મનીષા કહે છે, “મને સ્વીકારવામાં ફક્ત મારો પરિવાર જ અચકાતો હતો, માછીમારો અચકાયા નહોતા. હોડીના માલિકો મને કૈરાસી (નસીબદાર) તરીકે જોતા હતા.” માછલીની હરાજી કરનાર એક રૂપાંતરિત નારી એવાં મનીષા ખુશીથી ઉમેરે છે, “તેઓએ મારો તીરસ્કાર નથી કર્યો. હું કોણ છું તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ માત્ર ઈચ્છે છે કે હું તેમની માછલી વેચી દઉં.”
આ 37 વર્ષીય કડ્ડલુર ઓલ્ડ ટાઉન બંદર પર કામ કરતી લગભગ 30 મહિલા હરાજીકારોમાંનાં એક છે. ખરીદદારોને આકર્ષવા માટે તેઓ પોતાનો અવાજ અન્ય વિક્રેતાઓથી ઉપર ઉઠાવતાં કહે છે, “હું વધુ કિંમત મેળવી શકું છું કારણ કે હું ઊંચા અવાજે સાદ પાડી છું. ઘણા લોકો મારી પાસેથી માછલી ખરીદવા માંગે છે.”
મનીષાએ લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા (જેન્ડર અફર્મિંગ સર્જરી) કરાવી તે પહેલાં પણ તેઓ લાંબા સમયથી માછલીની હરાજી કરવાના અને સૂકી માછલીઓ વેચવાના કામમાં કાર્યરત હતાં. આ ધંધામાં તેમણે દરરોજ હોડીના માલિકો અને માછીમારો સાથે વાતચીત કરવી પડે છે. “તેમને કોઈ સમસ્યા નથી લાગતી. હું બીજાં બધાં કરતાં વધુ સારી રીતે માછલીની હરાજી કરું છું.”
તેઓ કહે છે કે હોડી માલિકોના નૈતિક પીઠબળ વિના, તેઓ 2012માં લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા કરાવી શક્યાં ન હોત. તેમાં તેમના ગાઢ મિત્ર અને વિશ્વાસું પણ છે, જેમના સાથે તેમણે આ શસ્ત્રક્રિયા કરાવ્યા પછી તરત જ સ્થાનિક મંદિરમાં લગ્ન કર્યા હતા.
















