દિવાળીના 10 દિવસ પહેલા મુકેશ રામ પોતાને ગામ મોહમ્મદપુર પાછા ફર્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં બાંધકામના સ્થળે શ્રમિક તરીકે કામ કરતા હતા.
દિવાળી પછી છઠ્ઠા દિવસે કરવામાં આવતી છટ પૂજાની ઉજવણી માટે 40 વર્ષના મુકેશ રામ બિહારના ગોપાલગંજ જિલ્લામાં પોતાને ઘેર પાછા આવી ગયા હતા. તેમના ઘેર આવવાથી પત્ની પ્રભાવતી દેવી અને તેમના ચાર બાળકો ખુશ હતા.
ગામ પાછા ફર્યા પછી તેઓ પોતાના ઘરથી છ કિલોમીટર દૂર મંગલપુર પુરાણા બજારમાં એક બાંધકામના સ્થળે દાડિયા મજૂરીનું કામ કરતા હતા. તેઓ સવારે 8 વાગ્યે ઘેરથી નીકળી જતા અને સાંજે 6 વાગ્યે પાછા આવતા.
2 જી નવેમ્બર, 2021 ના રોજ તેઓ ઘેર મોડા પાછા ફર્યા અને માથામાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા.
દુખાવો ચાલુ રહ્યો અને બીજે દિવસે સવારે તો તેઓ આંખો પણ ખુલ્લી રાખી શકતા નહોતા. ગમે તેમ કરીને મુકેશ કામ પર જવા માટે તૈયાર તો થયા પરંતુ અસહ્ય દુખાવાને કારણે તેઓ ઘરની બહાર જ ન નીકળી શક્યા.
તેમની આ હાલત જોઈને પ્રભાવતીએ તેમને 35 કિલોમીટર દૂર ગોપાલગંજ શહેરમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવા માટે ગાડી ભાડે કરી. “સુબેરે લે જાત, લે જાત, 11 બજે મઉગત હો ગઈલ [સવારે હોસ્પિટલ લઈ જતા, લઈ જતા 11 વાગે તેઓ મૃત્યુ પામ્યા]."
પરંતુ 35 વર્ષના વિધવા પ્રભાવતી પોતાના સ્વર્ગસ્થ પતિના મૃતદેહને લઈને ઘેર પહોંચ્યા ત્યારે તેઓ આઘાતમાં હતા - તેમનું ઘર સીલ કરી દેવામાં આવ્યું હતું. મોહમ્મદપુર સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેમના ઘર પર છાપો માર્યો હતો.










