ક્યારેક ક્યારેક ભગવાન પણ તેમના ભક્તો સાથે સ્થળાંતર કરે છે. કમ સે કમ મા અંગારમોતીએ તો તેમ કર્યું જ છે.
આશરે 45 વર્ષ પહેલા આ દેવી ધાય-ચાંવર ગામમાં રહેતા હતા. લગભગ 50 વર્ષના ગોંડ આદિવાસી ઈશ્વર નેતામ કહે છે, “મા અંગારમોતી બે નદીઓ – મહાનદી અને સુખા નદીની વચ્ચે [આવેલી જગ્યાએ] વસતા હતા." ઈશ્વર નેતામ આ આદિવાસી દેવીના મુખ્ય પૂજારી અથવા બૈગા છે.
વિસ્થાપિત થવા છતાં મા અંગારમોતીની લોકપ્રિયતા ઓછી થઈ નથી - ગામમાંથી અને બીજેથી 500 થી 1000 ભક્તો હજી આજે પણ દરરોજ તેમના મંદિરના સ્થળે ભેગા થાય છે. આ મેળાનું નામ દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ ગામ અને નજીકના બંધના નામના સંદર્ભ પરથી તે ગંગરેલ મડઈ તરીકે પણ ઓળખાય છે.
ગોંડ સમુદાયના આદિવાસી નેતા અને ગંગરેલ ગામમાં દર વર્ષે આ સમય દરમિયાન મેળાનું આયોજન કરતા જૂથના સભ્ય વિષ્ણુ નેતામ કહે છે, "અમે અમારા પૂર્વજોના સમયથી લગભગ દરેક આદિવાસી ગામમાં આ મડઈ [મેળો] આયોજિત કરતા આવ્યા છીએ."
તેઓ ઉમેરે છે, "મડઈ અમારી પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે." સ્થાનિક લોકો ઉપરાંત ગામની બહારના લોકો પણ મેળામાં જોડાય છે, સારા પાક માટે આભાર વ્યક્ત કરવા દેવતાઓને ફૂલો ચડાવે છે અને આવનારા વર્ષ માટે આશીર્વાદ માગે છે. આ મડઈ એ આ જિલ્લામાં દર વર્ષે યોજાતી લગભગ 50 મડઈઓમાંથી એક છે. આ મડઈ એ મધ્ય ભારતીય રાજ્યના આ જિલ્લામાં આયોજિત થતી મડઈની શ્રેણીમાંની આ પહેલી મડઈ છે.










