પ્રકાશ ભગત મોટા એલ્યુમિનિયમના વાસણ ઝૂકીને આલૂ-મટરની ગ્રેવીને કડછીથી હલાવે છે. તેઓ આખા શરીરનું વજન ડાબા પગ પર લે છે, જમણો પગ હવામાં અદ્ધર લટકતો રાખે છે, અને ડાંગની મદદથી પોતાનું સંતુલન જાળવે છે.
52 વર્ષના ભગત કહે છે, “મને લાગે છે કે હું 10 વર્ષનો હતો ત્યારથી જ લાકડી લઈને ચાલું છું. હું નાનો હતો ત્યારથી જ મારો પગ પકડીને ચાલતો હતો. મારા માતાપિતા કહે છે કે મારી નસ ખેંચાઈ ગઈ છે.
ભગતની શારીરિક અક્ષમતાએ તેમના સંકલ્પ પર કોઈ અસર કરી નથી. જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના તેમના ગામ પારગાંવના ઘણા લોકોએ એક જાથામાં, દિલ્હી જતા વાહનોના મોરચામાં, ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે, તેમાં જોડાતા પહેલા તેમણે બે વાર વિચાર્યું નહીં. પરવાનગી લઈ ગ્રેવી ચાખતા ચાખતા તેઓ કહે છે, " અહીં આવવાનું એક કારણ છે.”
આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદા સામે દિલ્હીમાં હજારો, લાખો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીની સરહદે ત્રણ જુદા જુદા સ્થળોએ વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી આશરે 2000 જેટલા ખેડૂતો આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા અને એકતા દર્શાવવા 21 મી ડિસેમ્બરે નાસિકમાં ભેગા થયા હતા. તેઓ નાસિકથી આશરે 1400 કિલોમીટર દૂર છેક દિલ્હી જઈ રહેલ જાથામાં જોડાવાના હતા.
પારગાંવ ગામમાંથી પણ 39 લોકોએ જોડાવાનું નક્કી કર્યું. ભગત કહે છે, “આ દેશના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. હકીકતમાં, શક્ય તેટલા ખેડુતોને તેમની પેદાશો માટે વાજબી (બાંયધરીના) ભાવ મળવા જ જોઈએ. આ કૃષિ કાયદા તેમને દેવામાં વધુ ઊંડા ધકેલશે. ખેડૂતો મોટી કંપનીઓને હવાલે રહેશે, જે તેમનું શોષણ કરશે. કૃષિ કાયદાઓના અમલીકરણથી તાત્કાલિક પંજાબ અને હરિયાણાના ખેડુતોને નુકસાન પહોંચી શકે છે, અને તેથી જ આંદોલનમાં તેમનું પ્રભુત્વ છે, પરંતુ એનો અર્થ એ નથી કે દેશના બાકીના ખેડૂતોને આ કાયદાઓથી કોઈ અસર નહીં પહોંચે."





