આઠ વર્ષીય વિશાલ ચૌહાણ ભારે પથ્થરો અને વાંસથી બનેલા પોતાના ઘર વિશે કહે છે, “જ્યારે અમે ભણવા બેસીએ છીએ, ત્યારે અમારા પુસ્તકો અને ચોપડા પર પાણી ટપકે છે. ગયા વર્ષે (2022માં) જુલાઈમાં તો મકાન તૂટી પડ્યું હતું. આવું દર વર્ષે થાય છે.”
અલેગાંવ જિલ્લા પરિષદ શાળામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થી વિશાલનો પરિવાર બેલદાર સમુદાયનો છે, જે મહારાષ્ટ્રમાં વિચરતી જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
તેઓ ઉમેરે છે, “જ્યારે વરસાદ પડે છે ત્યારે ઝૂંપડીની અંદર રહેવું ખાસ કરીને મુશ્કેલ થઈ પડે છે, કારણ કે તેમાં વિવિધ જગ્યાએથી પાણી ટપકતું હોય છે.” તેથી, તેઓ અને તેમની નવ વર્ષની બહેન વૈશાલી, શિરુર તાલુકાના અલેગાંવ પાગા ગામમાં તેમના ઘરની છતમાં ક્યાં ક્યાં પાણી ટપકે છે તેની ભાળ કાઢતાં રહે છે, જેથી કરીને તેઓ ત્યાં અભ્યાસ કરી શકે.
ભાઈ-બહેનોની શિક્ષણ પ્રત્યેની આતુરતાથી તેમનાં દાદી શાંતાબાઈ ચૌહાણ ખૂબ ગર્વ અનુભવે છે. 80 વર્ષીય દાદી કહે છે, “અમારા આખા ખાંડન [પરિવાર]માં, કોઈ ક્યારેય શાળાએ ગયું નથી. મારા પૌત્રો સૌથી પહેલ વહેલીવાર વાંચવાનું અને લખવાનું શીખી રહ્યા છે.”
પરંતુ જ્યારે તેઓ તેમના પૌત્રો વિશે વાત કરે છે, ત્યારે તેમના કરચલીવાળા ચહેરા પર ગર્વની સાથે સાથે દુઃખનો પડછાયો ભળી જાય છે. અલેગાંવ પાગા વસ્તીમાં તેમની તાડપત્રીથી બનાવેલી ઝૂંપડીની અંદર બોલતાં શાંતાબાઈ કહે છે, “અમારી પાસે એવું પાકું ઘર નથી, જેમાં બેસીને તેઓ શાંતિથી ભણી શકે. ત્યાં પ્રકાશની પણ સુવિધા નથી.”












