ઢેઉરી ગામનાં 29 વર્ષીય ખેડૂત તેમના અવાજમાં ખેદ અને ઉદાસી સાથે કહે છે, “જો પાન [સોપારીનું પાન] નો પાક બચ્યો હોત, તો તેનાથી મને [2023માં] ઓછામાં ઓછા બે લાખ રૂપિયા આવક થઈ હોત.” કરુણા દેવીએ જૂન 2023માં બિહારના નવાદા જિલ્લામાં ભારે ગરમીના કારણે પોતાનો પાક ગુમાવ્યો હતો. એક સમયે લીલાછમ દેખાતા બગીચામાં તેમના વૃક્ષો પર ઝગમગતા પ્રસિદ્ધ મગહી સોપારીનાં પત્તાંવાળું તેમનું બરેજા જાણે કંકાલ બની ગયું હતું. આના લીધે તેઓ અન્યોના બરેજામાં મજૂરી કરવા મજબૂર થયાં છે.
નવાદા એ એક ડઝન જિલ્લાઓમાંનો એક હતો જેણે ઘણા દિવસો સુધી તીવ્ર ગરમીનો સામનો કર્યો હતો. તે વર્ષે પડેલી ગરમીનું વર્ણન કરતાં તેઓ ઉમેરે છે, “લગતા થા કી આસમાન સે આગ બરસ રહા હૈ ઔર હમલોંગ જલ જાએંગે. દોપહર કો તો ગાંવ એકદમ સુનસાન હો જાતા થા જૈસે કી કરફૂ લગ ગયા હો [એવું લાગતું હતું કે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય, અને અમે બળીને ખાક થઈ જઈશું. બપોરે ગામ જાણે કર્ફ્યુ લાદવામાં આવ્યો હોય તેમ સંપૂર્ણપણે નિર્જન થઈ જતું.]” જિલ્લાના વારિસઅલીગંજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ હોવાનું નોંધ્યું હતું. 18 જૂન, 2023ના રોજ ‘ધ હિન્દુ’ માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, આ ઘટના પછી બિહાર અને ઉત્તર પ્રદેશમાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
ભીષણ ગરમી હોવા છતાં કરુણા દેવી કહે છે, “અમે બરેજા જઈશું.” તેમનો પરિવાર કોઈ જોખમ લઈ રહ્યો નથી, કારણ કે તેમણે છ કઠ્ઠા [આશરે 8,000 ચોરસ ફૂટ] વિસ્તારમાં ફેલાયેલા બરેજામાં વાવેતર કરવા માટે 1 લાખ રૂપિયાની લોન લીધી હતી.





















