કન્નિસામી ઉત્તર તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓની સરહદોની રક્ષા કરે છે. માછીમારી સમુદાયોના આ સંરક્ષક દેવતાનો બાહ્ય દેખાવ સમુદાયના સામાન્ય વ્યક્તિ જેવો જ છે: તેઓ તેજસ્વી રંગના શર્ટમાં ઢંકાયેલા હોય છે, અને તેમના માથા પર ટોપી સાથેની વેટી હોય છે. માછીમારો દરિયામાં પ્રવેશતા પહેલાં તેમનો જાપ કરે છે અને સલામત પરત ફરવા માટે પ્રાર્થના કરે છે.
માછીમારી કરતા પરિવારો કન્નિસામીના વિવિધ અવતારોની પૂજા કરે છે અને તે ઉત્તર ચેન્નાઈથી લઈને પાતવેરકાડુ (જે પુલિકટ તરીકે પ્રખ્યાત છે) સુધી અમલ કરાતી એક લોકપ્રિય વિધિ છે.
એન્નુર કુપ્પમના માછીમારો કન્નિસામીની મૂર્તિઓ ખરીદવા માટે લગભગ સાત કિલોમીટર દૂર અતિપટ્ટુ ગયા હતા. જૂનમાં યોજાતો આ તહેવાર વાર્ષિક એક ઉજવણી છે અને તે એક અઠવાડિયા સુધી ચાલે છે. હું 2019માં આ ગામના માછીમારોના જૂથ સાથે પ્રવાસ માટે જોડાયો હતો. અમે ઉત્તર ચેન્નાઈના થર્મલ પાવર પ્લાન્ટ નજીક કોસસ્થલઈયાર નદીના કિનારે ધામા નાખ્યા હતા અને પછી અતિપટ્ટુ ગામ તરફ ચાલીને ગયા હતા.
અમે એક બે માળના એક મકાન પાસે પહોંચ્યા, જ્યાં કન્નિસામીની ઘણી મૂર્તિઓ જમીન પર હરોળબંધ રાખવામાં આવી હતી. મૂર્તિઓને સફેદ કપડામાં લપેટવામાં આવી હતી. 40 વર્ષની એક વ્યક્તિ, સફેદ પટ્ટાવાળી શર્ટ અને કપાળ પર તિરુનીર [પવિત્ર રાખ] સાથે વેટી પહેરીને, મૂર્તિઓની સામે કપૂર પ્રગટાવે છે. તેઓ દરેક માછીમારોના ખભા પર પૂજાઈ મૂકતા પહેલા પોતે પૂજા કરે છે.



































