આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના કોટાપલેમ ગામમાં બન્ટુ દુર્ગા રાવના નાળિયેરીના બગીચાનો ટૂંક સમયમાં નાશ થઈ શકે છે. શ્રીકાકુલમ જિલ્લાના ત્રણ ગામો - કોટાપલેમ, કોવ્વાડા અને મારુવાડા (અને તેના બે પરાં, ગુડેમ અને ટેક્કલી)માં કુલ 2,073 એકર જમીન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારતીય પરમાણુ ઊર્જા નિગમ લિમિટેડ (NPCIL)ના મથક માટે સંપાદિત કરવામાં આવી રહી છે, જેમાં રાવની એક એકર જમીનનો પણ સમાવેશ થાય છે.
પરંતુ, મે 2017માં, દુર્ગા રાવે આ જ જમીન પર આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકમાંથી 60,000 રૂપિયાની લોન લીધી હતી. હવે, તેઓ મૂંઝવણભરી સ્થિતિમાં પૂછે છે, “એક તરફ, બેંકો કૃષિ લોન આપી રહી છે અને બીજી તરફ, મહેસૂલ વિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે સર્વે નંબર 33 [જ્યાં તેમની જમીન આવેલી છે] તે એક પાણીનો પ્રવાહ છે. બંને સરકારી એજન્સીઓ છે. હવે બંને કેવી રીતે સાચા હોઈ શકે?”
હૈદરાબાદની પર્યાવરણ સંરક્ષણ તાલીમ અને સંશોધન સંસ્થા દ્વારા જાન્યુઆરી 2017માં તૈયાર કરવામાં આવેલા સામાજિક અસર મૂલ્યાંકન અહેવાલ અનુસાર, આ વિદ્યુત મથકના કારણે ખેડૂતો અને માછીમારોના આશરે 2,200 પરિવારોનું વિસ્થાપન થવાની સંભાવના છે. તેમાંના મોટાભાગના દલિત અને ઓ.બી.સી સમુદાયના છે. અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹4 લાખ કરોડ થશે.
રણસ્તલમ બ્લોકના ત્રણ ગામો અને બે ગામડાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા 2011માં શરૂ થઈ હતી અને 2014ની સામાન્ય ચૂંટણીઓ પછી તેને વેગ મળ્યો હતો. પરંતુ માર્ચ 2018માં, રાજ્યની સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી, નેશનલ ડેમોક્રેટિક એલાએન્સ સરકારમાંથી બહાર નીકળી ગઈ, અને NPCILએ કેન્દ્ર સરકારની એજન્સી હોવાથી, કોટાપલેમના સરપંચ શંકર ધનંજય રાવના જણાવ્યા અનુસાર, “પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધુ વિલંબ થશે.”
આ પરિસ્થિતિએ ગ્રામજનોની અનિશ્ચિતતા અને મૂંઝવણમાં વધારો કર્યો છે.








