ખોરઘરના રહેવાસી અશોકને ખબર પડી કે તેમને છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6,000 રૂપિયા મળ્યા નથી. વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ આ યોજનામાં ખેડૂતોને લઘુતમ આવક સહાય તરીકે દર વર્ષે 6,000 રૂપિયા મળે છે.

સહાય પેટે મળતા નાણાં પ્રથમ બે વર્ષ માટે તો નિયમિતપણે જમા કરવામાં આવતા હતા. પછી અચાનક તે બંધ થઈ ગયા. તેમણે વિચાર્યું કે કોઈ ભૂલના લીધે આવું થયું હશે અને સરકાર આ ભૂલ સુધારી લેશે. અશોકની વાત સાચી હતી. તે ખરેખર એક ભૂલ હતી. પણ એવી નહીં જેવી તેઓ માનતા હતા.

જ્યારે તેમને સહાય મળતી કેમ બંધ થઈ ગઈ તે જાણવા માટે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીમાં ગયા, ત્યારે કમ્પ્યુટર પર બેસેલા વ્યક્તિએ ડેટા જોયો અને તેમને જણાવ્યું કે તેઓ તો 2021માં કોવિડ−19 દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. અશોકને એ સમયે હસવું કે રડવું એ જ સમજાયું નહીં. “મુજે સમજ નહીં આયા ઇસપે ક્યા બોલુ [મને આવી વાતમાં શું બોલવું એ જ ખબર નહોતી].”

Ashok Jatav, a farm labourer from Khorghar, Madhya Pradesh was falsely declared dead and stopped receiving the Pradhan Mantri Kisan Samman Nidhi . Multiple attempts at rectifying the error have all been futile
PHOTO • Parth M.N.

મધ્યપ્રદેશના ખોરઘરના એક ખેતમજૂર અશોક જાટવને ખોટી રીતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પેટે મળતી સહાય બંધ કરી દેવામાં આવી હતી. આ ભૂલ સુધારવાના તેમના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે

અશોક જાટવ સમુદાયના મજૂર છે, જે મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. અશોક અન્ય લોકોના ખેતરોમાં દૈનિક મજૂરી કરીને રોજના 350 રૂપિયા દ્હાડી મેળવે છે. અશોક પોતે એક એકર જમીનની માલિકી ધરાવે છે જ્યાં તેઓ પોતાના માટે ખાદ્ય પાકની ખેતી કરે છે. તેમનાં પત્ની લીલા પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.

શિવપુરી જિલ્લામાં પોતાના ગામની ખેતીની જમીન પર સોયાબીન કાપવામાંથી બે ઘડી વિરામ લેતા અશોક કહે છે, “જો અમે દિવસ દરમિયાન કંઈ કમાણી કરીએ, તો જ અમને રાત્રે જમવાનું નસીબ થાય છે. વાર્ષિક 6,000 રૂપિયા કદાચ વધું નહીં લાગતા હોય. પરંતુ અમને તો જે મદદ મળે તે આવકાર્ય છે. મારે એક 15 વર્ષનો દીકરો છે. તે શાળામાં ભણે છે અને આગળ અભ્યાસ કરવા માંગે છે. અને સૌથી મહત્વની વાત છે કે, હું મરવા નથી માંગતો.”

અશોકે પોતે શિવપુરી જિલ્લા કલેક્ટરને તેમનું મૃત્યુ પ્રમાણપત્ર રદ કરવા માટે પત્ર લખ્યો હતો. ગામમાં આગામી જાહેર સુનાવણીમાં, તેમણે આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની આશા સાથે ગ્રામ પંચાયત સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જાહેર સુનાવણી બાદ પંચાયતના અધિકારીઓએ તેમની મુલાકાત લીધી હતી અને તેમને કહ્યું હતું કે તેમણે તેઓ જીવંત છે એ વાત સાબિત કરવી પડશે. તેઓ મૂંઝાઈને કહે છે, “હું તેમની સામે ઊભો હતો. તેમને આનાથી વધુ કયા પુરાવાની જરૂર છે?”

વધુમાં, આ અસામાન્ય અને દુઃખદ પરિસ્થિતિમાં ફસાયેલા તેઓ એકલા નથી.

Ashok was asked by the officials to prove that he is alive. ‘I stood in front of them,' he says, bewildered , 'what more proof do they need?’
PHOTO • Parth M.N.

અધિકારીઓએ અશોકને તેઓ જીવંત છે તે સાબિત કરવા કહ્યું હતું. તેઓ મૂંઝાઈને કહે છે, 'હું તેમની સામે ઊભો હતો. તેમને આનાથી વધુ કયા પુરાવાની જરૂર છે?'

વર્ષ 2019 અને 2022ની વચ્ચે, ગ્રામ પંચાયત અને જિલ્લા પરિષદ વચ્ચેની મધ્યસ્થી સ્થાનિક સંસ્થા એવી બ્લોક પંચાયતના સી.ઈ.ઓ. અને કોમ્પ્યુટર ઓપરેટરે આ કૌભાંડ રચ્યું હતું, જેમાં તેમણે શિવપુરી જિલ્લાના 12 થી 15 ગામોના 26 લોકોને સરકારી દસ્તાવેજો પર મૃત જાહેર કર્યા હતા.

મુખ્યમંત્રી સંબલ યોજના અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રાજ્ય સરકાર તરફથી વળતર તરીકે 4 લાખ રૂપિયા મળે છે. છેતરપિંડી કરનારાઓએ તે 26 લોકોના નામે વળતરનો સફળતાપૂર્વક દાવો કર્યો હતો અને 1 કરોડ રૂપિયા સેરવી લીધા હતા. પોલીસે આમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી છે અને તેમના પર ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડી અને લોકો સાથે બનાવટ કરવા સંબંધિત કલમ 420, 467, 468 અને 409 હેઠળ આરોપ લગાવ્યો છે.

શિવપુરી પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સ્પેક્ટર વિનય યાદવ કહે છે, “અમે એફ.આઈ.આર.માં ગગન વાજપેયી, રાજીવ મિશ્રા, શૈલેન્દ્ર પરમા, સાધના ચૌહાણ અને લતા દુબેનું નામ લીધું છે. અમે સંડોવાયેલા અન્ય લોકોની તલાશ કરી રહ્યા છીએ.”

સ્થાનિક પત્રકારો, જેઓ અનામી રહેવા માંગે છે, તેઓ માને છે કે આગળની તપાસમાં શિવપુરીમાં વધુ મૃત લોકો બહાર આવી શકે છે; તેઓ કહે છે કે નિષ્પક્ષ તપાસ મોટી લોકોની આમાં સંડોવણી હોવા તરફ દોરી શકે છે.

આ દરમિયાન, મૃત જાહેર કરાયેલા લોકોએ આ પરિણામોનો સામનો કરવો પડે છે.

Dataram Jatav, another victim of the scam, says, ‘when you declare me dead, I lose access to all credit systems available to me’. In December 2022, the farmer from Khorgar could not get a loan from the bank to buy a tractor
PHOTO • Parth M.N.

આ કૌભાંડનો બીજો ભોગ બનેલા દાતારામ જાટવ કહે છે, 'જ્યારે તમે મને મૃત જાહેર કરો છો, ત્યારે હું મારા માટે ઉપલબ્ધ તમામ ક્રેડિટ પ્રણાલીઓ સુધીની પહોંચ ગુમાવી દઉં છું.’ ડિસેમ્બર 2022માં ખોરઘરના ખેડૂત દાતારામને ટ્રેક્ટર ખરીદવા માટે બેંકમાંથી લોન નહોતી મળી

ખોરઘરમાં પાંચ એકર જમીન ધરાવતા 45 વર્ષીય ખેડૂત દત્તારામ જાટવની આ જ કારણસર ટ્રેક્ટર માટેની લોન નકારી કાઢવામાં આવી હતી. ડિસેમ્બર 2022માં, તેમને ટ્રેક્ટર ખરીદવા માટે પૈસાની જરૂર હતી, જેના માટે તેઓ બેંક ગયા. જે એક સરળ પ્રક્રિયા છે. અને તેમણે આવું જ વિચાર્યું. પણ થયું એનાથી એકદમ વિપરીત. દત્તારામ હસીને કહે છે, “ જો તમે મરી ગયા હોવ તો લોન મેળવવી મુશ્કેલ છે. આખી નવાઈની વાત છે ને!”

દત્તારામ ગંભીર સ્વરે સમજાવે છે કે એક ખેડૂત માટે સરકારી લાભો, યોજનાઓ અને સબસિડીવાળી લોન જીવનરેખા સમાન છે. રકમ સ્પષ્ટ કર્યા વિના તેઓ કહે છે, “મારા નામે ગંભીર દેવું છે. જ્યારે તમે મને મૃત જાહેર કરો છો, ત્યારે હું મારા માટે ઉપલબ્ધ તમામ ક્રેડિટ સિસ્ટમોની પહોંચ ગુમાવી દઉં છું. હું મારી ખેતીની જમીનમાં ખેતી કરવા માટે મૂડી કેવી રીતે એકત્ર કરી શકું? હું પાક લોન કેવી રીતે મેળવી શકું? મારી પાસે ખાનગી શાહુકારોનો દરવાજો ખખડાવવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.”

ખાનગી શાહુકાર અથવા લોન શાર્કને કોઈ કાગળની જરૂર નથી હોતી. હકીકતમાં, જો તમે મરી જાવ તો પણ તેમને કોઈ ફેર નથી પડતો, તેમને ફરક પડે છે તો ફક્ત તેમના ઊંચા વ્યાજ દરોથી જ. જે દર મહિને 4 થી 8 ટકા સુધીના હોઈ શકે છે. એકવાર ખેડૂતો લોન શાર્કનો સંપર્ક કરે છે, જે તેમણે મજબૂરીમાં કરવું જ પડે છે, ત્યારે તેઓ આગામી વર્ષો સુધી તો ફક્ત વ્યાજજ ચૂકવે છે, મૂળ રકમ તો એટલીને એટલી જ રહે છે. તેથી, માનવામાં આવતી નાની લોન પણ તેમના ગળામાં ફાંસીના ફંદા સમાન બની જાય છે.

દત્તારામ કહે છે, “હું ઘણી મુશ્કેલીમાં છું. મારા બે પુત્રો છે જે બી.એડ. અને બી.એ.નો અભ્યાસ કરે છે. હું તેમને ભણાવવા માંગુ છું. પરંતુ આ છેતરપિંડીને કારણે, મને એક ખરાબ નિર્ણય લેવાની ફરજ પડી હતી અને તેનાથી મારી સમગ્ર નાણાકીય પરિસ્થિતિ બગડી ગઈ હતી.

Left: Ramkumari with her grandchild in their house in Khorghar and (right) outside her home. Her son Hemant was a victim of the fraud. While they did not suffer financial losses, the rumour mills in the village claimed they had declared Hemant dead on purpose to receive the compensation. ' I was disturbed by this gossip,' says Ramkumari, 'I can’t even think of doing that to my own son'
PHOTO • Parth M.N.
Left: Ramkumari with her grandchild in their house in Khorghar and (right) outside her home. Her son Hemant was a victim of the fraud. While they did not suffer financial losses, the rumour mills in the village claimed they had declared Hemant dead on purpose to receive the compensation. ' I was disturbed by this gossip,' says Ramkumari, 'I can’t even think of doing that to my own son'
PHOTO • Parth M.N.

ડાબેઃ રામકુમારી તેમના પૌત્ર સાથે ખોરઘરમાં તેમના ઘરે અને (જમણે) તેમના ઘરની બહાર. તેમનો પુત્ર હેમંત આ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. જો કે તેમને આર્થિક નુકસાન તો નહોતું થયું, પણ ગામમાં લોકો અફવા ફેલાવવા લાગ્યા હતા કે તેઓએ વળતર મેળવવા માટે જાણીજોઈને હેમંતને મૃત જાહેર કર્યો હતો. રામકુમારી કહે છે, ‘હું આ ગપસપથી પરેશાન થઈ ગઈ હતી. હું મારા પોતાના દીકરા સાથે આવું કરવાનો વિચાર સુધ્ધાં પણ કરી શકતી નથી’

45 વર્ષીય રામકુમારી રાવત માટે પરિણામો અલગ પ્રકારનાં રહ્યાં છે. તેમનો 25 વર્ષનો પુત્ર હેમંત આ છેતરપિંડીના ભોગ બનેલાઓમાંનો એક હતો. સદભાગ્યે, તેમની 10 એકરની ખેતીની જમીન તેમના પિતાના નામે છે તેથી તેમણે કોઈ આર્થિક પરિણામ ભોગવવું પડ્યું નથી.

રામકુમારી તેમના પૌત્રને ખોરઘરમાં તેમના ઘરના વરંડામાં ઉછેરતી વખતે કહે છે, “પણ લોકો અમારી પીઠ પાછળ અમારા વિશે વાત કરવા લાગ્યા હતા. ગામમાં લોકોને શંકા હતી કે અમે 4 લાખ રૂપિયા મેળવવા માટે અમારા દીકરાની સરકારી કાગળો પર હત્યા કરી દીધી હતી. હું આ ગપસપથી પરેશાન થઈ ગઈ હતી. મારા પોતાના પુત્ર સાથે આવું કંઈ કરવાનો વિચાર સુધ્ધાં મને આવે તેમ નથી.”

રામકુમારી કહે છે કે, અઠવાડિયાઓ સુધી તેમણે આવી અપ્રિય અફવાઓ સાથે જીવવા માટે સંઘર્ષ કર્યો હતો. તેમની માનસિક શાંતિ ભાંગી પડી હતી. તેઓ કબૂલ કરતાં કહે છે, “હું બેચેન અને અસ્વસ્થ હતી. હું વિચારતી રહી કે અમે આ વાતને કેવી રીતે બદલી શકીએ અને લોકોને ચૂપ કરી શકીએ.”

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં, રામકુમારી અને હેમંત જિલ્લા કલેક્ટરની કચેરીમાં લેખિત અરજી સાથે ગયાં હતાં અને તેમને આ બાબતે તપાસ કરવા કહ્યું હતું. હેમંત હસતાં હસતાં કહે છે, “મેં તેમને કહ્યું કે હું જીવતો છું. આ પ્રકારની અરજી સાથે તેમની ઓફિસમાં જવું વિચિત્ર લાગ્યું. પરંતુ અમે જે કરી શકતા હતા તે અમે કર્યું. અમારા હાથમાં બીજું શું છે? અમે સમજીએ છીએ કે અમે કંઈ ખોટું કર્યું નથી. અમારું અંતરમન આ બાબતે સ્પષ્ટ છે.”

અશોકે પણ પોતાની જાતને જીવંત સાબિત કરવાનું છોડી દીધું છે. દૈનિકમજૂર તરીકે, તેમની પ્રાથમિકતા કામ શોધવાની અને પેટનો ખાડો ભરવાની છે. તેઓ કહે છે, “આ લણણીની મોસમ છે તેથી કામ નિયમિત છે. અન્ય સમયે, કામ અચોક્કસ હોય છે. તેથી, મારે કામ શોધવા માટે શહેર પાસે જવું પડશે.”

દર થોડા સમયે તેમને જ્યારે સમય મળે ત્યારે તેઓ તેમની અરજીમાં આગળ શું કાર્યવાહી કરાઈ તેની તપાસ કરે છે. તેમણે મુખ્યમંત્રીની હેલ્પલાઈન પર ઘણી વખત ફોન કર્યો છે, પણ તેનાથી કોઈ ફાયદો થયો નથી. વધુમાં, તેમને સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને પોતાનું દૈનિક વેતન ગુમાવવું પણ પોસાય તેમ નથી. “અબ જબ વો ઠીક હોગા તબ હોગા [સમસ્યા તો હવે ઠીક થશે ત્યારે થશે].” તેઓ અસ્વસ્થ અને મૂંઝાયેલા છે અને પહેલાં કરતાં વધુ સખત મહેનત કરી રહ્યા છે. પણ તેમ છતાં, તેઓ સરકારી ચોપડે તો એક મૃત માણસ જ છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Parth M.N.

پارتھ ایم این ۲۰۱۷ کے پاری فیلو اور ایک آزاد صحافی ہیں جو مختلف نیوز ویب سائٹس کے لیے رپورٹنگ کرتے ہیں۔ انہیں کرکٹ اور سفر کرنا پسند ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Parth M.N.
Editors : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Editors : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad