મોહમ્મદ શોએબની દુકાન 24x7 ખુલ્લી રહે છે, પરંતુ જો તમે તેમની વિશેષ વાનગીનો સ્વાદ લેવા માગતા હો તો તમારે વહેલી સવારે ત્યાં પહોંચી જવું પડે.
35 વર્ષના આ યુવાન છેલ્લા 15 વર્ષથી નવાકદલના ગ્રેટા બલ વિસ્તારમાં હેરિટેજ હેરિસ્સાની દુકાન ચલાવે છે. શ્રીનગરની વચમાં આવેલ આ વિસ્તાર એ હેરિસ્સાની દુકાનોનું કેન્દ્ર છે, જેમાંની કેટલીક દુકાનો ત્રણસો વર્ષથી વધુ જૂની છે. આ વાનગીની વાર્તા તો એથીય જૂની છે.
શોએબ કહે છે, "મેં મારા પિતા પાસેથી સાંભળ્યું છે કે હેરિસ્સા બનાવવાની કલા શાહ-એ-હમદાન [ઈરાનના 14મી સદીના સૂફી સંત] પાસેથી ચાલી આવે છે, તેમણે ખીણના હેરિસ્સા બનાવનારાઓને એ કલા શીખવી હતી." શોએબ ચોથી પેઢીના હરિસ્સા-બનાવનાર છે.
ઘેટાંના માંસ અને ચોખાથી બનતી પ્રોટીનની ઉચ્ચ માત્રા ધરાવતી સવારના નાસ્તામાં ખવાતી આ વાનગી વર્ષમાં માત્ર છ મહિના - ઓક્ટોબરથી માર્ચ સુધી - જ મળે છે. આ વાનગી મીઠી (ઘેટાંના છૂંદેલા આંતરડા) અને ગરમ તેલ છાંટેલા કબાબ સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે, આ બધામાં બોળીને ખાવા માટે સાથે કાંદર ઝોટ (ઘઉંના લોટમાંથી બનાવેલ સ્થાનિક રોટલી) પીરસવામાં આવે છે. આ વાનગીમાં પડતા મસાલામાં લીલી અને કાળી એલચી, તજ અને લવિંગનો સમાવેશ થાય છે. તે પછી તેને માટીમાં દાટેલા મઠ (તાંબા અથવા માટીના વાસણ) માં આખી રાત રાંધવામાં આવે છે. તેની નીચે ભઠ્ઠી હોય છે.












