જેમ જેમ શિયાળું પાકની લણણીનો સમય નજીક આવે છે, તેમ તેમ કૃષ્ણા અંબુલકર દરરોજ સવારે 7 વાગ્યે ઘરે-ઘરે વસુલી, એટલે કે મિલકત અને પાણી વેરાનું વસૂલાત અભિયાન શરૂ કરવા માટે બહાર નીકળે છે.
ઝમકોલીના આ એકમાત્ર પંચાયત કર્મચારી કહે છે, “ખેડૂતો (અહીં) એટલા ગરીબ છે કે 65 ટકા લક્ષ્ય હાંસલ કરવું પણ ખૂબ કઠીન થઈ જાય છે.”
ઝમકોલી નાગપુરથી 75 કિલોમીટર દૂર છે અને તેમાં માના અને ગોવારી (અનુસૂચિત જનજાતિ) સમુદાયો વસે છે, જેઓ મોટાભાગે સીમાંત અને સૂકી જમીન પર ખેતી કરતા નાના ખેડૂતો છે. જો તેમની પાસે કૂવો અથવા બોરવેલની સુવિધા હોય તો તેઓ કપાસ, સોયાબીન, તુવેર અને ઘઉં પણ ઉગાડે છે. ચાલીસ વર્ષીય કૃષ્ણા ગામમાં એકમાત્ર ઓ.બી.સી. છે, જેઓ જાતિ દ્વારા એક નાવી (વાળંદ) છે.
આ વર્ષે બજેટનું મુખ્ય ધ્યાન કૃષિ પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાના નવી દિલ્હીના દાવાઓ અને મધ્યમ વર્ગ માટે કરવેરામાં ઘટાડાની ખુશીથી દૂર, અંબુલકર પંચાયતની કરવેરાની વસૂલાતને લઈને તણાવમાં છે અને ગામના ખેડૂતો પાકના ભાવ સાવ તળીયે પહોંચી ગયા હોવાની ચિંતા કરે છે.
કૃષ્ણાની ચિંતાને સરળતાથી સમજાવી શકાય છેઃ પણ આમાં વાત જરા એમ છે કે જો તેઓ આ કામમાં નિષ્ફળ જાય, તો તેમને તેમનો રૂ. 11,500નો પગાર નહીં મળે, જે પંચાયતના કરવેરાની રૂ. 5.50 લાખ આવકમાંથી ચૂકવવામાં આવે છે.




