ગણેશ અને અરુણ મુકણે શાળામાં હોવા જોઈએ અનુક્રમે ધોરણ 9 અને 7માં. તેના બદલે, તેઓ થાણે જિલ્લામાં મુંબઈની હદમાં આવેલા ગામ કોલોશીમાં તેમના ઘેર સમય પસાર કરી રહ્યા છે. જે પણ ભંગાર ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને તેઓ કાર અને અન્ય વસ્તુઓ બનાવે છે. અથવા તો જ્યારે તેમના માતા-પિતા ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે ત્યારે તેઓ આસપાસ બેસીને સમય વિતાવે છે.
તેમનાં માતા નીરા મુકણે કહે છે, “તેઓ હવે ચોપડીઓમાંથી નથી ભણતા. આ નાનો [અરુણ] ભંગાર અને લાકડામાંથી રમકડાં બનાવવામાં વ્યસ્ત છે. તેનો આખો દિવસ રમતમાં જ જાય છે.” અરુણે તેમને ટૂંકાવીને કહ્યું, “હું તને કેટલી વાર કહું કે હું શાળાથી કંટાળી ગયો છું?” તેમની વચ્ચેની વાતચીત સારી રીતે સમાપ્ત થતી નથી અને એટલામાં અરુણ એક કામચલાઉ ગાડી સાથે રમવા માટે ચાલ્યો જાય છે જે તેણે તાજેતરમાં જ તેના ઘરના અને તેની આસપાસના કચરામાંથી બનાવેલ છે.
26 વર્ષીય નીરાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે પરંતુ તેમના 35 વર્ષીય પતિ વિષ્ણુએ ધોરણ 2 પછી શાળા છોડી દીધી હતી. મુકણે પરિવાર મક્કમ છે કે તેમના છોકરાઓને ઔપચારિક શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ તેમના માતા-પિતાની જેમ જે કામ મળે તે કરવા મજબૂર ન થાય – સ્થાનિક પ્રવાહોમાં માછીમારી કરવી અથવા તો ઈંટોના ભઠ્ઠામાં કામ કરવું. ઘણા આદિવાસી પરિવારો ઈંટોના ભઠ્ઠાઓ પર કામ કરવા માટે શાહપુર-કલ્યાણ પ્રદેશમાં સ્થળાંતર કરે છે.
મહારાષ્ટ્રમાં ત્રણમાંથી એક, ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સૂચિબદ્ધ કાતકરી સમુદાયના વિષ્ણુ કહે છે, “હું બહુ ભણી શક્યો ન હતો. પરંતુ હું ઇચ્છું છું કે મારા બાળકો સારી રીતે ભણે.” આદિજાતિ બાબતોના મંત્રાલયના 2013ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યમાં કાતકરી સમુદાયનો સાક્ષરતા દર 41 ટકા છે.
તેથી ચાર વર્ષ પહેલાં ત્યાં પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાના કારણે જ્યારે સ્થાનિક સરકારી શાળા બંધ થવા જઈ રહી હતી, ત્યારે વિષ્ણુ અને તેમનાં પત્નીએ તેમના છોકરાઓને મઢ ગામની સરકારી માધ્યમિક આશ્રમ શાળામાં (જેને સ્થાનિક રીતે મઢ આશ્રમશાળા તરીકે ઓળખવામાં આવે છે)મૂક્યા. આ રાજ્ય દ્વારા સંચાલિત ધોરણ 1-12 સુધીની દિવસે ચાલતી નિવાસી શાળા છે અને તે થાણે જિલ્લામાં મુરબાડથી 30 કિલોમીટર દૂર આવેલી છે. 379 વિદ્યાર્થીઓમાંથી 125 તેમના પુત્રો જેવા રહેણાંક વિદ્યાર્થીઓ હતા. વિષ્ણુએ કહ્યું, “હું ખુશ હતો કે તેઓને શાળામાં ખાવાનું અને ભણવાનું મળી રહ્યું હતું. પણ અમને તેમની ખૂબ યાદ આવતી હતી.”







