સુરેન્દ્ર નાથ અવસ્થી એ ક્ષિતિજ તરફ હાથ ફેલાવે છે જે ફક્ત તેમની સ્મૃતિમાં છે. તેઓ હાથથી મોટો વિસ્તાર બતાવતાં મંદ સ્મિત સાથે કહે છે, “આ બધું, અને પેલું પણ.”
તેઓ કહે છે, “અમને તે ખૂબ જ વહાલી હતી. એ વખતે અમારા કુવાઓમાં ફકત 10 ફૂટ ઊંડે જતાં મીઠું પાણી મળી જતું હતું તે સઈના લીધે જ હતું. દર ચોમાસામાં, તે અમારા ઘરો સુધી આવી જતી હતી. દર ત્રીજા વર્ષે તે કોઈનું બલિદાન લેતી હતી — મોટે ભાગે નાના પ્રાણીઓનું. એક વખત તે મારા 16 વર્ષના પિતરાઈ ભાઈને ભરખી ગઈ હતી. હું તેનાથી ગુસ્સે ભરાયો હતો અને દિવસો સુધી એની તરફ ઘાંટા પાડતો.” તેમનો અવાજ મંદ થતો જાય છે, “પણ હવે, એ ઘણા લાંબા સમયથી ગુસ્સે ભરાઈ છે...કદાચ પુલના લીધે આવું થયું હશે.”
અવસ્થી 67 મીટર લાંબા પુલ પર ઊભેલા છે, જે સઈ નામની સૂકાઈ ગયેલી નદી પર આવેલો છે. ગુસ્સે ભરાયેલી ‘એ’. પુલની નીચે ખેતીની જમીન છે — નદીના પટમાં ઘઉંની તાજી કપાયેલી દાંડીઓ અને બાજુમાં પુષ્કળ પાણી ખેંચી લેતા નીલગિરીના વૃક્ષો લહેરાય છે.
અવસ્થીના મિત્ર અને સહયોગી એવા એક નિવૃત્ત શાળા શિક્ષક જગદીશ પ્રસાદ ત્યાગી, સઈને એક “સુંદર નદી” તરીકે યાદ કરે છે.
તેઓ ઊંડા પાણીના વહેણની વાત કરે છે, જેના શિખરો પર મોટી માછલીઓ તરતી અને એક ભવ્ય દૃશ્ય બનાવતી હતી. તેમને હજુ પણ એડી મચલી, રોહુ, ઈલ, પફર્સ વગેરે માછલીઓ યાદ છે. તેઓ કહે છે, “પાણી સૂકાવા લાગ્યું, એટલે માછલીઓ ગાયબ થઈ ગઈ.”
ત્યાં બીજી પણ ગમતી યાદો છે. 74 વર્ષીય માલતી અવસ્થી, જેઓ 2007 થી 2012 દરમિયાન ગામનાં સરપંચ હતાં, તેઓ યાદ કરે છે કે કેવી રીતે સઈ નદી તેના પટથી લગભગ 100 મીટર દૂર તેમના ઘરના આંગણ સુધી ધસી આવતી હતી. તે વિશાળ આંગણમાં, દર વર્ષે ગ્રામજનો નદીના પ્રકોપમાં પોતાનો પાક ગુમાવનારા પરિવારો માટે સામુદાયિક ‘અન્ન પર્વત દાન’ (ઢગલા ધાનની ભેટ) નું આયોજન કરતા હતા.
તેઓ કહે છે, “હવે તે સમુદાયનો ભાવ રહ્યો નથી. એ અનાજનો સ્વાદ પણ રહ્યો નથી. કૂવાનાં પાણી ઓસરી ગયાં છે. પશુધન પણ અમારા જેટલી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જીવનમાં મજા રહી નથી.”























