મમતા પારેડ પારીમાં અમારા સહકર્મી હતા. દુર્લભ પ્રતિભા અને પ્રતિબદ્ધતા ધરાવતા યુવા પત્રકાર મમતાનું 11 મી ડિસેમ્બર, 2022 ના રોજ દુઃખદ અવસાન થયું હતું.
તેમના નિધનને એક વર્ષ પૂરું થાય છે ત્યારે અમે તમારા માટે એક ખાસ પોડકાસ્ટ લાવ્યા છીએ જેમાં તમે મમતાને તેમના લોકોની - મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના એક આદિવાસી સમુદાય, વારલી સમુદાયની - વાર્તા કહેતા સાંભળી શકશો. તેમણે તેમના મૃત્યુના થોડા મહિના પહેલા જ આ ઓડિયો રેકોર્ડ કર્યો હતો.
મમતાએ મૂળભૂત સુવિધાઓ અને અધિકારો માટેના તેમના સમુદાયના સંઘર્ષ વિશે લખ્યું. એક નીડર પત્રકાર મમતાએ એવા નાના-નાના કસ્બાઓમાંથી અહેવાલ આપ્યો હતો, જેમાંના ઘણાનું તો નકશા પર પણ સ્થાન નથી. તેઓ ભૂખમરો, બાળ મજૂરી, બંધુઆ મજૂરી, શાળામાં પ્રવેશની પહોંચ, જમીન અંગેના અધિકારો, વિસ્થાપન, આજીવિકા વિગેરે મુદ્દાઓ આવરી લેવા પ્રતિબદ્ધ હતા.



