હરેશ્વર દાસ કહે છે, "જ્યારે પાણી વધે છે, ત્યારે અમને ગભરાટ થવા લાગે છે." આસામના બગરીબારીના આ રહેવાસી કહે છે કે ચોમાસાના મહિનાઓ દરમિયાન ગામલોકોએ હંમેશા સાવચેત રહેવું પડે છે, નજીકની પુઠિમારી નદીમાં પાણીની સપાટી વધવાને કારણે તેમના ઘરો અને પાક બરબાદ થઈ શકે છે.
તેમના પત્ની સાબિત્રી દાસ ઉમેરે છે, “વરસાદ પડે ત્યારે અમારે અમારા કપડા બાંધીને તૈયાર રહેવું પડે છે. ગયે વખતે પૂરને કારણે અમારા બંને કાચા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. વાંસ અને માટી વડે ફરી નવી દીવાલો ઊભી કરવામાં આવી હતી."
નીરદા દાસ કહે છે, "[હવે બગડી ગયેલું] ટીવી મેં એક કોથળામાં મૂકીને છત પર મૂકી દીધું છે." આની પહેલાનું ટેલિવિઝન પણ અગાઉના પૂરથી જ બરબાદ થઈ ગયું હતું.
16 મી જૂન, 2023 ની રાત હતી, અને ધોધમાર વરસાદ હતો. ગયા વર્ષે તૂટી પડેલા પાળાના એક ભાગની મરામત કરવા માટે રહેવાસીઓએ રેતીની બોરીઓ લગાવી હતી. બે દિવસ વીતી ગયા અને વરસાદ બંધ થવાના કોઈ ચિહ્નો દેખાતા નહોતા. બગરીબારી અને ધેપારગાઓં, માદૈકટા, નિઝ કાઉરબાહા, ખણ્ડિકર, બિહાપારા અને લાહાપારા સહિતના નજીકના ગામોના લોકો સાવચેત હતા, તેમને ડર હતો કે પાળાનો સૌથી નબળો ભાગ ગમે ત્યારે ફરીથી તૂટી જશે.
સદ્ભાગ્યે ચાર દિવસ પછી વરસાદ ધીમો પડ્યો હતો અને પાણી પણ ઊતરી ગયું હતું.
સ્થાનિક શિક્ષક હરેશ્વર દાસ સમજાવે છે, "જ્યારે પાળો તૂટે છે ત્યારે એવું લાગે છે કે જાણે પાણીનો બોમ્બ ફૂટ્યો હોય. એ પાણી એના રસ્તામાં આવતી દરેકેદરેક વસ્તુને બરબાદ કરી નાખે છે." હાલ નિવૃત્ત 85 વર્ષના હરેશ્વર કે.બી. દેઉલકુચી ઉચ્ચતર માધ્યમિક શાળા (હાયર સેકન્ડરી સ્કુલ) માં આસામી ભાષા શીખવતા હતા.
તેમનું દ્રઢપણે માનવું છે કે 1965માં બાંધવામાં આવેલા પાળાએ હકીકતમાં ફાયદા કરતાં વધુ નુકસાન કર્યું છે, "ખેતીની જમીનને કાંપથી ફળદ્રુપ બનાવવાને બદલે ડૂબાડીને"




















