હજી બંધ થવાના સમયને ઘણી વાર છે છતાં પહેલા માળનો ઓરડો બંધ અને શાંત છે. ત્યાં બાજુની પતરા ને લાકડાની ઝૂંપડીમાં કોઈ નથી, ફક્ત ખુરશીઓ ને ટેબલોનો ખડકલો, લોખંડની પાટલી (બેંચ), આયર્ન (લોહતત્ત્વના) સિરપ અને ફોલિક એસિડની ગોળીઓના ખોખા અને કાઢી નાખેલા રેપિંગ્સ છે. એક જૂનું કટાયેલું નામનું પાટિયું પણ ત્યાં પડ્યું છે, જ્યારે બંધ ઓરડાવાળા મકાનના દરવાજે એક નવું પાટિયું છે: ‘નવા પ્રકારનું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ન્યુ ટાઈપ પ્રાઈમરી હેલ્થ સેન્ટર - એનટીપીએચસી) શબરી મોહલ્લા, દાલ એસજીઆર [શ્રીનગર] ’.
અહીંથી 10 મિનિટની બોટ સવારી તમને નઝિર અહમદ ભટના ‘ક્લિનિક’ પર('દવાખાને') લઈ જશે, જે સામાન્ય રીતે ખુલ્લું હોય છે - અને ભરેલું હોય છે. શિયાળાની ઠંડી બપોર પછી તેઓ તેમની લાકડાના થાંભલા પરની લાકડાની નાનકડી દુકાનમાં બપોરના છેલ્લા ગ્રાહક-દર્દીને તપાસે છે (તેઓ બીજા વધારે ગ્રાહક-દર્દીઓને તપાસવા સાંજે ફરી પાછા આવશે), તેમની નાની દુકાનમાં દર્દીઓને ઈંજેક્શનો આપવા માટે મુખ્ય ઓરડાની બાજુમાં એક નાનકડો ઓરડો છે. બહાર બોર્ડ લગાવેલું છે ‘ભટ મેડિકેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ’.
લગભગ 60 વર્ષના હફીઝા દાર અહીં પાટલી પર રાહ જોતા બેઠા છે. તેઓ નઝિર ‘ડોક્ટર’ને લેવા બોટમાં અહીં આવ્યા છે, 10 મિનિટની બોટ રાઇડ લઈને તેમના મોહલ્લે પહોંચી શકાય છે. તેઓ નઝિરને આશીર્વાદ આપતા કહે છે, "મારા સાસુને કોઈક [ડાયાબિટીસના] ઈન્જેક્શનો લેવાં પડે છે અને તેઓ ખૂબ ઘરડા છે એટલે અહીં આવી શકતા નથી એટલે નઝિર સાહેબ (અમારી પર) ઉપકાર કરીને અમારા ઘેર આવીને ઈન્જેકશન આપે છે." દાર ઉમેરે છે, "અમને ત્યાં [એનટીપીએચસી પર] ડોક્ટર મળતા નથી." દાર એક ગૃહિણી અને ખેડૂત છે; તેમના પતિ ખેડૂત છે અને દાલ સરોવરમાં શિકારા પણ ચલાવે છે. "તેઓ [એનટીપીએચસી પર] માત્ર બાળકોને પોલિયોનાં ટીપાં જ આપે છે અને બપોરે 4 વાગ્યા પછી ત્યાં કોઈ હોતું નથી. "
લગભગ બે વર્ષથી - ઓગસ્ટ 2019 થી કાશ્મીરમાં સતત કર્ફ્યુ અને લોકડાઉન શરૂ થયા પછી - સરોવરના ટાપુઓ પર રહેતા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (એનટીપીએચસી) માં ડોક્ટરને જોયાનું યાદ નથી. નજીકમાં રહેતા અને પ્રવાસીઓના ફોટોગ્રાફર તરીકે કામ કરતા 40 વર્ષના મોહમ્મદ રફીક મલ્લા કહે છે, “ત્યાં વર્ષો પહેલા જે ડોક્ટર હતા તેમણે સારું કામ કર્યું હતું, પરંતુ તેમની બદલી થઈ ગઈ. 2019 થી અમે ત્યાં કોઈ ડોક્ટર જોયા નથી. તેઓ [સ્ટાફ] નિયમિત આવતા નથી અને પછી પૂરતા કલાકો સુધી ત્યાં રહેતા નથી."
શ્રીનગરના મુખ્ય તબીબી અધિકારીના યોજના વિભાગના સહાયક નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર બધા 'નવા પ્રકારના પીએચસી' (કાશ્મીરમાં 'અપગ્રેડ કરેલા' પેટા કેન્દ્રો), માં આરોગ્ય સેવાઓના નિયામકશ્રી દ્વારા વ્યવસ્થિત રીતે નિયુક્ત થયેલા તબીબી અધિકારી તરીકે ઓછામાં ઓછા એક એમબીબીએસ ડોક્ટર, એક ફાર્માસિસ્ટ, એક એફએમપીએચડબલ્યુ (ફિમેલ મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર - મહિલા બહુહેતુક આરોગ્ય કાર્યકર) અને એક નર્સિંગ સ્ટાફની હાજરી આવશ્યક છે.










