પાકિસ્તાનની સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર, શમશેર સિંહ તેમના ભાઈના ગેરેજમાં કામ કરી રહ્યા છે, તેઓ તેમના ઓજારો ધ્યાનથી તપાસી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી અહીં મિકેનિક તરીકે કામ કરે છે, પરંતુ આ કામ તેમણે પસંદ કરેલું નથી.
35 વર્ષના શમશેર ત્રીજી પેઢીના કુલી છે, એક સમયે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા સરહદ પર કામ કર્યું હતું. તેમનો પરિવાર પ્રજાપતિ સમુદાયનો છે, જે આ રાજ્યમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ - ઓબીસી) તરીકે સૂચિબદ્ધ છે.
પાકિસ્તાન સાથેની પંજાબની આ સરહદે, સિમેન્ટ, જીપ્સમ અને સૂકા મેવા લઈને રોજની સેંકડો ટ્રકો ભારતમાં આવતી હતી. એ જ રીતે ટામેટાં, આદુ, લસણ, સોયાબીનનો અર્ક અને કાંતેલા સૂતર સહિત બીજો માલસામાન વહન કરતી ટ્રકો પાકિસ્તાન તરફ જતી હતી.
શમશેર લગભગ એ 1500 કુલીઓમાંના એક હતા જેમનું કામ "સરહદ ક્રોસિંગ પર ટ્રકોની આગળની મુસાફરી માટે આ માલ તેમાંથી ઉતારવાનું અને તેમાં ચડાવવાનું હતું." આ વિસ્તારમાં કોઈ ફેક્ટરીઓ કે ઉદ્યોગો નથી; અટારી-વાઘા સરહદની 20 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામોના ભૂમિહીન રહેવાસીઓ તેમની આજીવિકા માટે સીમા-પારના વેપાર પર ખૂબ આધાર રાખે છે.









