ઉજ્જોલ દાશ પોટોલપુરમાં બાકી રહેલા છેલ્લા માણસ છે. અથવા એમ કહો કે, તેમનો પરિવાર ત્યાં બાકી રહેલ છેલ્લો ખેડૂત પરિવાર છે.
ગયા ઓક્ટોબરમાં હાથીઓએ તેમનું ઘર પાડી નાખ્યું હતું ત્યારે છેલ્લા 10 વર્ષમાં આ આઠમી વખત એવું બન્યું હતું કે પોટોલપુર ગામમાં તેમનું માટીની દીવાલો ધરાવતું ઘર ભૂખ્યા હાથીઓએ ઉજાડી નાખ્યું હતું.
લણણીનો સમય હતો અને ચોમાસું પણ આવી ગયું હતું - આશાડ અને સ્રાબુન (અષાઢ અને શ્રાવણ) મહિનાનો સમય હતો. હાથીઓનું ટોળું લગભગ 200 કિલોમીટરનો પ્રવાસ કરીને પહાડો અને જંગલોમાંથી પસાર થઈને કોઈક ટેકરીઓની તળેટીમાં આવેલા પોટોલપુર ગામમાં પહોંચ્યું હતું. આ ટોળું પહેલા મોયુરાખ્ખી નદીની ઉપનદી સિદ્ધેશરીના કિનારે રોકાયું હતું, ત્યાં હાથીઓએ થોડો સમય આરામ કર્યો હતો. આ સ્થળ ગામથી લગભગ એક કિલોમીટર દૂર છે. પછીથી લગભગ 200 કિલોમીટરની લાંબી મુસાફરી પછી ભૂખ્યું થયેલું ટોળું ઊભા પાક સાથેના ખેતરો તરફ ધસી ગયું હતું.
ચોંદોના અને ઉજ્જોલ દાશના નાના દીકરા પ્રોશેન્જીત કહે છે, "અમે અમારો જીવ જોખમમાં મૂકીને સળગતી મશાલો લઈને હાથીઓને ભગાડવા ગયા હતા. ઘણી વખત હાથીઓએ આવીને ખેતરોમાં ડાંગરનો [ઊભો] પાક બરબાદ કરી નાખ્યો છે. હાથીઓ જ બધો પાક ખાઈ જશે તો અમે શું ખાઈશું?”
દાશને માત્ર ડાંગરના જ નુકસાનની ચિંતા નથી. આ પરિવાર તેમની 14 બીઘા (આશરે 8.6 એકર) જમીન પર બટાકા, દૂધી, ટામેટાં અને કોળું તેમજ કેળા અને પપૈયા પણ ઉગાડે છે.
અને વળી ઉજ્જોલ દાશ કોઈ સામાન્ય ખેડૂત નથી - તેમના કોળાએ તેમને રાજ્ય પુરસ્કાર જિતાડ્યો હતો, રાજ્યના દરેક બ્લોકમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેડૂતને દર વર્ષે ક્રિષોક રોત્ન પુરસ્કાર આપવામાં આવે છે. ઉજ્જોલ દાશે 2016 અને 2022 માં રાજનોગોર બ્લોકમાંથી આ પુરસ્કાર જીત્યો હતો. તેમને 10000 રુપિયાનું રોકડ ઈનામ અને એક પ્રમાણપત્ર મળ્યા હતા.








