"હુરર...
હેહેહેહે...હો...હેહેહેહે...હો..."
અચાનક વાડીની ઉપરનું આકાશ અસંખ્ય પક્ષીઓથી ભરાઈ ગયું હતું. તેમને ત્યાંથી ઉડાડી મૂકવા માટે સૂરજ જે અવાજો કરી રહ્યો હતો તેનાથી આ પક્ષીઓ ગભરાઈ ગયા હતા. આ પેરની વાડીના રખેવાળ તરીકે સૂરજનું કામ છે ભૂખ્યા પક્ષીઓને પાકેલા ફળોથી દૂર રાખવાનું. તેમને ડરાવીને ઉડાડી મૂકવા માટે તે જોર-જોરથી બૂમો પાડે છે અને કમાન અથવા ગિલોલથી પક્ષીઓને રોડા (માટીની ગોળીઓ) મારવાનો પ્રયત્ન પણ કરે છે.
ઉત્તર-પશ્ચિમ પંજાબમાં તરન તારન જિલ્લાની ધારે આવેલું પટ્ટી તેની ફળોની વાડીઓ માટે જાણીતું છે. દર વર્ષે સ્થળાંતરિત શ્રમિકો પેર અને પીચની વાડીઓની દેખભાળ કરવા માટે અહીં આવે છે. તેમનું કામ છે કોઈપણ સમયે નીચે ઉતરીને પાકેલા ફળોને ચાંચ મારતા અથવા પાકેલા ફળોને તોડી નાખતા પક્ષીઓને દૂર રાખવાનું. આ ફળોની વાડીઓની સંભાળ રાખતા સૂરજ જેવા શ્રમિકો રાખે (રખેવાળ) તરીકે ઓળખાય છે.
સૂરજ બહરદાર જે વાડીની દેખભાળ કરે છે તેમાં આશરે બે એકર જમીનમાં પેરના લગભગ 144 ઝાડ છે. એપ્રિલથી ઓગસ્ટ સુધી ચાલતી આ ફળની મોસમમાં તેમનો કોઈ રખેવાળ હોય તો તે આ એક માત્ર 15 વર્ષનો બાળક જ છે. વાડીના માલિકો તરફથી તેને મહિને 8000 રુપિયા પગાર આપવામાં આવે છે.
સૂરજ અમને કહે છે, “વૃક્ષો પર ફૂલ આવવા માંડે કે તરત જ જમીનમાલિકો તેમની વાડીઓ ભાડાપટે આપી દે છે. વાડીને ભાડાપટે લેનાર ઠેકેદાર (વાડીની સંભાળ લેવા) રખેવાળો રાખે છે." મોટાભાગના રખેવાળો ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિત શ્રમિકો છે.









