ત્રણ વર્ષની સુહાનીને તેની દાદીના ખોળામાં બેભાન પડેલી જોઈને ગ્રામીણ આરોગ્ય અધિકારી ઉર્મિલા દુગ્ગા કહે છે, “તમારે તેને (મલેરિયાની દવાને) હંમેશાં મધ અથવા ગોળ જેવી મીઠી વસ્તુ સાથે લેવી જોઈએ.”
તે બાળકીને મલેરિયાની કડવી ગોળીઓ ખવડાવવા માટે ત્રણ મહિલાઓની સંયુક્ત કુશળતા અને પ્રેમસભર સમજાવટની જરૂર પડે છે — બાળકની નાની, અન્ય ગ્રામીણ આરોગ્ય અધિકારી (આર.એચ.ઓ.) સાવિત્રી નાયક, અને માનકી કચલાન, એટલે કે મિતાનિન (આશા કાર્યકર).
આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરતાં 39 વર્ષીય વરિષ્ઠ આર.એચ.ઓ. ઉર્મિલા તેમની સામેના પરિસરમાં રમી રહેલા બાળકોના અવાજો વચ્ચે એક મોટા રજિસ્ટરમાં કેસની વિગતો નોંધે છે. તેમનું કામચલાઉ ક્લિનિક છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના નૌમુંજમેટા ગામમાં એક આંગણવાડીનો આંશિક રીતે ઢંકાયેલો વરંડો છે.
મહિનાના દર બીજા મંગળવારે, આ આંગણવાડી એક આઉટપેશન્ટ ક્લિનિકમાં ફેરવાઈ જાય છે — જેમાં બાળકો તેમની બારખડી શીખવામાં વ્યસ્ત છે, જ્યારે માતાઓ, શિશુઓ અને અન્ય લોકો તપાસ માટે બહાર લાઇનમાં ઊભા રહે છે. ઉર્મિલા અને તેમની આરોગ્ય કર્મચારીઓની ટીમ સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચે છે, અને પરીક્ષણ અને રસીકરણના સાધનો સાથે તેમના રજિસ્ટર અને બેગ ખોલે છે, વરંડામાં એક ટેબલ અને પાટલી ગોઠવે છે અને તેમના દર્દીઓને મળવા માટે તૈયાર થાય છે.
તે દિવસે સુહાનીનો જે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (આર.ડી.ટી.) કરવામાં આવ્યો હતો, તે તે દિવસે કરવામાં આવેલા લગભગ 400 મલેરિયા પરીક્ષણોમાંથી એક હતો, જે ઉર્મિલા અને તેમના સહયોગીઓ, જેમાં 35 વર્ષીય આર.એચ.ઓ. સાવિત્રી નાયક પણ શામેલ છે, નારાયણપુર બ્લોકના જે છ ગામોનાં તેઓ પ્રભારી છે તેમાં એક વર્ષમાં કરે છે.
નારાયણપુર જિલ્લાના મુખ્ય તબીબી આરોગ્ય અધિકારી ડૉ. આનંદ રામ ગોટા કહે છે, “મલેરિયા આપણી સૌથી મોટી આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. તે રક્ત કોશિકાઓ અને યકૃતને અસર કરે છે જે લોહ તત્ત્વની ઉણપનું કારણ બને છે, અને બદલામાં નબળી શારીરિક સહનશક્તિ તરફ દોરી જાય છે. તેથી વેતનને પણ અસર થાય છે. બાળકોનું જન્મ સમયે વજન ઓછું હોય છે અને તે રીતે આ વિષચક્ર ચાલુ થઈ જાય છે.”










