"બે વત્તા બે - કેટલા? પ્રતીક, તને યાદ છે કે તું કેવી રીતે સરવાળો કરતો હતો?”
પ્રતીક રાઉતના શિક્ષક મોહન તાલેકર સ્લેટ પર લખેલી સંખ્યાઓ બતાવે છે અને 14 વર્ષના એ બાળકને પૂછે છે કે શું તે એ સંખ્યાઓ ઓળખે છે. બાળક સ્લેટને તાકી રહે છે; તેના ચહેરા પર તેણે સંખ્યાઓ ઓળખી હોય એવા કોઈ ભાવ નથી.
15 મી જૂન, 2022, અને અમે છીએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાળા તાલુકામાં, પ્રતીકની શાળા, જ્ઞાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલયમાં, પ્રતીક ત્યાં પાછો આવ્યો છે બે વર્ષના અંતરાલ પછી. બે ખૂબ લાંબા વર્ષ.
તેના શિક્ષક કહે છે, "પ્રતીકને સંખ્યાઓ જ યાદ નથી. મહામારી પહેલા તે સરવાળા કરી શકતો હતો અને બધા જ મરાઠી અને અંગ્રેજી મૂળાક્ષરો લખી શકતો હતો. હવે અમારે તેને શરૂઆતથી જ બધું શીખવવું પડશે."
ઑક્ટોબર 2020 માં આ પત્રકાર અહમદનગર જિલ્લાના રાશિન ગામમાં પ્રતીકને ઘેર ગયા હતા ત્યારે, તે સમયે 13 વર્ષનો પ્રતીક, હજી પણ મૂળાક્ષરોમાંના કેટલાક અક્ષરો લખી શકતો હતો. જોકે, ડિસેમ્બર 2020 સુધીમાં તેણે લખવાનું બંધ કરી દીધુંહતું.
પ્રતીકે 2018 માં શાળામાં જવાનું શરૂ કર્યું હતું. પછીના બે વર્ષોમાં સતત અભ્યાસ (પ્રેક્ટિસ) કરીને તે સંખ્યાઓ અને શબ્દો વાંચતા અને લખતા શીખી ગયો હતો. માર્ચ 2020 માં તે થોડા ઊંચા સ્તરના વાંચન અને લેખન તરફ આગળ વધવાની અણી પર જ હતો ને કોવિડ -19 ની મહામારી ફેલાઈ. તે 25 બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓમાંનો એક હતો - એ બધા જ 6 થી 18 વર્ષની વયના છોકરાઓ હતા - જેમને તેમના પરિવારો પાસે પાછા મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમની નિવાસી શાળા બે વર્ષ માટે બંધ રહી હતી.












