થાંગ્કા - સામાન્ય રીતે બૌદ્ધ દેવતાનું નિરૂપણ કરતા, પેચવર્કથી શણગારેલા રેશમી અથવા સુતરાઉ કાપડ પર કરેલા ચિત્રો - ની પુન:જાળવણી કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી. માથો ગામના રહેવાસી દોરજે અંગચૂક કહે છે, "પુન:જાળવણીમાં એક નાનીસરખી પણ ભૂલ થઈ જાય, જેમ કે જો કાનના આકારને મૂળ જેવો દેખાતો હતો તેના કરતા થોડો વધારે વળાંક અપાઈ જાય [અને મૂળ આકાર કરતા એ અલગ થઈ જાય] તો પણ લોકો નારાજ થઈ જાય, એમની લાગણીને ઠેસ પહોંચે."
લેહથી 26 કિલોમીટર દૂર આવેલા માથો ગામના આ રહેવાસી જણાવે છે કે, "આ એક સંવેદનશીલ કામ છે." 1165 લોકોની વસ્તી (વસ્તીગણતરી 2011) ધરાવતા માથોમાં લગભગ બધા જ લોકો બૌદ્ધ ધર્મ પાળે છે.
થાંગ્કા (તેને થાંકા પણ કહેવાય છે) ની પુન:જાળવણી કરનાર નવ કુશળ મહિલાઓની ટીમે અંગચૂક અને તેના સમુદાયના બીજા લોકોનો ડર દૂર કરી દીધો છે, આ મહિલાઓએ કલાના આ પ્રાચીન નમૂનાઓમાં સચવાયેલી સદીઓ જૂની આ ચિત્રકલાની ભાતને સમજવા, ઓળખવા અને પારખવા માટે સેંકડો વર્ષો પહેલાના સમયમાં મુસાફરી કરી છે/ની આ કલાનું અધ્યયન કર્યું છે. દરેક સદીને તેના પોતાના વિશિષ્ટ તત્વો, શૈલીઓ અને મૂર્તિશાસ્ત્ર હતા.
આ મહિલાઓને પુનઃજાળવણીના કામની તાલીમ આપનાર કલા સંરક્ષણના કામમાં નિષ્ણાત ફ્રાન્સના નેલી રિયાફ કહે છે કે માથોની આ મહિલાઓ જે થાંગ્કાની પુન:જાળવણી કરે છે તે તમામ 15-18મી સદીના છે. ત્સેરિંગ સ્પેલ્દન કહે છે, "શરૂઆતમાં ગ્રામવાસીઓ થાંગ્કાની પુન:જાળવણી કરતી મહિલાઓની વિરુદ્ધ હતા." પરંતુ અમે જાણતા હતા કે અમે કંઈ ખોટું નથી કરી રહ્યા; અમે જે કંઈ કરી રહ્યા હતા તે આપણા ઇતિહાસ માટે કરી રહ્યા હતા.”
બૌદ્ધ સાધ્વી તુકચેય દોલ્મા કહે છે, "થાંગ્કા એ બુદ્ધ અને બીજા કેટલાક પ્રભાવશાળી લામાઓ અને બોધિસત્વોના જીવનને સમજવા માટેના કાર્યક્ષમ શૈક્ષણિક સાધનો છે." દોલ્મા લદ્દાખના નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં કારગિલ જિલ્લાના દૂરસ્થ ઝંસ્કાર તહેસીલમાં કારશા ભિક્ષુણી મઠમાં સ્થિત છે.













