લગભગ દરેક ભારતીય ખેડૂત જાણતો હોય એવા અંગ્રેજીના થોડાક શબ્દો હોય તો તે છે 'સ્વામીનાથન રિપોર્ટ' અથવા 'સ્વામીનાથન કમિશન રિપોર્ટ'. આ ભારતીય ખેડૂતો એ પણ જાણે છે કે તેમને માટે 'સ્વામીનાથન રિપોર્ટ' ની મુખ્ય ભલામણ શું છે: લઘુત્તમ ટેકાના ભાવ (મિનીમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)) = ઉત્પાદનનો વ્યાપક/સર્વસમાવેશક ખર્ચ (કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ) + 50 ટકા (જેને સી2+50 ટકા તરીકે પણ ઓળખવામાં આવે છે).
પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને માત્ર સરકાર અને અમલદારશાહીના હોલમાં જ નહીં પણ વિજ્ઞાનની સંસ્થાઓમાં પણ યાદ કરવામાં આવશે - પરંતુ મુખ્યત્વે તો રાષ્ટ્રીય કિસાન આયોગ (નેશનલ કમિશન ઓફ ફાર્મર્સ - એનસીએફ) ના અહેવાલના અમલની માગણી કરતા લાખો ખેડૂતો તેમને સદાય હૃદયપૂર્વક યાદ કરતા રહેશે.
એમ.એસ. સ્વામીનાથન એનસીએફના અધ્યક્ષ હતા. એનસીએફના આ અહેવાલો તૈયાર કરવામાં તેમના પ્રચંડ યોગદાન, એ અહેવાલો પર તેમની ભારે અસર અને તેમણે છોડેલી અમીટ છાપને કારણે ભારતીય ખેડૂતો તો આ અહેવાલોને ફક્ત 'સ્વામીનાથન રિપોર્ટ' તરીકે જ ઓળખે છે.
આ અહેવાલોની કથા એ યુપીએ અને એનડીએ બંને સરકારો દ્વારા વિશ્વાસઘાત અને દમનની કથા છે. સૌથી પહેલો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ડિસેમ્બર 2004 માં, પાંચમો અને અંતિમ અહેવાલ ઓક્ટોબર 2006 ની આસપાસ. કૃષિ સંકટ પર સંસદનું વિશેષ સત્ર - જેની આપણને સખત/તાતી જરૂર છે - એની તો વાત જ જવા દો, આ વિષય પર એક કલાકની સમર્પિત ચર્ચા પણ ક્યારેય યોજાઈ નથી. અને સૌથી પહેલો અહેવાલ રજૂ થયાને આજકાલ કરતાં હવે 19 વર્ષ થઈ ગયાં છે.
2014 માં, મોદી સરકાર સત્તામાં આવી, કેટલેક અંશે સ્વામીનાથન રિપોર્ટને, ખાસ કરીને તેની એમએસપીની ફોર્મ્યુલાની ભલામણને, ઝડપથી અમલમાં મૂકવાના તેમણે આપેલા ચૂંટણી-વચનને સહારે. અને (સત્તા પાર આવ્યા બાદ) એ વચનને અમલમાં મૂકવાને બદલે આવનારી સરકારે ઝડપથી સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું કે એ ભલામણને અમલમાં મૂકવાનું શક્ય નથી કારણ કે તે બજાર ભાવને ખોરવી નાખશે.
કદાચ યુપીએ અને એનડીએનો તર્ક એ હતો કે અહેવાલો વધુ પડતા 'ખેડૂત તરફી' હતા, જ્યારે બંને સરકારો ભારતીય ખેતીને કોર્પોરેટ ક્ષેત્રને સોંપવાનો પ્રયાસ કરી રહી હતી. આ અહેવાલ એ આઝાદી પછી કૃષિ માટે કોઈ સકારાત્મક યોજનાની રૂપરેખાની કંઈક નજીક હોય એવી આ પહેલી વસ્તુ હતી. અને એ બ્લુપ્રિન્ટ તૈયાર કરનાર આયોગનું સુકાન સાંભળ્યું હતું એક એવી વ્યક્તિએ જેણે એક સાવ જ અલગ માળખું શોધી કાઢ્યું હતું: કે અમે કૃષિ ક્ષેત્રના વિકાસને ખેડૂતોની આવકમાં થયેલી વૃદ્ધિના સંદર્ભમાં માપીએ છીએ, માત્ર વધેલા ઉત્પાદનના સંદર્ભમાં નહીં.






