22 વર્ષીય શમિના બેગમ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોર જિલ્લાના વઝિરીથલ ગામમાં તેમના બીજા બાળકને જન્મ આપવાના સમયની વાત કરતાં કહે છે, “તે સાંજે જ્યારે મારી ગર્ભાશયની કોથળી ફાટી ગઈ, ત્યારે મને સખત પીડા થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી હિમવર્ષા થઈ રહી હતી. જ્યારે પણ આવું થાય અને દિવસો સુધી સૂર્યપ્રકાશ નથી હોતો, ત્યારે અમારી સોલર પેનલો ચાર્જ થતી નથી.” તે ગામ એવું છે કે જ્યાં સૂર્ય લાંબા સમય સુધી પ્રકાશિત થતો નથી, અથવા તો અનિયમિતપણે થાય છે – અહીં લોકો ઊર્જા માટે એકમાત્ર સ્રોત: સૌર ઊર્જા પર આધાર રાખે છે.
શમિનાએ આગળ ઉમેર્યું, “અમારા ઘરમાં કેરોસીનની એક ફાનસ સિવાય બધું અંધારું હતું. તેથી, મારા પડોશીઓ તે સાંજે પોતપોતાની ફાનસ લઈને એકઠાં થયાં. પાંચ તેજસ્વી પીળી જ્વાળાઓએ તે રૂમને પ્રજ્વલિત કર્યો જ્યાં મારી માતાએ ગમેતેમ કરીને મને રશીદાને જન્મ આપવામાં મદદ કરી.” તે એપ્રિલ 2022ની એક રાત હતી.
વઝિરીથલ બડુગામ ગ્રામ પંચાયત હેઠળના સૌથી મનોહર ગામોમાંનું એક છે. શમિનાના ઘેર પહોંચવા માટે શ્રીનગરથી 10 કલાકની મુસાફરી કરવી પડે છે, જેમાં ગુરેઝ ખીણમાંથી રાઝદાન પાસ નજીકથી સાડા ચાર કલાકની કાચા રસ્તા પરની મુસાફરી, અડધો ડઝન ચેક-પોસ્ટ અને અંતિમ 10 મિનિટની પગપાળા યાત્રાનો સમાવેશ થાય છે. ત્યાં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે.
નિયંત્રણ રેખાથી થોડે દૂર આવેલ ગુરેઝ ખીણમાં સ્થિત આ ગામમાં વસતા 24 પરિવારોના ઘરો દેવદારના લાકડામાંથી બનેલા છે અને ગરમાવો જાળવી રાખવા માટે અંદરની બાજુએથી તેમાં માટી ચોપળેલી હોય છે. અહીંના ઘરોના મુખ્ય દરવાજાને જૂના યાકના શિંગડા, જે ક્યારેક અસલ હોય છે, તો ક્યારેક તેની લાકડાની પ્રતિકૃતિને લીલા રંગથી રંગેલી હોય છે, વડે શણગારવામાં આવે છે. લગભગ બધી બારીઓ, સરહદની બીજી બાજુ તરફ ખુલે છે.
શમિના તેમના ઘરની બહાર લાકડાના ઢગલા પર તેમના બે બાળકો – બે વર્ષીય ફરહાઝ અને ચાર મહિનાની રશીદા (નામો બદલેલ છે) સાથે બેઠાં છે – અને સાંજના સૂર્યના છેલ્લા બાકી રહેલા કિરણોનો આનંદ માણે છે. તેઓ કહે છે, “મારી માતા મારા જેવી નવી બનેલી માતાઓને દરરોજ સવારે અને સાંજે અમારા નવજાત શિશુઓ સાથે સૂર્યપ્રકાશમાં બેસવાનું કહે છે.” હજુ ઑગસ્ટ મહીનો ચાલું છે. બરફે હજુ આ ખીણ પર આક્રમણ નથી કર્યું. પરંતુ હજુ પણ વાદળછાયા દિવસો, ક્યારેક વરસાદ વાળા અને સૂર્યપ્રકાશ વિનાના અને વીજળી વિનાના દિવસોનો સામનો કરવો પડે છે.









