વહેલી સવારે થોડો પ્રયત્ન કરી પડખું ફરીને સુનીતા સાહુએ પૂછ્યું, "બાળકો ક્યાં છે?" તેમના પતિ બોધરામે કહ્યું કે તેઓ ઊંઘતા હતા. સુનીતાએ નિસાસો નાખ્યો. સુનીતા આખી રાત ઊંઘી શક્યા નહોતા. અને તે કારણે બોધરામ ચિંતિત હતા. બોધરામ ઘણીવાર સુનીતાની મજાક ઉડાવતા કે તે તો ગમે ત્યારે ગમે ત્યાં ઊંઘી જઈ શકે છે.
પરંતુ 28 મી એપ્રિલની રાત્રે બોધરામ અને સુનીતા સાહુના (12 થી 20 વર્ષની વયની વચ્ચેના) ત્રણ દીકરાઓ વારાફરતી પોતાની માતાના હાથ, પગ, માથું અને પેટ સરસવના હુંફાળા તેલથી માલિશ કરતા હતા ત્યારે તેઓ પીડાથી કણસતા હતા. તેઓ ગણગણ્યા, "મને કંઈક થાય છે." - આ તે સવારની બોધરામની યાદો છે.
સાહુ પરિવાર લખનૌ જિલ્લાની ખરગાપુર જાગીરમાં નાનકડી ઝૂંપડીમાં રહે છે. તેઓ બે દાયકા પહેલા છત્તીસગઢના બેમેત્રા જિલ્લાના તેમના ગામ મારોથી ચિન્હાટ બ્લોકના આ ગામમાં આવીને સ્થાયી થયા હતા. 42 વર્ષના બોધરામ બાંધકામના સ્થળોએ કડિયાકામ કરે છે; 39 વર્ષના સુનીતા ગૃહિણી છે.
એપ્રિલ મહિનામાં કોવિડ -19 મહામારીની બીજી લહેરે ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી મચાવી હતી. 24 મી એપ્રિલે (એક જ દિવસમાં) રાજ્યમાં 38055 નવા સંક્રમણ નોંધાયા - જે એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે, જો કે ઉત્તર પ્રદેશના વાસ્તવિક આંકડા સામે આવ્યા નથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લખનૌની રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RMLIMS - આરએમએલઆઈએમએસ) ખાતે કોમ્યુનિટી મેડિસિન વિભાગના સહાયક અધ્યાપક રશ્મિ કુમારી કહે છે, “(કોવિડ સંક્રમણના) કેસોની વાસ્તવિક સંખ્યા (સરકારે જાહેર કરેલા આંકડા કરતા) ચારથી પાંચ ગણી વધારે હોઈ શકે છે. અંડરરિપોર્ટિંગ છે કારણ કે (કોવિડ સાથે સંકળાયેલ) સામાજિક કલંકના ડરને કારણે લોકો (કોવિડના) પરીક્ષણો કરાવવા આગળ આવતા નથી. પરિણામે વાસ્તવિક ચિત્ર મેળવવું મુશ્કેલ છે."
સાહુ પરિવારને ખાતરી છે કે સુનીતાને કોવિડ-19 નહોતું કારણ કે પરિવારમાં બીજા કોઈને તે નહોતું, જો કે તેમને (સુનીતાને) તાવ, શરીરનો દુખાવો અને ઝાડા હતા - આ બધા લક્ષણો કોરોનાવાયરસ સંક્રમણના સૂચક છે.












