અનિલ નારકંડેએ દરેક વખતની જેમ લગ્ન−સ્થળને તૈયાર કરવા માટે સખત મહેનત કરી હતી. પરંતુ તેમણે વાર્તામાં કોઈ વળાંકની અપેક્ષા નહોતી રાખી!
ભંડારાના અલેસુર ગામમાં શણગાર અને સંગીત પ્રદાતા તરીકે પણ કામ કરતા આ 36 વર્ષીય ખેડૂતે પડોશના એક ગામમાં લગ્ન માટે એક મોટું પીળું શમિયાના ઊભું કર્યું હતું અને તે જગ્યાને ઘણાં પ્લાસ્ટિકનાં ફૂલોથી શણગારી હતી. તેમણે મહેમાનો માટે ખુરશીઓ ગોઠવી હતી; કન્યા અને વરરાજા માટે ઘેરા-લાલ રંગનો ખાસ લગ્નનો સોફા અને લગ્નના સ્થળે સંગીત અને રોશની પૂરી પાડવા માટે ડીજેનાં ઉપકરણો અને લાઇટિંગની વ્યવસ્થા કરી હતી.
વરરાજાના માટી અને ઈંટના સાદા ઘરની આ લગ્ન પ્રસંગે કાયાપલટ કરાઈ હતી. કન્યા મધ્ય પ્રદેશના સિવનીથી સતપુડાની ટેકરીઓ પારથી અહીં આવી રહી હતી.
આગામી ઉનાળાની લગ્નની મોસમમાં તેમના વ્યવસાયની ધમધોકાર શરૂઆતની આશા રાખીને બેઠેલા અનિલ કહે છે કે, લગ્નની પૂર્વસંધ્યાએ પરિસ્થિતિ વણસવા લાગી. લગ્નવિધિના એક દિવસ પહેલાં, 27 વર્ષીય વરરાજા, કે જે કામ માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે, ભાગી ગયો.
અનિલ યાદ કરીને કહે છે, “ તેણે તેનાં માતાપિતાને ફોન કરીને કહ્યું કે જો આ લગ્ન રદ કરવામાં નહીં આવે તો તે ઝેર પી લેશે. તેને કોઈ બીજું પાત્ર પસંદ હતું.”
લગ્ન રદ થયાં ત્યાં સુધીમાં દુલ્હન અને તેના સગાસંબંધીઓ લગ્ન માટે આવી ચૂક્યાં હતાં. આ ખુશીનો પ્રસંગ છોકરાના માતા-પિતા અને તેમના ગામ માટે મોટી શરમજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો.
વરરાજાના ચિડાયેલા પિતાએ અનિલને કહ્યું કે તેઓ તેમની ફી ચૂકવી શકશે નહીં.








