મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ઘરેલુ નોકર તરીકે કામ કરતા 68 વર્ષના જેહેદબી સૈયદ કહે છે, “કોઈ મને કામે રાખવા તૈયાર નહોતું. મેં બધી સાવચેતી રાખી હતી પરંતુ તેઓ મને તેમના ઘરોમાં પેસવા જ નહોતા દેતા. મેં આ કપડું [કાપડનું માસ્ક] ક્યારેય કાઢ્યું નથી અને અંતર જાળવવા જેવા બધા નિયમોનું પાલન કર્યું છે."
એપ્રિલ 2020 માં કોવિડ -19 લોકડાઉન દરમિયાન જેહેદબી જે પાંચ પરિવારોમાં કામ કરતા હતા તેમાંથી ચાર પરિવારોએ તેમને કામ બંધ કરી દેવાનું કહ્યું. "મારી પાસે એક જ કામ રહ્યું હતું અને તેઓએ મારે માથે કામનો વધારે પડતો બોજ લાદી દીધો."
જેહેદબીને ઘરેલુ નોકર તરીકે કામ કરતે કરતે 30 થી ય વધુ વર્ષ થઈ ગયા છે - તેમાંથી ઘણાં વર્ષો તેમણે એ ઘરોમાં વાસણો સાફ કરવામાં અને ઘરની સફાઈ કરવામાં ખર્ચ્યા હતા જેમણે ગયા વર્ષે પોતાના દરવાજા તેમને માટે બંધ કર્યા હતા. તેઓ માને છે કે માર્ચ 2020 માં દિલ્હીની મસ્જિદમાં તબલઘી જમાતના લોકો ભેગા થયા હતા અને જે પાછળથી કોવિડ -19 હોટસ્પોટ બની ગઈ હતી તે સંબંધિત વિવાદની અસર તેમને કામે રાખનારા પર થઈ હશે. તેઓ યાદ કરે છે, "લોકોને મુસ્લિમોથી દૂર રહો એવી અફવા શરુ થઇ અને આગની જેમ ફેલાઈ ગઈ. મારા જમાઇએ કહ્યું કે જમાતને કારણે મેં મારી નોકરી ગુમાવી. પરંતુ મારે ને જમાતને શું લાગેવળગે? ”
ત્યાર પછી મહિને 5000 રુપિયા કમાતા જેહેદબીની આવક ઘટીને 1000 થઈ ગઈ. તેઓ પૂછે છે, "જે પરિવારોએ મને કામ બંધ કરી દેવાનું કહ્યું હતું તેઓ મને ક્યારેય પાછી નહીં બોલાવે? મેં ઘણા વર્ષો સુધી તેમના માટે કામ કર્યું અને પછી આમ સાવ અચાનક જ તેઓએ મને કાઢી મૂકી ને બીજી મહિલાઓને કામે રાખી."
વરસ થયું પણ તેમની પરિસ્થિતિ હજી એ જ રહી છે. જેહેદબી કહે છે, “પરિસ્થિતિ વધારે બેકાર [ખરાબ] થઈ ગઈ છે. માર્ચ 2021 માં તેઓ ત્રણ ઘેર કામ કરતા અને મહિને 3000 કમાતા. પરંતુ તેમને કામે રાખનાર બે જણે એપ્રિલમાં, જ્યારે કોવિડ -19 ની બીજી લહેર મહારાષ્ટ્રમાં ફેલાવા લાગી ત્યારે, તેમને કાઢી મૂક્યા. "તેઓએ કહ્યું કે હું ઝૂંપડપટ્ટીમાં રહું છું અને અમે નિયમો [સલામતી પ્રોટોકોલ (શિષ્ટાચાર)] નું પાલન કરતા નથી."
તેથી હવે જ્યાં સુધી તેમને બીજા કામ ન મળે ત્યાં સુધી તેઓ તેમને કામે રાખનાર એકમાત્ર માલિક પાસેથી મહિને 700 રુપિયા કમાય છે.





