નાનપણમાં, રજિતા બારીઓમાંથી ડોકિયું કરીને તેમના પિતા અને દાદાને યુવાનોને તાલીમ આપતા જોતાં ને વિચારતાં કે તેઓ શા માટે તેમની સાથે જોડાઈ શકતાં નથી. ખાસ કરીને કઠપૂતળીઓએ આ યુવતીનું ધ્યાન ખેંચ્યું હતું. છંદોની અદ્ભૂત લયબદ્ધતા તેમના કાનોને ખૂબ જ મધૂર લાગતી હતી.
33 વર્ષીય રજિતા સમજાવે છે, “કઠપૂતળીઓ પ્રત્યેના મારા આકર્ષણની નોંધ સૌથી પહેલાં મારા દાદાએ લીધી હતી અને તેમણે મને તે પંક્તિઓ શીખવવાનું નક્કી કર્યું હતું.”
રજિતા પુલાવર શોરનુરમાં તેમના પારિવારિક સ્ટુડિયોમાં લાકડાની પાટલી પર બેસીને તોલ્પાવકૂતુ કઠપૂતળીના ચહેરાના લક્ષણો બનાવી રહી છે. તેમની સામેના ડેસ્ક પર લોખંડના વિવિધ સાધનો જેવા કે આરી, છીણી અને હથોડીઓ છે.
બપોરનો સમય છે અને સ્ટુડિયોમાં સન્નાટો છવાયેલો છે. અહીં એકમાત્ર અવાજ આવે છે તે છે જ્યાં કઠપૂતળીઓ બનાવવામાં આવે છે તે શેડમાં બેસેલાં રજિતાની બાજુમાં મૂકવામાં આવેલા પંખાનો. બહાર ખુલ્લી છત પર, ગરમીમાં સૂકવવા માટે પ્રાણીઓની ચામડીઓ નાખવામાં આવી છે. જ્યારે આ ચામડી સારી રીતે સૂકાઈ જશે, ત્યારે તેમાંથી કઠપૂતળીઓ બનાવવામાં આવશે.
તેઓ અત્યારે જે કઠપૂતળીઓ પર કામ કરી રહ્યાં છે તેના વિશે વાત કરતાં રજિતા કહે છે, “આ તે કઠપૂતળીઓ છે જેનો અમે આધુનિક વિષયો પર આધારિત શો માટે ઉપયોગ કરવા જઈ રહ્યાં છીએ.” તોલ્પાવકૂતુ એ ભારતના મલબાર ક્ષેત્રનું પરંપરાગત કઠપૂતળીનું કલા સ્વરૂપ છે, જે મૂળરૂપે દેવી ભદ્રકાલીના વાર્ષિક તહેવાર દરમિયાન મંદિર પરિસરમાં રજૂ કરવામાં આવે છે.














