સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024 ના પહેલા તબક્કામાં, 19 મી એપ્રિલના રોજ ગડચિરોલી લોકસભા મતવિસ્તારમાં મતદાનના એક અઠવાડિયા પહેલા આ જિલ્લાના 12 તાલુકાઓની લગભગ 1450 ગ્રામસભાઓએ કોંગ્રેસના ઉમેદવાર ડો. નામદેવ કિરસાનને શરતી સમર્થન જાહેર કર્યું હતું. આ એક અભૂતપૂર્વ પગલું હતું.
અભૂતપૂર્વ એટલા માટે કારણ કે એક એવો જિલ્લો જ્યાં આદિવાસી સમુદાયો ભાગ્યે જ ખુલ્લેઆમ કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતા હોય છે ત્યાં કોંગ્રેસના જિલ્લા-વ્યાપી સંઘ મારફત ગ્રામસભાઓનું સમર્થન મળતા કોંગ્રેસને આશ્ચર્ય થયું હતું અને ભારતીય જનતા પક્ષ, જેના વર્તમાન સાંસદ અશોક નેટે સતત ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે તેમાં ખળભળાટ મચી ગયો હતો.
12 મી એપ્રિલના રોજ આખો દિવસ ગ્રામ સભાના એક હજારથી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ ગડચિરોલી શહેરના લગ્ન-પ્રસંગ માટે અપાતા હોલ, સુપ્રભાત મંગલ કાર્યાલયમાં કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓની જાહેર સભા માટે ધીરજપૂર્વક રાહ જોતા હતા. તે સાંજે વકીલ કાર્યકર લાલસુ નોગોટી, જેઓ ભામરાગઢ જિલ્લાના દક્ષિણ-પૂર્વ બ્લોકના સંવેદનશીલ આદિવાસી જૂથ, માડિયા સમુદાયમાંથી આવે છે તેમણે કિરસાનને શાંતિથી શરતો વાંચી સંભળાવી, કિરસાને સમર્થનનો પત્ર સ્વીકાર્યો અને જો તેઓ સંસદમાં ચૂંટાઈ આવે તો આ શરતોનું પાલન કરવાનું, આ માગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું.
આ શરતોમાં બીજી શરતોની સાથે સાથે જિલ્લાના જંગલથી છવાયેલા વિસ્તારોમાં પૂરજોશમાં અને અવિચારીપણે ચાલતા ખાણકામને રોકવાની; વન અધિકાર અધિનિયમ (ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ) હેઠળ નિયમોને સરળ બનાવવાની; જે ગામોના સામુદાયિક વન અધિકારો (કમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ્સ - સીઆરએફ - CFR) અંગેના દાવાઓ હજી સુધી અનિર્ણિત રહેલ છે એ ગામોને એ અધિકારો આપવાની; અને ભારતના બંધારણનું કડક પાલન કરવાની શરતોનો સમાવેશ થતો હતો.
પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, "અમારું સમર્થન ફક્ત આ ચૂંટણી માટે છે. જો વચનભંગ થશે, અમારી સાથે વિશ્વાસઘાત થશે તો અમે, ગામલોકો, ભવિષ્યમાં અમારું સમર્થન પાછું ખેંચી લઈશું."
ગ્રામસભાએ આવું પગલું કેમ ભર્યું?
એક પીઢ આદિવાસી કાર્યકર, સૈનુ ગોટા, જેઓ અગાઉ કોંગ્રેસ પક્ષના નેતા હતા તેઓ કહે છે, "અમે સરકારને ખાણો કરતાં વધુ રોયલ્ટી આપીશું. આ પ્રદેશમાં ઝાડ કાપી નાખીને, જંગલોનો નાશ કરીને ખાણો ખોદવી એ એક ભૂલ હશે."










