મોહમ્મદ શમીમના પરિવારમાં ત્રણ સભ્યો છે, પરંતુ તેઓ રેલ્વે ટિકિટિંગ એજન્ટને તેમની વેઇટલિસ્ટમાંની ફક્ત એક ટિકિટ કન્ફર્મ્ડ કરાવી આપવા આજીજી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા શમીમ કહે છે, “બસ મેરી બીવી કો સીટ મિલ જાએ [હું ફક્ત મારી પત્નીને કન્ફર્મ્ડ સીટ મળે તેવું ઇચ્છું છું]. હું તો ગમે તે રીતે ટ્રેનમાં ચડી જઈશ. હું કોઈપણ સંજોગોમાં મુસાફરી કરી શકું છું. ગયા વખતની જેમ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અમારે ઘરે પહોંચી જવું છે.
તેઓ ઉમેરે છે, “એજન્ટ કન્ફર્મ્ડ સીટ માટે ટિકિટ દીઠ 1600 રુપિયા માગે છે . મેં તેની સાથે રક્ઝક કરીને ઘટાડીને 1400 રુપિયા ઠરાવ્યા છે. જો અમને એક સીટ પણ મળશે તો અમે ટ્રેનમાં ચડી જઈશું અને પછી નિયમભંગ બદલ જે કંઈ દંડ વસૂલવામાં આવે તે ચૂકવી દઈશું." મુંબઈથી ઉત્તર પ્રદેશ સુધીની સસ્તામાં સસ્તી રેલ્વે ટિકિટ સામાન્ય રીતે 380-500 રુપિયામાં મળે. યુપીમાં ફૈઝાબાદ જિલ્લાના મસોધા બ્લોકના અબ્બુ સરાય ગામમાં શમીમના બે મોટા ભાઈઓ જમીનદારોના પરિવારો માટે ખેતમજૂરો તરીકેના મોસમી વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કોવિડ -19 ના ફેલાવાને રોકવા મહારાષ્ટ્ર સરકારે લાદેલા નવા પ્રતિબંધોને કારણે ફરી એક વાર ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, શ્રમિકોની છટણી શરૂ થઈ છે અને બાંધકામ સ્થળોએ હાલ પૂરતું કામ સ્થગિત થઈ ગયું છે પરિણામે 22 વર્ષના શમીમ અને મુંબઇના હજારો લાખો સ્થળાંતરિત કામદારો માટે લગભગ 10 મહિનામાં આ બીજી વખતની ઘરવાપસીની આ બીજી સફર હશે.
રાજ્યમાં 14 મી એપ્રિલથી કામ અને પરિવહન પર નવા પ્રતિબંધો અમલી બને તે પહેલા જ સ્થળાંતરિત કામદારોએ શહેર છોડવાનું નક્કી કર્યું હોવાથી 11-12 એપ્રિલથી જ મુંબઈના મુખ્ય રેલ્વે સ્ટેશનો, ખાસ કરીને બાન્દ્રા ટર્મિનસ અને લોકમાન્ય તિલક ટર્મિનસ, જ્યાંથી ઉત્તરીય રાજ્યો - ઉત્તર પ્રદેશ અને બિહાર માટે અનેક ટ્રેનો રવાના થાય છે, ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો વધુ પ્રતિબંધોના ડરથી હજી પણ શહેર છોડવાના પ્રયત્નમાં છે.
જોકે શિવસેનાની આગેવાનીવાળી રાજ્ય સરકારે કર્ફ્યુ અને પ્રતિબંધોને બીજું ‘લોકડાઉન’ ગણાવ્યું નથી, પણ શમીમને આ પરિભાષાથી કોઈ જ ફેર પડતો નથી : “અમારે માટે તો આ વેતન-નુકસાનનો બીજો દોર છે. અને તેની શરૂઆત થઈ ચૂકી છે.






