ગરીબ કે તવંગર, યુવાન કે વૃદ્ધ, દરેક વ્યક્તિએ પોતાનાં પગરખાં ઉતારીને મહારાજાના ચરણ સ્પર્શ કરવા સિવાય છૂટકો નોહ્તો. જોકે, તેમની આંખમાં આંખ મિલાવીને જોતો એક નાજુક વયનો યુવાન ટટ્ટાર ઊભો રહ્યો અને નમીને તેમની સલામ ભરવાનો ઇન્કાર કરી દીધો. કોઈ પણ અસંમતિને નિર્દયતાથી કચડવા માટે જાણીતા મહારાજાની સામેના આવા અવજ્ઞાના કૃત્યથી પંજાબના જોગા ગામના વડીલો ગભરાઈ ગયા હતા અને જુલમી મહારાજ ગુસ્સે ભરાયો હતો.
તે યુવક હતો જાગીર સિંહ જોગા. તેમનો બહાદુરીભર્યો, વ્યક્તિગત વિરોધ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)નાં કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે બોલિવૂડ સેલિબ્રિટી અને હવે હિમાચલ પ્રદેશના મંડીથી સંસદ સભ્ય કંગના રનૌતને થપ્પડ માર્યાના નવ દાયકા પહેલાં નોંધાયો હતો. જોગાની અસંમતિ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહ સામે હતી, જેમના સામંતી ગુંડાઓએ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે 1930ના દાયકાની વાત છે. તે પછી જે બન્યું તે લોકકથાઓ અને ચકાસી શકાય તેવા ઇતિહાસમાં ખોવાઈ ગયું છે. પણ તે દિવસે જોગાનો જીવ બચી ગયો હતો.
તેના એક દાયકા પછી, જોગા અને તત્કાલીન લાલ પક્ષના તેમના સાથીઓએ કિશનગઢ (હવે સંગરૂર જિલ્લામાં)ની આસપાસ યુગોના યુગ સુધી યાદ રહે તેવા એક સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું અને ભૂપિંદર સિંહના પુત્ર પાસેથી 784 ગામોમાં હજારો એકર જમીન છીનવી લઈને તેને જમીનવિહોણા લોકોમાં વહેંચી દીધી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પટિયાલાના ભૂતપૂર્વ રાજવી એવા કેપ્ટન અમરિંદર સિંહ ભૂપિંદર સિંહના પૌત્ર છે.
તે જમીનના અને અન્ય સંઘર્ષોને પગલે 1954માં જોગા નાભા જેલમાં હતા — જ્યારે લોકોએ તેમને જેલમાં હોવા છતાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જીતાડ્યા હતા. તેઓ 1962, 1967 અને 1972માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.












