“બજેટમાં મોટા મોટા આંકડાઓની જ ચર્ચા હોય છે. એક નાગરિક તરીકે સરકારને મન મારી કિંમત કંઈજ નથી!”
ચાંદ રતન હલદાર ‘સરકાર બજેટ’ શબ્દ સાંભળતાં તેમનામાં ઊભરતી કડવાશને છુપાવવાનો પ્રયાસ કરતા નથી. કોલકાતાના જાદવપુરમાં રિક્ષા ખેંચતા 53 વર્ષીય ચાંદ રતન કહે છે, “કેવું બજેટ? કોનું બજેટ? તે એક મોટી અફવા સિવાય બીજું કંઈ નથી!”
ચંદુ દા ઉમેરે છે, “ઘણા બજેટ અને ઘણી યોજનાઓ પછી પણ અમને દીદી [મુખ્યમંત્રી મમતા બેનર્જી] કે [વડાપ્રધાન] મોદી પાસેથી ઘર મળ્યું નથી. હું હજુ પણ તાડપત્રી અને વાંસની પટ્ટીઓથી બનેલી ઝૂંપડપટ્ટીમાં જ રહું છું જે જમીનમાં લગભગ એક ફૂટ ડૂબી ગઈ છે.” કેન્દ્રીય બજેટથી તેમને વધુને વધુ નિરાશા સાંપડી હોય તેવું લાગે છે.
પશ્ચિમ બંગાળના સુભાષગ્રામ નગરના જમીનવિહોણા રહેવાસી એવા તેઓ વહેલી સવારે સિયાલદાહ જતી લોકલ ટ્રેનમાં જાદવપુર જાય છે જ્યાં તેઓ ઘરે પાછા જતાં પહેલાં મોડી સાંજ સુધી કામ કરે છે. તેઓ પૂછે છે, “આપણી લોકલ ટ્રેનોની જેમ જ બજેટ પણ આવે છે ને જાય છે. શહેરમાં આવવું હવે ખૂબ મુશ્કેલ બની ગયું છે. આવા બજેટનો શું ફાયદો છે જે અમારાં ખાલી પેટ પર પાટાં મારે?”




