ચંદ્રિકા બેહરા નવ વર્ષની છે અને લગભગ બે વર્ષથી શાળાએ નથી ગઈ. તે બારાબંકી ગામના તે 19 વિદ્યાર્થીઓમાંની એક છે જેઓ આમ તો ધોરણ 1 થી 5 માં હોવા જોઈએ, પરંતુ આ બાળકો 2020થી નિયમિતપણે શાળાએ ગયાં નથી. તે કહે છે કે તેનાં મમ્મી તેને મોકલતાં નથી.
બારાબંકીને 2007માં પોતાની અલગ શાળા મળી હતી, પરંતુ ઓડિશા સરકારે તેને 2020માં બંધ કરી દીધી હતી. મોટેભાગે, ચંદ્રિકા જેવા ગામના સંથાલ અને મુંડા આદિવાસીઓના પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને, લગભગ 3.5 કિલોમીટર દૂર જમ્મુ પસી ગામની શાળામાં પ્રવેશ મેળવવાનું કહેવામાં આવ્યું હતું.
ચંદ્રિકાનાં માતા મામી બેહરા જણાવે છે, “બાળકો દરરોજ એટલું ચાલી શકતાં નથી. અને તેઓ લાંબા રસ્તા પર ચાલતી વખતે એકબીજા સાથે લડી પડે છે. અમે ગરીબ મજૂરો છીએ. શું અમે રોજ કામ શોધવા જઈએ કે પછી બાળકો સાથે શાળાએ આવ-જા કરીએ? સત્તાવાળાઓએ અમારી જૂની શાળા ફરીથી શરૂ કરવી જોઈએ.”
ત્યાં સુધી, તેઓ નિઃસહાયપણે કહે છે કે, તેમના સૌથી નાના બાળક જેવા 6 થી 10 વર્ષનાં બાળકોએ શિક્ષણથી વંચિત રહેવું પડશે. 30 વર્ષનાં આ માતાને એ પણ ડર છે કે જાજપુર જિલ્લાના દાનાબદ્દી બ્લોકના જંગલમાં કોઈ બાળકોનું અપહરણ કરનાર પણ હોઈ શકે છે.
તેમના પુત્ર જોગી માટે, મામીએ એક જૂની વપરાયેલી સાયકલની વ્યવસ્થા કરી આપી. જોગી 6 કિમી દૂર બીજી શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. સાતમા ધોરણમાં ભણતી તેમની મોટી પુત્રી, મોનીએ જામ્મુ પસીની શાળાએ ચાલતા જ જવું પડે છે. સૌથી નાની ચંદ્રિકા, ઘેર જ રહેવાની છે.
મામી પૂછે છે, “અમારી પેઢી જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી ચાલી, ચઢ ઉતર કર્યું અને કામ કર્યું. શું અમારે અમારા બાળકો પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવાની?”





















