નહકુલ પાંડોને નળિયાં બનાવવામાં મદદ કરવા માટે આખો બમડાભાઈસા મોહલ્લો બહાર આવી ગયો હતો. તે સંગઠિતતાનું પ્રદર્શન હતું, એક સામુદાયિક પ્રયાસ હતો જ્યાં લોકો વારાફરતી નળિયાં બનાવવામાં વગર પૈસે -- નકુલે વહેંચેલા ઘરે બનાવેલા દેશી દારુને ના ગણતાં -- મદદ કરી રહ્યા હતા.
પણ એની છત માટે આ નળિયાં બનાવવાની જરૂર શી હતી? અને એથી પહેલાં તો, એણે આટલા નળિયાં ગુમાવ્યાં કેમના? તેના ઘર પર નજર નાખતા એના છાપરાની વચમાં મોટા મોટા ટાલ પડી હોય એવા એવા ભાગ હતા જ્યાં નળિયાં હતાં જ નહીં.
"તે સરકારી લોન હતી," તેણે થાકેલા અવાજમાં કહ્યું. "મેં 4,800 રૂપિયા ઉછીના લીધેલ અને બે ગાયો ખરીદેલી." જે અધિકૃત યોજનાનું હાર્દ હતું - 'સોફ્ટ લોન' - કરજની રકમ, તેમાં એક ભાગ હતો આર્થિક સહાયનો અને એક ઓછા વ્યાજના દરે મળતી સહાયનો, જો તમે ગાયો માટે લીધી હોય. અને, ખરેખર તો 1994 માં સુરગુજાના આ ક્ષેત્રમાં તે રકમમાંથી બે ગાયો ખરીદી શકાતી. (એ જિલ્લો તે સમયે મધ્ય પ્રદેશ રાજ્યમાં હતો અને હવે છત્તીસગઢમાં છે.)
નહકુલ મૂળમાં કંઈ પણ કરજે લેવાના વિચારથી ખાસ ઉત્સાહિત નહોતો થયો. પાંડો આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો, જેમાં નહકુલ પોતે પણ છે, કરજથી ડરતા કારણ કે, તેમના અનુભવ મુજબ, કરજ લેવામાં કેટલાઓએ પોતાની જમીનો ગુમાવવી પડી હતી. પરંતુ આ એક સરકારી લોન હતી, જે ખાસ કરીને આદિવાસીઓના વિશિષ્ટ લાભ માટે સ્થાનિક બેંક દ્વારા વિતરિત કરવામાં આવી હતી. જેનો અર્થ એ કે તેને સ્વીકારવામાં બહુ નુકસાન થવાની શક્યતા ઓછી. એમ કહેવાય ને કે - એ સમયમાં આમ જોઈએ તો વિચાર તો સારો હતો.
"પણ હું તે લોન ભરપાઈ ના કરી શક્યો," નાહકુલે કહ્યું. પાંડો ખૂબ જ ગરીબ સમુદાય છે, જેને અનુસૂચિત જાતિઓના પેટાસમૂહમાં 'અસલામત આદિવાસી જૂથ' (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ) તરીકે વર્ગીકૃત કરાયો છે. નહકુલ તેમની સામાન્ય સ્થિતિમાં કોઈ અપવાદ નથી.



