કૃષ્ણાજી ભરીત કેન્દ્રમાં કોઈ નવરું નથી.
બપોરના અથવા રાતના ભોજનના કલાકો પહેલાં અને જલગાંવ રેલ્વે સ્ટેશન પર લાંબા અંતરની મુખ્ય ટ્રેનો ઊભી રહે એ પહેલાં લગભગ 300 કિલોગ્રામ રીંગણ અથવા રીંગણ ભરીત દરરોજ રાંધવામાં આવે છે, પીરસવામાં આવે છે, પેક કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે. એ જલગાંવ શહેરના જૂના બીજે માર્કેટ વિસ્તારમાં આવેલું એક સાવ નાનુંઅમથું આઉટલેટ છે, અને તેના ગ્રાહકોમાં ઉદ્યોગપતિઓથી લઈને મજૂરો સુધી, મહત્વાકાંક્ષી સંસદસભ્યોથી લઈને કંટાળી ગયેલા પક્ષના કાર્યકરો સુધીના સૌ કોઈ છે.
ગરમીના દિવસોમાં અઠવાડિયાના ચાલુ દિવસે સાંજે રાત્રિભોજનના સમય પહેલાં, કૃષ્ણાજી ભરીતની અંદર સાફ કરવાનું, સમારવાનું, વાટવાનું, છોલવાનું, શેકવાનું, તળવાનું, હલાવવાનું, પીરસવાનું અને પેકિંગ કરવાનું એમ કંઈ કેટલાય કામ ચાલી રહ્યા છે. પુરૂષો ભોજનાલયની બહાર ત્રણ સ્ટીલની રેલિંગ ફરતે કતારમાં ઊભા છે, આ રેલિંગ એક જમાનામાં પેલા જૂના સિંગલ-સ્ક્રીન સિનેમાઘરોમાં કતાર વ્યવસ્થાપન માટે બોક્સ ઓફિસની બહાર રાખવામાં આવતી રેલિંગ જેવી લાગે છે.
અહીં મુખ્ય ભૂમિકામાં છે 14 મહિલાઓ.









