અબ્દુલ લતીફ બજરને મે મહિનાની શરૂઆતમાં જ પોતાના 150 પ્રાણીઓ - ઘેટાં, બકરાં, ઘોડા અને એક કૂતરા- સાથે કાશ્મીરના પર્વતોમાં વધુ ઊંચાઈએ ચરાઈના મેદાનોની શોધમાં રાજૌરી જિલ્લાનું પેરી ગામ છોડી દીધું હતું. તેમણે પોતાના દીકરા તારિક અને બીજા કેટલાકને પોતાની સાથે લીધા હતા. જમ્મુના 65 વર્ષના આ પશુપાલક કહે છે, “મેં મારા કુટુંબ [પત્ની અને પુત્રવધૂ] ને નબળા પ્રાણીઓ, ખાદ્યસામગ્રી, આશ્રય અને બીજી જરૂરી ચીજવસ્તુઓ સાથે એક નાની ટ્રકમાં (આગળ) મોકલ્યા હતા."
પરંતુ બે અઠવાડિયા પછી, તેઓ કહે છે કે, "તેમને [વઈલમાં] જોઈને હું ચોંકી ગયો હતો." તેઓએ વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તેઓ તેમના મુકામ, (ભારત-પાકિસ્તાન સરહદ પર) મિનીમર્ગ, પહોંચી ગયા હશે અને ઉનાળુ શિબિર (સમર કેમ્પ) લગાવી દીધી હશે/ઉનાળો ગાળવા માટે તંબુ બાંધી દીધા હશે.
તેને બદલે તેઓ તેમના મુકામથી 15 દિવસ દૂર અટવાયેલા હતા. તેઓ કહે છે કે (ખરાબ) હવામાનને કારણે તેમને અધવચ્ચે રોકાઈ જવું પડ્યું હતું - મિનીમર્ગ પહોંચવા માટે તેમને ઝોજિલા ઘાટ પાર કરવો પડે તેમ હતું અને તેઓ ઝોજિલા ઘાટ પર બરફ ઓગળવાની રાહ જોઈ રહ્યા હતા.
જમ્મુ પ્રદેશમાં દર વર્ષે ઉનાળો નજીક આવતા ઘાસની અછત સર્જાય છે ત્યારે બકરવાલ જેવા વિચરતા પશુપાલક સમુદાયો વધુ સારા ચરાઈના મેદાનો શોધવાની આશામાં કાશ્મીર ખીણમાં સ્થળાંતર કરે છે. ત્યાં હવામાન ઠંડુ થવાની શરૂઆત થાય ત્યારે છેક ઑક્ટોબરમાં જ તેઓ પાછા ફરે છે.
પરંતુ જ્યારે વધુ ઊંચાઈએ આવેલા ચરાઈના મેદાનો બરફથી ઢંકાયેલા હોય છે ત્યારે અબ્દુલ જેવા પશુપાલકો અધવચ્ચે અટવાઈ જાય છે - તેઓ ન તો નીચે તેમના ગામમાં પાછા જઈ શકે છે કારણ કે ત્યાં (તેમના પશુઓ માટે) કોઈ ચરાઈ નથી, અને ન તો તેઓ ઉપર ઘાસના મેદાનોમાં જઈ શકે છે.











