પારુને જ્યારે 2019માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં તેમના પિતાએ ઘેરથી ઘેટાં ચારવા માટે મોકલી દીધી હતી ત્યારે તેની ઉંમર ફક્ત સાત વર્ષની હતી.
ત્રણ વર્ષ પછી, ઓગસ્ટ 2022ના અંતમાં, તેણીના માતાપિતાએ તેને તેમની ઝૂંપડીની બહાર જોઈ. એને ત્યાં ધાબળામાં લપેટીલી હાલતમાં બેભાન અવસ્થામાં છોડી દેવામાં આવી હતી. એના ગળા પર કોઈએ ગળું દાબ્યાના નિશાન હતા.
પારુનાં માતા સવિતાબાઈએ તેમાના આંસુ લૂછતાં કહ્યું, “તે તેના છેલ્લા શ્વાસ સુધી એક શબ્દ સુધ્ધાં બોલી ન હતી. અમે તેને શું થયું તે પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બોલી શકી નહીં. અમને લાગ્યું કે કોઈએ તેના પર કાળો જાદુ કર્યો છે. તેથી અમે તેને [મુંબઈ-નાસિક હાઈવેથી દૂર] નજીકના મોરા ટેકરીઓ પરના મંદિરમાં લઈ ગયા. પુજારીએ અંગારા [પવિત્ર રાખ] લગાવી. અમે રાહ જોતાં હતાં કે તેને ભાન આવશે કે કેમ, પરંતુ તેને ભાન જ ન આવ્યું.” મળી આવ્યાના પાંચ દિવસ પછી, 2 સપ્ટેમ્બર, 2022ના રોજ, પારુનું એને થયેલી ઇજાઓના કારણે નાસિક શહેરની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું.
પારુ જ્યારે બહાર હતી તે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેના પરિવારને ફક્ત એક જ વાર મળવા આવી હતી. તેણીને જે વચેટિયો કામે લઈ ગયો હતો તે જ તેને દોઢ વર્ષ પહેલાં ઘેર લાવ્યો હતો. સવિતાબાઈએ પારુ બેભાન હાલતમાં મળી આવ્યાના બીજા દિવસે વચેટિયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તે સાતથી આઠ દિવસ જ અમારી સાથે રહી. આઠમા દિવસ પછી, તે પાછો આવ્યો અને તેને ફરીથી લઈ ગયો.”











