હાલમાં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મધ્ય પ્રદેશના ૧૬ શ્રમિકો ટ્રેનની નીચે ઊંઘમાં ને ઊંઘમાં જ કચડાઈને માર્યા ગયા. આ સમાચાર સાંભળીને તેમને પગપાળા ઘેર જવા કોણે મજબૂર કર્યા એમ પૂછવાને બદલે આપણી પહેલી પ્રતિક્રિયા જો એ મરનારા લોકો ટ્રેનના પાટાઓ પર કેમ સુતા હતા એવો સવાલ કરવાની હોય તો તે આપણી માનસિકતા વિષે શું કહી જાય છે?
કેટલા અંગ્રેજી પ્રકાશનોએ ટ્રેનની નીચે કચડાઈને માર્યા ગયેલા મજૂરોના નામ છાપવાની પણ તસ્દી લીધી? તેઓ અજાણ્યા, નનામા જ રહ્યા. ગરીબો પ્રત્યે આપણી આ જ મનોવૃત્તિ રહી છે. જો આ વિમાન દુર્ઘટના હોત, તો જાણકારી આપતી હેલ્પલાઇન શરુ થઇ હોત. દુર્ઘટનામાં ૩૦૦ લોકો માર્યા ગયા હોત, તો પણ એ બધા જ ૩૦૦ના નામ છાપાઓમાં આવત. પણ મધ્યપ્રદેશના ૧૬ ગરીબો, જેમાંથી ૮ તો ગોંડ આદિવાસી હતા, તેઓ કચડાઈ મર્યા તેનાથી કોને શું ફરક પડે છે? તેઓ પોતાના ઘરને રસ્તે ચાલતા ભૂલા ન પડી જવાય માટે રેલવેના પાટે પાટે ચાલતા હતા - તેઓ એવા કોઈ સ્ટેશન તરફ જવા ચાલી નીકળ્યા હતા જ્યાંથી તેમને ઘેર જવા કોઈક ટ્રેન મળી જશે એવી આશા હતી. થાક્યાપાક્યા તેઓ પાટાઓ પર સૂઈ ગયા, કદાચ એમ વિચારીને કે અત્યારે આ રેલવે લાઈન પર કોઈ ટ્રેન ચાલતી નથી.
ભારતમાં કામદારોની સંખ્યા બહુ મોટી છે. સરકારે કામદારોને જે માહિતી આપી છે તે વિષે તમારો શો અભિપ્રાય છે?
આપણે ૧.૩ અબજ લોકોના રાષ્ટ્રને પોતાની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે માત્ર ૪ કલાક આપ્યા. આપણા એક સુપ્રસિદ્ધ સિવિલ સર્વન્ટ (સનદી કર્મચારી) એમ. જી. દેવસહાયમે કહ્યું હતું, "પાયદળની એક નાની ટુકડીને પણ કોઈ મહત્ત્વના કામની ફરજ પાડતી વખતે ઓછામાં ઓછા ૪ કલાક અગાઉ સૂચના અપાય છે." આપણે સ્થળાંતરિત શ્રમિકો સાથે સહમત થઈએ કે નહીં એ જુદી વાત છે, પણ શહેર છોડી ઘેર પાછા ફરવાનો તેમનો નિર્ણય તાર્કિક રીતે જોતા સંપૂર્ણપણે યોગ્ય જ હતો. તેઓ જાણે જ છે - અને આપણે ક્ષણે ક્ષણે એ પૂરવાર કરીએ છીએ કે - એમની સરકારો, એમના ફેકટરી માલિકો અને આપણા જેવા મધ્યમ વર્ગીય રોજગાર આપનારા કેટલા અવિશ્વસનીય, અવિચારી અને ક્રૂર છે. અને હવે આપણે એ પણ પૂરવાર કરીએ છીએ કે તેમની જે એક નાની સ્વતંત્રતા છે, એક જગ્યાથી બીજી જગ્યા જવાની, તે પણ આપણે કાયદાની મદદથી માર્યાદિત કરી શકીએ છીએ.
તમે ગભરાટ પેદા કર્યો. તમે આખા દેશમાં અંધાધૂંધી ફેલાવી દીધી, લાખો લોકો ધોરી માર્ગો પર ઉતરી આવ્યા. લગ્નના હોલ, શાળાઓ અને કોલેજો અને સાર્વજનિક કેન્દ્ર, જે બધા બંધ કરી દેવામાં આવ્યા હતા તેમને આપણે સરળતાથી સ્થળાંતરિત શ્રમિકો અને બેઘર લોકો માટે આશ્રય ગૃહોમાં ફેરવી શક્યા હોત. વિદેશથી આવતા લોકો માટે આપણે પંચતારક હોટેલોને 'ક્વોરેન્ટીન સેન્ટર' ઘોષિત કરી.
જ્યારે આપણે સ્થળાંતરિત શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે આપણે તેમની પાસેથી પૂરેપૂરું ભાડું વસૂલીએ છીએ. પછી આપણે એસી ટ્રેનો મૂકીએ છીએ અને રાજધાની ક્લાસ જેટલું 4500 રુપિયા ભાડું માગીએ છીએ. આટલું ઓછું હોય તેમ એ બધા પાસે સ્માર્ટફોન હશે એમ માની લઈને તમે કહો છો કે ટિકિટો ઓનલાઈન બુક કરી શકાશે. એમાંના કેટલાક લોકો ગમે તેમ કરીને ટિકિટ ખરીદે છે.
પણ કર્ણાટકમાં ટ્રેન રદ્દ થઇ જાય છે, કેમકે મુખ્યમંત્રી બિલ્ડરોને મળે છે અને બિલ્ડરો કહે છે કે ગુલામો નાસી રહ્યા છે. તમે જેના સાક્ષી બની રહ્યા છો તે ગુલામોના અપેક્ષિત બળવાને કચડી નાખવાની પ્રક્રિયા છે.
આપણે હંમેશા બેવડાં ધોરણો રાખ્યા છે - એક ગરીબો માટે અને એક બીજા બધા માટે. તેમ છતાં આજે જ્યારે તમે આવશ્યક સેવાઓની યાદી બનાવો ત્યારે તમને ખબર પડે છે કે ડોક્ટરોને બાદ કરતાં ફક્ત ગરીબો જ છે જે આવશ્યક છે. ઘણીબધી નર્સો (પરિચારિકાઓ) પણ પૈસે ટકે સુખી નથી. તદુપરાંત સફાઈ કામદારો, આશા (ASHA એક્રેડિટેડ સોશ્યિલ હેલ્થ એકટીવિસ્ટ) કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, વિજળી કામદારો, ઉર્જા ક્ષેત્રના કામદારો અને ફેકટરી કામદારો - આ તમામ આવશ્યક છે. અચાનક તમને સમજાય છે કે ભદ્ર લોકો આ દેશ માટે કેટલા અનાવશ્યક છે.








