23 વર્ષના ભારતી કાસ્તે માટે માત્ર એક જ બાબત મહત્વની હતી અને તે હતી તેમનો પરિવાર. તેમણે 10 મા ધોરણ પછી શાળા અધવચ્ચે છોડી દઈને નોકરી લઈ લીધી હતી જેથી તેમની નાની બહેનો પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે. તેમણે એક કંપનીમાં મદદનીશ તરીકે કામ કર્યું હતું, તેમના પિતા અને મોટા ભાઈ કે જેઓ પણ કામ કરતા હતા તેઓ થોડો નિરાંતનો શ્વાસ લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમણે સતત મહેનત કરી હતી. તેમને જો કોઈનીય ચિંતા હોય અથવા તેઓ જો કોઈનેય માટે વિચારતા હોય તો તે હતો તેમનો પરિવાર. મે 2021 સુધી આવું હતું.
એ પછી વિચારવા માટે કોઈ પરિવાર જ નહોતો.
ભારતીના પરિવારના પાંચ સભ્યો 1 3 મી મે, 2021 ના રોજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલા તેમના ગામ નેમાવરમાંથી રાતોરાત ગુમ થઈ ગયા. તેમાં તેમની બહેનો, 17 વર્ષની રૂપાલી અને 12 વર્ષની દિવ્યા, તેમની માતા, 45 વર્ષના મમતા, અને તેમના પિતરાઈ, 16 વર્ષની પૂજા અને 14 વર્ષના પવનનો સમાવેશ થાય છે. તેઓ કહે છે, "હું તેમાંથી કોઈનોય સંપર્ક કરી ન શકી. એક આખો દિવસ વીતી ગયો એ પછી પણ તેઓ ઘેર પાછા ન આવ્યા ત્યારે અમે ખૂબ ગભરાઈ ગયા."
ભારતીએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી એ પછી પોલીસે ગુમ થવાની ઘટના બાબતે તપાસ શરૂ કરી હતી.
એકના બે દિવસ થયા, અને બેના ત્રણ થયા. તેમ છતાં પરિવારના સભ્યો પાછા ફર્યા ન હતા. પસાર થતા એકેએક દિવસ સાથે તેમની ગેરહાજરી વિશેનો ડર વધુ ઘેરો થતો ગયો. ભારતીની ચિંતા અને ભય વધતા ચાલ્યા. તેમના ઘરનું મૌન વધુ બોલકું બન્યું.
તેમનો સૌથી ખરાબ ભય વધુ ઊંડો થયો.










