મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં આવેલા તેમના ગામ લંગ્ઝામાં પાછા જવાનો વિચાર સુધ્ધાં ખુમા થિએકની કરોડરજ્જુને કંપાવી દે છે. આ 64 વર્ષીય ખેડૂત છેલ્લા 30 વર્ષોથી લંગ્ઝામાં વસી રહ્યા હતા. તે હૂંફની અને ઓળખીતાઓના રહેવાની જગ્યા હતી, જ્યાં તેમણે તેમના પુત્ર ડેવિડનો ઉછેર કર્યો હતો, તેને શાળાએ મોકલવા માટે તેનું ભોજન પેક કર્યું હતું, અને ત્યાં જ તેઓ તેમના ડાંગરના ખેતરમાં સાથે કામ કરતા હતા. આ જ જગ્યાએ તેઓ પ્રથમવાર દાદા પણ બન્યા હતા. લંગ્ઝા જાણે કે ખુમાની આખી દુનિયા જ હતી. એક એવી દુનિયા જેનાથી તેમને પૂરી રીતે સંતોષ હતો.
પણ 2 જુલાઈ 2023 પછી તેમની આ દુનિયા તહેસ−નહેસ થઈ ગઈ.
તે દિવસે ક્રૂર રીતે ખુમાની જીવનભરની યાદોને ભૂંસી નાખી અને ખુમાને એવી છબી સાથે છોડી દીધા જેમાંથી તેઓ બહાર આવી શકતા નથી. તે એક એવી છબી છે જેણે તેમની ઊંઘ હરામ કરી દીધી છે. તે છબીએ તેમનું જીવવું પણ હરામ કરી દીધું છે. તે છબી છે ધડથી જુદું કરીને લંગ્ઝાના પ્રવેશદ્વાર પર લટકાવેલા તેમના દીકરાના કપાયેલા માથાની છબી.
ભારતના ઉત્તરપૂર્વ પ્રદેશમાં ખુમાનું વતન મણિપુર રાજ્ય 3 મે, 2023થી વંશીય સંઘર્ષની ભયાનક આગમાં સળગી રહ્યું છે. ચાલુ વર્ષે માર્ચ મહીનાના અંતમાં, મણિપુર હાઇકોર્ટે પ્રભાવશાળી મૈતેઇ સમુદાયને “આદિવાસી હોવાનો દરજ્જો” આપ્યો હતો, જેનાથી તેઓ આર્થિક લાભો અને સરકારી નોકરીઓમાં ક્વોટા માટે પાત્ર બનશે. તેનાથી તેમને ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુકી આદિવાસીઓ વસેલા છે, ત્યાં જમીન ખરીદવાની પણ મંજૂરી મળશે. પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
રાજ્યમાં 28 ટકા વસ્તી ધરાવતા કુકી સમુદાયનું માનવું છે કે આ નિર્ણયથી રાજ્ય પર મૈતેઇ લોકોનો ગઢ મજબૂત થઈ જતો, જેમાં પહેલેથી જ તેમની વસ્તી 53 ટકા છે.











